Arrest of Foreign Nationals in India: જાણો વિદેશી નાગરિકોની ધરપકડ પર શું કહે છે આંતરરાષ્ટ્રીય ‘વિયેના કન્વેન્શન’ અને ભારતીય કાયદો

Arati Parmar
7 Min Read

Arrest of Foreign Nationals in India: ભારતમાં કેટલાક વિદેશી નાગરિકોની ધરપકડનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. પૂર્વોત્તર ભારતના મિઝોરમમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી મ્યાનમારમાં ઉગ્રવાદીઓને લડાઈની તાલીમ આપવાના આરોપમાં યુક્રેનના 6 નાગરિકોની સાથે એક અમેરિકન નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ તમામ વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) એટલે કે યુએપીએ (UAPA) હેઠળ ગુનો નોંધ્યો છે. યુક્રેન તરફથી આ બાબતે સખત વાંધો ઉઠાવવામાં આવ્યો છે. યુક્રેનિયન વિદેશ મંત્રાલય અને ભારતમાં સ્થિત દૂતાવાસ દ્વારા વિરોધ પત્ર સોંપીને આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને આંતરરાષ્ટ્રીય નિયમો તોડવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે સવાલ એ છે કે કોઈપણ દેશમાં વિદેશી નાગરિકને પકડવાની કાનૂની પ્રક્રિયા શું હોય છે? જ્યારે કોઈ દેશ પોતાની જમીન પર બીજા દેશના લોકોને પકડશે તો તેને લઈને નિયમો શું કહે છે?

કોઈપણ દેશમાં વિદેશી નાગરિકની ધરપકડ એ એક સંવેદનશીલ કાનૂની અને રાજદ્વારી સ્તરની પ્રક્રિયા હોય છે. પ્રક્રિયા સંપૂર્ણપણે તે દેશના સ્થાનિક કાયદા અને આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ હોય છે. આ પ્રક્રિયા સામાન્ય નાગરિકોની ધરપકડને મળતી આવે છે, પરંતુ તેમાં કેટલાક વધારાના અધિકારો અને નિયમો પણ લાગુ પડે છે. આ પ્રક્રિયા મુખ્યત્વે વિયેના કન્વેન્શન અને તે દેશના સ્થાનિક કાયદાઓ દ્વારા સંચાલિત થાય છે. ‘વિયેના કન્વેન્શન ઓન કોન્સ્યુલર રિલેશન્સ’ 1963માં અપનાવવામાં આવ્યું અને 1967થી અમલમાં આવ્યું. વિશ્વના 182 દેશોએ તેના પર હસ્તાક્ષર કર્યા છે.

- Advertisement -

આંતરરાષ્ટ્રીય સ્તરે સામાન્ય નિયમો:

  • કાયદા હેઠળ ધરપકડ: કોઈપણ દેશમાં કોઈ પણ વ્યક્તિને કાનૂની આધાર વિના ધરપકડ કરી શકાતી નથી, પછી તે દેશી હોય કે વિદેશી. તેમાં ધરપકડના સામાન્ય આધારો લાગુ પડે છે, જેમાં ગુનો કરવાનો આરોપ, વિઝા/ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ સામેલ છે.

  • વિયેના કન્વેન્શન ઓન કોન્સ્યુલર રિલેશન્સ: આ સૌથી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કરાર છે, જે વિદેશી નાગરિકોના અધિકારો નક્કી કરે છે. આ કન્વેન્શન મુજબ ધરપકડ કરાયેલ વ્યક્તિને પોતાના દેશના દૂતાવાસ અથવા કોન્સ્યુલેટનો સંપર્ક કરવાનો અધિકાર છે. પોલીસે આ અધિકાર વિશે તરત જ જણાવવું પડે છે. દૂતાવાસના અધિકારીઓ તે વ્યક્તિને મળી શકે છે અને કાનૂની મદદ આપી શકે છે.

  • માનવાધિકાર નિયમો: સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકારના ધોરણો હેઠળ કોઈ પણ પ્રકારની યાતના આપી શકાતી નથી. નિષ્પક્ષ સુનાવણી પણ જરૂરી છે અને કાનૂની સહાય મેળવવાનો અધિકાર હોવો જોઈએ.

  • નિષ્પક્ષ ન્યાય પ્રક્રિયા: ધરપકડ પછી કોર્ટમાં રજૂ કરવા, આરોપો જણાવવા અને વકીલ રાખવાનો અધિકાર સામેલ છે. વિદેશી હોવાને કારણે વધારાની સજા આપી શકાતી નથી.

  • પ્રત્યાર્પણની પ્રક્રિયા (Extradition): જો વ્યક્તિએ ગુનો બીજા દેશમાં કર્યો હોય, તો પ્રત્યાર્પણ હેઠળ તેને તે દેશને સોંપી શકાય છે. આ માટે બંને દેશો વચ્ચે સંધિ હોવી જરૂરી છે.

ભારતમાં વિદેશી નાગરિકની ધરપકડના નિયમો:

ભારતમાં વિદેશી નાગરિકની ધરપકડ માટે વિશેષ કાયદાઓ અસ્તિત્વમાં છે:

  • ફોરેનર્સ એક્ટ, 1946: આ મુખ્ય કાયદો છે જે વિદેશી નાગરિકોને નિયંત્રિત કરે છે. આ હેઠળ સરકાર કોઈ વિદેશીને દેશમાં પ્રવેશ આપવા સાથે તેનું રહેવું કે બહાર મોકલવું નિયંત્રિત કરી શકે છે. જો કોઈ વિઝા વગર, એક્સપાયર્ડ વિઝા કે ખોટા દસ્તાવેજો સાથે મળી આવે, તો તેને કસ્ટડીમાં લઈ શકાય છે.

  • કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC/BNSS): ધરપકડની પ્રક્રિયા આ મુજબ થાય છે. પોલીસ કેટલાક કિસ્સાઓમાં વોરંટ વિના ધરપકડ કરી શકે છે. 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવા અનિવાર્ય છે. વકીલ રાખવાનો અધિકાર ભારતીય અને વિદેશી બંને પર સમાન રીતે લાગુ પડે છે.

  • દૂતાવાસને જાણ કરવી: ભારત વિયેના કન્વેન્શનનું પાલન કરે છે, તેથી વિદેશી નાગરિકને દૂતાવાસ સાથે સંપર્ક કરવાનો અધિકાર છે. ઘણીવાર પોલીસ પોતે જ દૂતાવાસને જાણ કરે છે.

  • ઇમિગ્રેશન ઉલ્લંઘનના કેસ: જો કોઈ વિદેશી વિઝા પૂરા થયા પછી પણ રહી રહ્યો હોય અથવા ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી રહ્યો હોય તો તેને અટકાયતમાં લઈ શકાય છે. બાદમાં તેને ‘ડિપોર્ટ’ (દેશનિકાલ) કરવામાં આવે છે.

  • રાષ્ટ્રીય સુરક્ષાના કેસ: ભારતમાં જો કોઈ વિદેશી જાસૂસી, આતંકવાદ કે સુરક્ષાના જોખમ સાથે સંકળાયેલો હોય તો યુએપીએ (UAPA) જેવા કડક કાયદા લાગુ કરવામાં આવે છે.

  • કસ્ટડી અને અધિકારો: વિદેશી નાગરિકને વકીલ રાખવાનો અધિકાર છે, મેડિકલ સુવિધા મળે છે અને કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર પણ છે.

કેટલાક મહત્વપૂર્ણ વ્યવહારુ પાસાઓ:

આમાં સમાનતાનો સિદ્ધાંત મહત્વનો છે—કાયદાની સામે વિદેશી અને સ્થાનિક નાગરિક સમાન છે. રાજદ્વારી બાબતોમાં જટિલતા પણ હોય છે; જો મામલો જાસૂસી જેવો સંવેદનશીલ હોય તો સરકારના સ્તરે વાતચીત થાય છે. ક્યારેક કેદીઓની અદલાબદલી પણ થાય છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને મીડિયા પણ આવા કિસ્સાઓ પર નજર રાખે છે.

- Advertisement -

ભારતમાં પણ આજ સિદ્ધાંતો લાગુ પડે છે, જ્યાં ફોરેનર્સ એક્ટ 1946 અને સીઆરપીસી હેઠળ કાર્યવાહી થાય છે. કાયદો કહે છે કે વિદેશી નાગરિકને સજા તો તે દેશના કાયદા મુજબ મળશે જ્યાં તેણે ગુનો કર્યો છે, પરંતુ તેને પોતાના દેશના દૂતાવાસનો સંપર્ક કરવાનો અને નિષ્પક્ષ સુનાવણી મેળવવાનો પૂરો હક છે.

વિદેશી નાગરિકની ધરપકડની પ્રક્રિયા શું હોય છે?

  1. ધરપકડની પ્રક્રિયા: ગૃહ મંત્રાલય (MHA) ના દિશાનિર્દેશો અનુસાર, જેવી કોઈ વિદેશીની ધરપકડ થાય, સ્થાનિક પોલીસે તરત જ વિદેશ મંત્રાલયને જાણ કરવાની હોય છે.

  2. કાનૂની અધિકારો: અનુચ્છેદ 22 હેઠળ વિદેશી નાગરિકને પણ એ જાણવાનો અધિકાર છે કે તેને કેમ પકડવામાં આવ્યો છે. તેને પોતાની પસંદગીના વકીલ રાખવાનો પૂરો અધિકાર છે.

  3. ભાષાની સુવિધા: જો તે હિન્દી કે અંગ્રેજી ન સમજતો હોય, તો પોલીસે ટ્રાન્સલેટર (અનુવાદક) ઉપલબ્ધ કરાવવો જોઈએ જેથી તે પોતાની વાત કહી શકે અને FIR સમજી શકે.

  4. 24 કલાકનો નિયમ: ભારતીયોની જેમ જ, કોઈપણ વિદેશીને ધરપકડના 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવા ફરજિયાત છે.

  5. જામીન અને પાસપોર્ટ: અવારનવાર વિદેશી નાગરિકોને સરળતાથી જામીન મળતા નથી કારણ કે તેમના દેશ છોડીને ભાગી જવાનો ડર હોય છે. કોર્ટ સામાન્ય રીતે તેમનો પાસપોર્ટ જપ્ત કરી લે છે.

  6. ડિટેન્સન સેન્ટર (Detention Center): જો કોઈ વિદેશીની સજા પૂરી થઈ જાય પરંતુ તેનો દેશ તેને પાછો લેવાની પ્રક્રિયા (ડિપોર્ટેશન) પૂરી ન કરે, તો તેને જેલના બદલે ‘ડિટેન્સન સેન્ટર’ માં રાખવામાં આવે છે.

  7. પ્રત્યાર્પણના નિયમો: જો કોઈ વ્યક્તિએ બીજા દેશમાં ગુનો કર્યો હોય અને તે ભારતમાં છુપાયો હોય, તો તેને પકડવા માટે પ્રત્યાર્પણ સંધિનું પાલન કરવામાં આવે છે. ઇન્ટરપોલ દ્વારા જારી કરાયેલ ‘રેડ કોર્નર નોટિસ’ ના આધારે પણ ધરપકડ થઈ શકે છે.

Share This Article