ભારતીય જનતા પાર્ટી (BJP) એ જાન્યુઆરી 2025 માં નવા પ્રમુખની પસંદગી કરવાની છે. તે પહેલા પાર્ટી 2 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન શરૂ કરવા જઈ રહી છે. બીજેપીના જણાવ્યા અનુસાર, મોબાઈલ નંબર પર કોલ કરીને, વોટ્સએપ, ક્યૂઆર કોડ સ્કેન કરીને અને નમો એપ દ્વારા પાર્ટીની સદસ્યતા લઈ શકાય છે. સદસ્યતા અભિયાન દ્વારા ભાજપ તેના સભ્યો વિશે ઘણી માહિતી એકત્રિત કરશે. જેમાં પક્ષના સભ્યોની જાતિ, લિંગ, ઉંમર, રહેઠાણ અને અન્ય માહિતીનો સમાવેશ થાય છે.
ભાજપનું સભ્યપદ અભિયાનઃ કેવી રીતે શરૂ થશે?
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા 2 સપ્ટેમ્બર, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સદસ્યતાનું નવીકરણ કરીને અભિયાનની શરૂઆત કરશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને સદસ્યતા અભિયાનના વડા વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે, ‘સદસ્યતા અભિયાનનો પ્રથમ તબક્કો 25 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે અને ત્યારબાદ 1 ઓક્ટોબરે બીજા તબક્કાની શરૂઆત પહેલા આ કવાયતની સમીક્ષા કરવામાં આવશે. જે 15 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.

16 થી 31 ઓકટોબર દરમિયાન સક્રિય સભ્યોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આ (સક્રિય સભ્યો) ચોક્કસ સંખ્યામાં નવા સભ્યો બનાવીને સંસ્થાકીય ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. સૂત્રોને ટાંકીને પીટીઆઈએ લખ્યું છે કે પૂર્ણકાલીન ભાજપ અધ્યક્ષની ચૂંટણી પહેલા કાર્યકારી અધ્યક્ષની નિમણૂક કરવાની કોઈ યોજના નથી.
ભાજપનું સભ્યપદ કેવી રીતે લેશો?
નવા લોકો મોબાઈલ નંબર પર કોલ કરીને, QR કોડ સ્કેન કરીને, વોટ્સએપ નંબર પર મેસેજ કરીને, NaMo એપ દ્વારા અને BJPની વેબસાઈટ દ્વારા પાર્ટીમાં જોડાઈ શકે છે. જોકે, દૂરના વિસ્તારોમાં પક્ષ કાગળ પર નોંધણીની પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરશે.
ભાજપ પાસે અત્યારે કેટલા સભ્યો છે?
ભાજપે અગાઉ જાહેરાત કરી હતી કે પાર્ટી આ અભિયાન દરમિયાન 10 કરોડથી વધુ સભ્યો બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આમાં તે રાજ્યોનો સમાવેશ થશે નહીં જ્યાં આગામી થોડા મહિનામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભાજપની છેલ્લી સદસ્યતા અભિયાન પછી તેના સભ્યોની સંખ્યા 18 કરોડ હતી. પાર્ટીએ આશા વ્યક્ત કરી હતી કે આ વખતે આ આંકડો પાર થઈ જશે.
તાવડેના મતે ભાજપનું સભ્યપદ અભિયાન મોટાભાગે ડિજિટલ માધ્યમ પર નિર્ભર છે. તેમણે કહ્યું કે પાર્ટી આ અભિયાન માટે તેના 10 લાખ સક્રિય સભ્યોનો લાભ લેશે. ભાજપના તમામ વર્તમાન સભ્યોએ દર છ વર્ષે તેમની સદસ્યતા રિન્યૂ કરવાની હોય છે. આ ઝુંબેશમાં હાલના સભ્યોના સભ્યપદ રિન્યુ કરવાની સાથે નવા સભ્યો બનાવવામાં આવશે.

