Iran Strike On Kuwait Power And Water Plant: યુએસ-ઈરાન યુદ્ધને કારણે આખું મિડિલ ઇસ્ટ સંકટમાં છે. આ યુદ્ધની લપેટમાં સામાન્ય લોકો પણ આવી રહ્યા છે અને તેમણે પોતાનો જીવ ગુમાવવો પડી રહ્યો છે. તે જ ક્રમમાં કુવૈતમાં એક ભારતીય નાગરિકના મોતનો તાજો કિસ્સો સામે આવ્યો છે.
કુવૈતના વીજળી, પાણી અને રિન્યુએબલ એનર્જી મંત્રાલયે સોમવારે જણાવ્યું કે એક પાવર સ્ટેશન પર થયેલા હુમલામાં એક ભારતીય કર્મચારીનું મોત નીપજ્યું છે અને સર્વિસ બિલ્ડિંગને ભારે નુકસાન પહોંચ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ઘટના રવિવાર સાંજની છે અને તેને ઈરાનની આક્રમક કાર્યવાહીનો ભાગ ગણાવવામાં આવી છે. મંત્રાલયના પ્રવક્તા એન્જિનિયર ફાતિમા અબ્બાસ જોહર હયાતે નિવેદનમાં કહ્યું, ‘કુવૈત વિરુદ્ધ ઈરાની આક્રમકતા હેઠળ એક વીજળી અને પાણીના પ્લાન્ટમાં બનેલી એક સર્વિસ બિલ્ડિંગ પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં એક ભારતીય કર્મચારીનું મોત થયું અને ઇમારતને ઘણું નુકસાન પહોંચ્યું.’
અમેરિકી ઠેકાણાઓ પર ઈરાનના હુમલા જારી
કુવૈત મિડિલ ઇસ્ટના તે અનેક દેશોમાંનો એક છે, જેમને ઈરાન પર US-ઇઝરાયેલ યુદ્ધનું પરિણામ ભોગવવું પડ્યું છે. તેના જવાબમાં તેહરાને પશ્ચિમ એશિયામાં અલગ-અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને US ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. એક અલગ નિવેદનમાં કુવૈતના સંરક્ષણ મંત્રાલયે રવિવારે કહ્યું કે એક મહિના પહેલા સંઘર્ષ શરૂ થયા પછી દેશ પર કુલ ૩૦૭ બેલિસ્ટિક મિસાઇલો, બે ક્રૂઝ મિસાઇલો અને ૬૧૬ ડ્રોન છોડવામાં આવ્યા છે.
વીજળી મંત્રાલયે શાંતિ જાળવી રાખવાની અપીલ પણ કરી અને જનતાને આગ્રહ કર્યો કે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે.
નિવેદનમાં કુવૈતના રહેવાસીઓને કહેવામાં આવ્યું કે તેઓ જાણકારી માત્ર સત્તાવાર સ્રોતો પાસેથી જ મેળવે અને એ ભરોસો આપ્યો કે ઘટનાક્રમ વિશે સતત અને પારદર્શક અપડેટ આપવામાં આવતા રહેશે.
પ્રવક્તાએ ભારપૂર્વક કહ્યું કે વીજળી અને પાણીની વ્યવસ્થાની સુરક્ષા અને સ્થિરતા સૌથી મોટી પ્રાથમિકતા છે.
તેમણે જણાવ્યું કે તમામ ટેકનિકલ ટીમો કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા અને જરૂરી સેવાઓની નિરંતરતા સુનિશ્ચિત કરવા માટે પૂરી કુશળતા સાથે દિવસ-રાત કામ કરી રહી છે.

