નવી દિલ્હી, તા. 31 : ઉત્તરપ્રદેશના મથુરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકનું સમાપન થયું છે, પરંતુ આ બેઠકમાં સંઘે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળવાની ઇચ્છા બતાવતાં રાજકીય જગતમાં ચર્ચા જાગી છે.
વાત જાણે એમ છે કે,સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ સંઘની બેઠકમાં કહ્યું હતું કે, અમારી કોંગ્રેસ સાથે કોઇ ખેંચતાણ નથી. અમે અને અમારા સંઘના લોકો સમાજના દરેક વર્ગ, દરેક પંથના લોકોને મળતા હોય છે, તેવું તેમણે કહ્યું હતું. લોકસભા ચૂંટણી પહેલાં વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચા જામી ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેમણે આરએસએસની વિચારધારા અપનાવી છે. ભલે મારું ગળું કાપી નાખો પણ, હું આરએસએસના કાર્યાલયમાં જવાનો નથી. રાહુલ તરફ ઇશારા સાથે સંઘમાં બીજું સ્થાન ધરાવતા હોસબોલેએ કહ્યું હતું કે, આપ નફરતની બજારમાં મોહબ્બતની દુકાન ચલાવવા માંગો છો, પરંતુ સંઘને મળતા માગતા નથી. અમે તો રાહુલને મળવા માંગીએ છીએ તેવી વાત સંઘના નેતા હોસબોલેએ કરી હતી.

