નખત્રાણા, તા. 28 : તાલુકાનાં મથલ ગામે આવેલા મધ્યમ કક્ષાના મથલ ડેમનું પાણી તળિયે પહોંચતાં હવે એકાદ માસ ચાલે તેટલું પાણી બચ્યું છે, જે આ વિસ્તારના ઢોર-ઢાંખર, વન્યજીવો, ડેમમાં વિચરતા જળચર પ્રાણીઓ માટે અનામત રખાયું છે.

તાલુકાનાં મથલ ગામ પાસે આવેલા અને ઓવરફલો થાય ત્યારે 395.17 એમસીએફટીની ક્ષમતા ધરાવતા આ ડેમમાંથી આસપાસનાં ગામોની 130 હેકટરમાં પિયત થકી થતી ખેતી માટે વપરાતા આ પાણીનો જથ્થો તળિયે પહોંચી ગયો છે અને હવે ધર લેવલથી નીચે રહેલું પાણી સીમાડાનાં ઢોર-ઢાંખર, નીલગાય, હરણ જેવાં વન્યપ્રાણીઓ, ડેમમાં જ વિચરતા મગર અને માછલા, કાચબા જેવાં જળચર પ્રાણીઓ માટે અનામત રાખવામાં આવ્યું હોવાનું ડેમના ઈજનેર વી. ચૌધરીએ જણાવ્યું હતું.
તો ડેમના ઓપરેટર હિતેશ મારવાડાએ કહ્યું કે, ડેમના તળિયામાં ક્ષારજનક માટી હોવાથી કાંપ લાયક ન હોવાથી ખેતીમાં કામ આવતી નથી, જેથી ખેડૂતો લઈ જતા નથી. ખરેખર તો સિંચાઈ તંત્ર આ ડેમમાં ખાણેત્રું કરે તો પાણીની સંગ્રહશક્તિમાં વધારો થઈ શકે છે.

