ચોમાસામાં રાત પડે એટલે લાઈટની આસપાસ પાંખવાળા જંતુ ઉડવા લાગે છે અને તેને ખાવા માટે ગરોળીઓ પણ પહોંચી જાય છે. આમ ચોમાસામાં જીવજંતુઓની સાથે ગરોળીની સમસ્યા ઘરમાં વધી જતી હોય છે. આજે તમને 3 સરળ ઉપાય જણાવીએ જેને કરવાથી ગરોળી તમારા ઘરમાંથી ભાગી જશે અને બીજીવખત દેખાશે પણ નહીં.

વરસાદી વાતાવરણમાં પાંખવાળા જીવજંતુઓની સાથે ગરોળીની સંખ્યા પણ વધી જાય છે. ચોમાસા દરમિયાન ઘરમાં પણ વધારે પ્રમાણમાં ગરોળીઓ દેખાવા લાગે છે. દિવસ દરમિયાન દિવાલ પર ફરતી ગરોળી રાત્રે જમીન પર દોડતી જોવા મળે છે. કેટલાક લોકોના ઘરમાં તો ગરોળીના બચ્ચા ત્રાસ કરી દેતા હોય છે. ગરોળીને જોઈને ચીતરી ચઢવાની સાથે બીક પણ લાગે છે. ગરોળી સ્વાસ્થ્ય માટે પણ જોખમરુપ હોય છે.
જો ખાવા પીવાની વસ્તુમાં ગરોળીનું મળ કે તેની લાળ પડી જાય તો તેના કારણે ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે. તેથી જ દરેક ગૃહિણી ગરોળીને પોતાના ઘરથી દૂર રાખવા માંગે છે. જો તમે પણ ગરોળીથી ત્રાસી ગયા હોય તો આજે તમને 3 સરળ ઉપાય જણાવીએ. આ 3 ઉપાય તમને ગરોળીથી કાયમી મુક્તિ અપાવી દેશે.
ગરોળી ભગાડવાના 3 અસરકારક ઉપાય
1. ગરોળી ભગાડવાનો પહેલો ઉપાય છે લસણ અને ડુંગળી. લસણ અને ડુંગળીમાં તીવ્ર ગંધ હોય છે. આ ગંધ ગરોળી સહન કરી શકતી નથી. જો તમે ગરોળીને ઘરમાંથી ભગાડવા માંગો છો તો જ્યાં સૌથી વધુ ગરોળી દેખાતી હોય ત્યાં લસણ અને ડુંગળીના ટુકડા રાખી દેવા. તમે ઈચ્છો તો લસણ અને ડુંગળીની પેસ્ટ બનાવી તેને પાણીમાં ઉમેરીને દીવાલો પર તેનો છંટકાવ પણ કરી શકો છો.
2. ચોમાસા દરમિયાન ઘરમાં સતત ભેજવાળું વાતાવરણ રહે છે તેના કારણે ગરોળી પણ વધારે પ્રમાણમાં દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં ઘરમાં નેપ્થલીન બોલ એટલે કે ફીનાઇલની ગોળીઓ રાખવી જોઈએ. ખાસ કરીને રસોડાના કબાટ અને સિંકની નીચે ફીનાઇલની ગોળીઓ રાખવી. આ જગ્યાઓમાં નાના-નાના જીવજંતુ સાથે ગરોળી પણ ફરતી હોય છે.
3. ગરોળીને ભગાડવાનો ત્રીજો અને સૌથી અસરકારક ઉપાય છે પેપર સ્પ્રેનો. તેના માટે મરીનો પાવડર કરીને તેને પાણીમાં મિક્સ કરી સ્પ્રે બોટલમાં ભરી રાખો. હવે લાઇટની આસપાસ જ્યાં ગરોળી સૌથી વધુ જોવા મળે છે ત્યાં આ સ્પ્રેનો છંટકાવ થોડા થોડા કલાકે કરી દેવો. એક વખત ગરોળી આ જગ્યાએ આવશે પછી તમારું ઘર છોડીને ભાગી જશે. ચોમાસા દરમિયાન આ સ્પ્રે છાંટવાથી પાંખવાળા જીવજંતુઓ પણ ઘરમાં ફરકતા નથી.

