Indian Railway: ઈન્ડિયન રેલવેએ લોકો પાયલટ્સની લાંબા સમયથી પડતર માગ ફગાવી દીધી છે, જેમાં ડ્યૂટી દરમિયાન જમવા અને ટોઇલેટ માટે બ્રેક આપવાની વાત કહી હતી. રેલવેએ તેના માટે એક હાઈ લેવલ કમિટી બનાવી હતી. આ કમિટીએ ભલામણ કરી કે, લોકો પાયલટ્સને લંચ અને ટોઇલેટ બ્રેક આપવા માટે નિયમો બનાવવા વ્યવહારીક રીતે સંભવ નથી.
એક અહેવાલ પ્રમાણે રેલવે બોર્ડે આ કમિટીની ભલામણ પર સહમતિ આપી દીધી છે. આ નિર્ણય દેશરમાં વધતી જતી રેલવે દુર્ઘટનાઓ વચ્ચે લેવામાં આવ્યો છે, જેમાં મોટા ભાગે માનવીય ભૂલોને કારણ બતાવવામાં આવી રહી છે.
હાઈ સ્પીડ લિમિટ વધારવામાં આવી
રેલવેએ હાઈ સ્પીડ ટ્રેનોની લિમિટ 110 કિમી પ્રતિ કલાકથી વધારીને 130 કિમી પ્રતિ કલાક કરી દીધી છે. રેલવે બોર્ડના પાંચ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ અને રેલવેની રિસર્ચ બ્રાન્ચ – રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન (RDSO)ની મલ્ટી ડિસીપ્લિનરી કમિટીએ તેની ભલામણ કરી છે. કમિટીએ 200 કિમી પ્રતિ કલાક કે તેથી વધુ અંતરે દોડતી મેઈનલાઈન ઈલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ (MEMU) ટ્રેનોમાં એક સહાયક લોકો પાયલટ તહેનાત કરવાની ભલામણ પણ કરી છે.
લોકો પાયલટ સ્ટાફ એસોસિએશને નારાજગી વ્યક્ત કરી
ઓલ ઈન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન (AILRSA) એ રેલવે બોર્ડના આ નિર્ણયોની નિંદા કરી છે. એસોસિએશને આ ભલામણોને વાસ્તવિકતાથી દૂર અને પાયાવિહોણી ગણાવી છે. રેલવે બોર્ડના ચેરમેનને લખેલા પત્રમાં AILRSAના જનરલ સેક્રેટરી કેસી જેમ્સે કહ્યું કે, કમિટી લોકો પાયલટ્સના તણાવના વધતા સ્તરનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ ગઈ છે. લોકોમોટિવમાં ટોઇલેટની સુવિધાના અભાવે નેચરલ કોલ માટે બ્રેક ન આપવાનો ઈનકાર અસ્વીકાર્ય છે.
આ ઉપરાંત રેલવેએ લોકો કેબિનમાં ક્રૂ વોઈસ અને વિડિયો રેકોર્ડિંગ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાનો બચાવ કર્યો છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે, આનાથી ગોપનીયતાનું ઉલ્લંઘન નહીં થશે. આ સુવિધાનો હેતુ ક્રૂ સભ્યોને કોઈપણ ઘટનાનું વિશ્લેષણ કરવામાં મદદ કરવાનો છે. રેલવે બોર્ડે તમામ ઝોનના જનરલ મેનેજરોને એક પત્ર જારી કરીને જણાવ્યું છે કે, આનાથી ક્રૂ (લોકો પાયલટ ગ્રુપ) પર કોઈ એડિશનલ વર્કલોડ નહીં પડે. આ ફક્ત ટ્રેનોના સલામત સંચાલનને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યું છે.

