નવી દિલ્હી, તા. 17 : અમેરિકાના ન્યૂયોર્કમાં ઈન્ડિયા ડે અયોધ્યાનાં રામમંદિરની ઝલક આપતી ઝાંખી પર વિવાદ સર્જાયો છે. આ ઝાંખીને મુસ્લિમ વિરોધી લેખાવીને દેખાવો કરતાં અનેક સંગઠનોએ સરકારને પત્ર લખ્યો હતો. બીજી તરફ આ ઝાંખીનું આયોજન કરનાર `િવશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા’એ જણાવ્યું હતું કે, આ તો એક હિન્દુ પૂજા સ્થળનું પ્રતિનિધિત્વ છે. આયોજનનો આશય ભારતીય અને હિન્દુ ઓળખના એક મહત્ત્વપૂર્ણ ભાગરૂપે પૂજાતા દેવતાના મહિમા મંડનનો છે. તેમાં કોઈ સમુદાયના વિરોધની વાત જ ક્યાં આવી.

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને કહ્યું હતું કે, આ તો અભિવ્યક્તિની આઝાદીનો મામલો છે. વિરોધ જેવો કોઈ મુદ્દો છે જનહીં. કેટલાંક અમેરિકી સંગઠનોએ ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સ અને ગવર્નર કૈથી હોમુલને પત્ર લખી વિરોધ નોંધાવ્યો હતો. ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ સહિત સંગઠનોએ પત્રમાં આરોપ મૂક્યો હતો કે, આ મસ્જિદ તોડી પાડવાનાં કૃત્યનું મહિમામંડન છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસીએશને જણાવ્યું હતું કે, પરેડમાં ભારતીય સંસ્કૃતિની વિવિધતા બતાવવાનો હેતુ છે.

