નવી દિલ્હી, તા.2 : કૈલાસ માનસરોવરના દર્શન માટે હવે શ્રદ્ધાળુઓને ચીન જવાની જરૂર નહીં પડે. આગામી તા. 15 ડિસેમ્બરથી ભારતની ધરતી પરથી જ શ્રદ્ધાળુઓ કૈલાસ માનસરોવરના દર્શનનો લાભ લઈ શકશે. હાલ સરકારી સ્તરે દર્શન યાત્રાની તૈયારી થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં એડવાઇઝરી જાહેર થશે.

ઉત્તરાખંડના પીથોરાગઢ જનપદની ચીન સીમાને લગોલગ ઓલ્ડ લીપુલેખથી કૈલાસ માનસરોવરના દર્શન કરાવવાની તૈયારીને આખરીઓપ અપાઈ રહ્યો છે. આદિ કૈલાસ અને ઓમ પર્વતના દર્શન કરીને શ્રદ્ધાળુઓ નાભિઢાંગથી 12 કિ.મી. જેટલી યાત્રા વાહનથી કરશે. ત્યારબાદ કૈલાસ પર્વતના દર્શન માટે શ્રદ્ધાળુઓએ દરિયાની સપાટીથી 17,500 ફૂટની ઊંચાઈ પર સ્થિત ઓલ્ડ લીપુલેખથી વ્યૂ પોઇન્ટ પહોંચવા માટે 200 મીટર જેટલું અંતર પગપાળા જવું પડશે. જ્યાંથી તેઓ ભગવાન શિવનાં નિવાસ્થાન કૈલાસ પર્વતના દર્શન કરી શકશે. ત્યારબાદ યાત્રા સરકારી પદ્ધતિથી શરૂ થશે. કૈલાસ પર્વતના દર્શન માટે શ્રદ્ધાળુઓને સવારે મોકલવામાં આવશે.

