નવી દિલ્હી, તા. 25 : દેશમાં ચાલી રહેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પહેલા અને બીજા તબક્કાનાં મતદાનની અંતિમ ટકાવારી મામલે વિરોધપક્ષ દ્વારા કથિત વિસંગતતા પર સવાલો વચ્ચે કેન્દ્રીય ચૂંટણીપંચે આજે પહેલા પાંચ તબક્કાની સંપૂર્ણ મતદાન ટકાવારીના આંકડા જાહેર કરતાં લોકોને આશ્વાસન આપ્યું હતું કે આપવામાં આવેલા મતોની સંખ્યામાં કોઈ પણ ફેરફાર અસંભવ છે. દરમ્યાન, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે પણ એક સમાચાર એજન્સીને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, મતદાનના આંકડાઓ વિશે શંકા પેદા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, દરેક સવાલનો જવાબ આપવામાં આવશે ચૂંટણીપંચે આજે પાંચ તબક્કામાં થયેલાં મતદાનના અંતિમ ડેટા જાહેર કર્યા હતાં જેમાં પાંચે તબક્કા દરમ્યાન ક્યા લોકસભા ક્ષેઁત્રમાં કેટલા ટકા લોકાએ મત આપ્યા તે જણાવવામાં આવ્યું હતું. પંચે એક નિવેદનમાં જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયાને ખરડવા માટે ખોટી ધારણાઓ ફેલાવવામાં આવી રહી છે.

પંચ અનુસાર મતદાનનો ડેટા ચૂંટણીના દિવસે સવારે 9:30 વાગ્યાથી તેની એપ પર ઉપલબ્ધ હોય છે. પંચે જણાવ્યું કે તેણે પોતાના મતદાન ડેટા જારી કરવાના ફોર્મેટનો વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો છે. પંચે એમ પણ કહ્યું કે, તે સુપ્રીમ કોર્ટના એ નિર્ણયથી પોતાને મજબૂત અનુભવે છે, જેમાં ચૂંટણીપંચને પોતાની વેબસાઈટ પર તમામ મતદાન કેન્દ્રોના મતદાનના અંતિમ આંકડા પ્રકાશિત કરવાનો નિર્દેશ આપવાની અરજી પર વિચાર કરવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. દરમ્યાન, એક સમાચાર એજન્સી સાથે વાત કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) રાજીવકુમારે કહ્યું કે, દેશમાં શંકાનો માહોલ સર્જવાનો અને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોર્ટને મંચ બનાવીને દુરુપયોગ કરાઈ રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે તો પોતાનો જવાબ આપી દીધો છે, અમે પણ એક દિવસ બધું જણાવશું અને કહેશું કે આખરે કઈ રીતે લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, દેશની ચૂંટણી પ્રક્રિયાની અખંડતાથી જોડાયેલી ચિંતાઓને દૂર કરવામાં આવશે.

