Government Control Over Temples: મોદી સરકારનું ગ્રીન સિગ્નલ, શું મંદિરો પરથી સરકારી નિયંત્રણ હટશે? સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રના વલણથી નવી ચર્ચા

Arati Parmar
7 Min Read

Government Control Over Temples: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે તે મંદિરો પર સરકારી નિયંત્રણના પક્ષમાં નથી. ભારતમાં અનેક રાજ્યોમાં હિન્દુ ધર્મના એવા એવા મોટા મંદિરો છે, જેમાં દરરોજ લાખો-કરોડોનું ચઢાવો ચઢે છે. પરંતુ ત્યાંની રાજ્ય સરકારો મંદિરોનું પ્રશાસન, આવક અને સંપત્તિનું સંચાલન પોતાના હાથમાં રાખે છે. આ પરંપરાના સમર્થકો તેને પારદર્શિતા અને સારા સંચાલન માટે જરૂરી માને છે, તો વિરોધીઓ તેને ધાર્મિક સ્વતંત્રતામાં દખલગીરી ગણાવે છે.

ચીફ જસ્ટિસ સૂર્યકાંતના નેતૃત્વવાળી 9 જજોની બેન્ચ, બંધારણની કલમ 25 અને 26 હેઠળ રાજ્યના અધિકારોના દાયરાની સમીક્ષા કરી રહી છે, જે સબરીમાલા મંદિર પર પુનઃવિચાર અરજીઓમાંથી નીકળેલો મામલો છે. ત્યારબાદ મંદિરોના પ્રશાસન અને તેમના પર સરકારી નિયંત્રણને લઈને લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાએ ફરી એકવાર જોર પકડ્યું છે. આ કાયદાકીય વિશ્લેષણમાં જાણીશું કે ક્યારથી અને કેવી રીતે શરૂ થઈ આ પરંપરા અને શું મંદિરો પર સરકારી નિયંત્રણ ખરેખર જનહિતમાં છે, અથવા તે પરંપરાઓ અને આસ્થાના અધિકારોને પ્રભાવિત કરી રહ્યું છે.

- Advertisement -

મંદિરો પર સરકારી નિયંત્રણની શરૂઆતની વાર્તા

ભારતમાં મંદિરોના પ્રશાસન પર સરકારી નિયંત્રણના મૂળિયાં સંસ્થાનવાદી અંગ્રેજી શાસન સુધી જાય છે. બ્રિટિશ શાસન દરમિયાન ધાર્મિક સંસ્થાઓમાં પારદર્શિતા અને ભ્રષ્ટાચાર રોકવાના નામે કાયદા બનાવવામાં આવ્યા. સ્વતંત્રતા પછી પણ અનેક રાજ્યોએ તેને ચાલુ રાખ્યા અને પોતપોતાના કાયદા બનાવ્યા.

દક્ષિણ ભારતમાં વિશેષ રૂપથી “હિન્દુ ધાર્મિક અને ધર્માદા એન્ડોમેન્ટ એક્ટ” હેઠળ હજારો મંદિરોનું સંચાલન રાજ્યના હાથમાં છે. આ કાયદાઓનો ઉદ્દેશ્ય હતો કે મંદિરોની આવકનો સાચો ઉપયોગ થાય અને પ્રશાસન પારદર્શક બને, પરંતુ સમય જતાં આ ચર્ચાનો વિષય બની ગયો કે શું આ નિયંત્રણ જરૂર કરતા વધારે થઈ ગયું છે. જનતા સામે અનેક કિસ્સાઓ એવા આવ્યા, જેમાં જાણવા મળ્યું કે મંદિરોની આવકને યોગ્ય રીતે ખર્ચ કરવામાં આવી નથી.

- Advertisement -

શું છે આનું બંધારણીય પાસું

જોવામાં આવે તો આ આખા વિવાદનો સવાલ અને સમાધાન બંને ભારતના બંધારણમાં છે. તેને ત્રણ ખાસ મુદ્દાઓથી સમજી શકાય છે.

  • બંધારણથી મળેલી આઝાદી: બંધારણની કલમ 25 અને 26 ધાર્મિક સ્વતંત્રતા અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલી છે. કલમ 25 ધાર્મિક સ્વતંત્રતાની ગેરંટી આપે છે, તો કલમ 26 ધાર્મિક સંસ્થાઓને પોતાના મામલાઓનું સંચાલન કરવાનો અધિકાર આપે છે.

  • ધર્મનિરપેક્ષતાનો સિદ્ધાંત: ભારત ધર્મનિરપેક્ષતાના એવા મોડેલનું પાલન કરે છે, જેમાં રાજ્ય પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે તમામ ધર્મોથી એક સૈદ્ધાંતિક અંતર જાળવી રાખે. મંદિરોનું સીધું સંચાલન કરવાથી આ સીમા ઝાંખી થઈ શકે છે અને અલગ-અલગ ધર્મો સાથે સમાન વ્યવહારને લઈને સવાલ ઉઠી શકે છે.

  • કાયદાકીય અને રાજકીય એકરૂપતા: વિવેચકોનું એક જૂથ એવું માને છે કે ઐતિહાસિક રીતે, સરકારી નિયંત્રણ અન્ય ધર્મોની સંસ્થાઓની તુલનામાં હિન્દુ મંદિરોમાં વધુ પ્રચલિત રહ્યું છે. એવામાં કેન્દ્ર સરકાર આ પ્રકારના નિયંત્રણોથી પાછી હટવા માંગે છે તો, સામાન્ય જનતાના મનમાંથી અસમાન વ્યવહાર અને સંભવિત કાયદાકીય પડકારો સાથે જોડાયેલી ચિંતાઓ દૂર કરવામાં મદદ મળે છે.

સુપ્રીમ કોર્ટના જૂના મહત્વના નિર્ણયો

આ જટિલ અને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર જે તર્ક છે, તે એ કે મંદિરો પર સરકારી નિયંત્રણ બંધારણમાં આપેલા અધિકારોનું ઉલ્લંઘન કરે છે. બીજી તરફ રાજ્ય સરકારો કહેતી આવી છે કે તેમની દખલગીરી માત્ર વહીવટી છે, ધાર્મિક નથી. આ જ તે બંધારણીય સંતુલન છે જેને સુપ્રીમ કોર્ટે પહેલા પણ વારંવાર વ્યાખ્યાયિત કરવું પડ્યું છે, પરંતુ વિવાદ શાંત થયો નથી. મંદિર પ્રશાસન સાથે જોડાયેલા વિવાદો પર સુપ્રીમ કોર્ટે સમયાંતરે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા છે:

- Advertisement -
  • શિરૂર મઠ કેસ (1954): આ ઐતિહાસિક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ધાર્મિક સંસ્થાઓને પોતાના ધાર્મિક મામલાઓ સંચાલિત કરવાનો પૂરો અધિકાર છે. જોકે વહીવટી બાબતોમાં રાજ્ય મર્યાદિત દખલગીરી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે સ્થાપિત કર્યું કે ધર્મનો “આવશ્યક ભાગ” શું છે, તે ધાર્મિક સંપ્રદાય નક્કી કરશે, સરકાર નહીં. પરંતુ મંદિરો અને ધાર્મિક સંસ્થાઓનું પ્રશાસન અને તેનાથી જોડાયેલી પ્રવૃત્તિઓ એક સેક્યુલર પ્રવૃત્તિ છે, જેને રાજ્ય નિયંત્રિત કરી શકે છે.

  • ચિદમ્બરમ નટરાજન મંદિર કેસ (2014): કોર્ટે કહ્યું કે રાજ્ય કાયમી ધોરણે મંદિર પ્રશાસન પોતાના હાથમાં ન રાખી શકે, માત્ર મંદિર સાથે જોડાયેલી વહીવટી પ્રવૃત્તિઓમાં ગેરવહીવટ અથવા અનિયમિતતા હોવાની સ્થિતિમાં રાજ્ય સરકારની કામચલાઉ દખલગીરી જ વ્યાજબી ગણાશે. આ નિર્ણયે સ્પષ્ટ કર્યું કે રાજ્યની ભૂમિકા મર્યાદિત હોવી જોઈએ, પરંતુ પૂરી રીતે ખતમ નહીં.

  • સબરીમાલા કેસ (2018): જોકે આ મામલો સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાના અધિકાર સાથે જોડાયેલો હતો, પરંતુ કોર્ટે ધાર્મિક પ્રથાઓ અને બંધારણીય મૂલ્યો બંને વચ્ચે સંતુલનની વાત કહી. કોર્ટે મહિલાઓના (10–50 વર્ષની વય જૂથ) પ્રવેશ પરના પ્રતિબંધને ગેરબંધારણીય ગણાવ્યો અને પોતાના નિર્ણયમાં કહ્યું કે સમાનતા અને પૂજાનો અધિકાર સર્વોપરી છે.

  • શ્રી પદ્મનાભસ્વામી મંદિર કેસ (2020): આ વિવાદમાં સુપ્રીમ કોર્ટે ત્રાવણકોર શાહી પરિવારના પરંપરાગત રીતે મંદિર સંચાલન અધિકારોને માન્યતા આપી. પરંતુ પ્રશાસન અને સંચાલન સાથે જોડાયેલા કાર્યોને લઈને પારદર્શિતા અને દેખરેખ માટે સમિતિ બનાવવાનો નિર્દેશ આપ્યો.

કેન્દ્રનું વલણ અને તેના ગર્ભિતાર્થો

ચીફ જસ્ટિસ સૂર્યકાંતના નેતૃત્વવાળી 9 જજોની બંધારણીય બેન્ચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જ્યારે સરકારનો પક્ષ રજૂ કરતા બેન્ચને જણાવ્યું કે તે મંદિરો પર સરકારી નિયંત્રણના પક્ષમાં નથી, ત્યારે તેને માત્ર કાયદાકીય નિવેદન નહીં પણ એક રાજકીય સંકેત પણ માનવામાં આવે છે. આનાથી એ સંદેશ જાય છે કે ધાર્મિક સંસ્થાઓને વધુ સ્વાયત્તતા આપવા માટે સરકાર હવે તૈયાર છે. સરકાર હવે માની ચૂકી છે કે આવા મામલાઓને હાથમાં લેવા એ બેધારી તલવાર છે.

ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે સરકારો હંમેશા ધાર્મિક સંસ્થાઓને સંભાળવા માટે સૌથી શ્રેષ્ઠ સ્થિતિમાં હોતી નથી. આસ્થાવાન ભક્તોના વિશાળ સમૂહ અને વિશાળ મંદિરો તથા આ સંસ્થાઓ માટે અવારનવાર વિશેષ સાંસ્કૃતિક, રીતિ-રિવાજો સાથે જોડાયેલા અને સમુદાય-આધારિત સંચાલનની આવશ્યકતા હોય છે. સરકારી નિયંત્રણની અનેકવાર તેની અમલદારશાહી અને ગેરવહીવટ માટે ટીકા કરવામાં આવી છે. અનેક ધાર્મિક સમુદાયો અને ભક્તો એવો તર્ક આપે છે કે મંદિરોનું સંચાલન રાજ્યના અધિકારીઓ દ્વારા નહીં, પરંતુ તે ધર્મને માનનારા લોકોથી બનેલા ટ્રસ્ટો અથવા બોર્ડ દ્વારા થવું જોઈએ, જેથી પરંપરાઓને સુરક્ષિત રાખી શકાય અને ભક્તો પ્રત્યે જવાબદારી સુનિશ્ચિત કરી શકાય.

આગળની રાહ

સુપ્રીમ કોર્ટ સામે સૌથી મોટો પડકાર એ છે કે તે ધાર્મિક સ્વતંત્રતા અને વહીવટી પારદર્શિતા વચ્ચે સંતુલન જાળવે. કોર્ટ એ નક્કી કરી શકે છે કે રાજ્ય માત્ર કામચલાઉ રીતે જ દખલગીરી કરે, જે તેણે પહેલાના કેટલાક કિસ્સાઓમાં કર્યું પણ છે. પદ્મનાભસ્વામી મંદિર કેસ મામલાની તર્જ પર મંદિરો માટે સ્વતંત્ર ટ્રસ્ટ અથવા બોર્ડ બનાવવામાં આવે. કેન્દ્રના વલણ પછી સુપ્રીમ કોર્ટ જો આ મામલા પર વિગતવાર નિર્ણય આપે છે તો આ નિર્ણય આવનારા સમયમાં ધાર્મિક સંસ્થાઓના સંચાલનનું નવું માળખું નક્કી કરી શકે છે. એટલું જ નહીં, આ નિર્ણય ભારતમાં ધર્મ અને રાજ્યના સંબંધને નવી વ્યાખ્યા આપી શકે છે.

Share This Article