Modi Govt Vs UPA Minister Resignation: મોદી સરકારમાં મંત્રીઓના રાજીનામાનો ઇતિહાસ, હવે ધર્મેન્દ્ર પ્રધાન પર સવાલ

Arati Parmar
6 Min Read

Modi Govt Vs UPA Minister Resignation: ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 13 વર્ષ અને હવે છેલ્લા 12 વર્ષથી વડાપ્રધાન તરીકે દેશની સૌથી મોટી જવાબદારી સંભાળી રહેલા નરેન્દ્ર મોદી પોતાના મંત્રીઓના કામકાજ પર વ્યક્તિગત રીતે નજર રાખે છે. અત્યાર સુધીની તેમની રાજકીય સફરમાં કામગીરી (પરફોર્મન્સ) જ સૌથી મોટું માપદંડ રહ્યું છે. વિરોધ પક્ષના દબાણ કે જાહેર આંદોલનના કારણે તેમણે મંત્રીઓ પાસેથી રાજીનામું લેવાયું હોય તેવા બનાવો ખૂબ ઓછા રહ્યા છે. જોકે, છેલ્લા 25 વર્ષની લાંબી રાજકીય સફરમાં કેટલાક એવા પ્રસંગો આવ્યા છે જ્યારે મંત્રીઓને પદ છોડવું પડ્યું હતું. હાલમાં ધર્મેન્દ્ર પ્રધાનના મામલે સરકાર તરફથી હજુ સુધી એવો કોઈ સંકેત આપવામાં આવ્યો નથી કે તેમને પદ છોડવું પડી શકે.

મુખ્યમંત્રી તરીકેનો સમય

- Advertisement -

માયા કોડનાની (માર્ચ 2009)

ગુજરાત સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી માયા કોડનાનીને 2002ના નરોડા પાટિયા રમખાણ કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીનની અરજી નામંજૂર કરવામાં આવ્યા બાદ મંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ તેમણે આત્મસમર્પણ કર્યું હતું. વર્ષો બાદ માયા કોડનાનીને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

- Advertisement -

અમિત શાહ (જુલાઈ 2010)

ગુજરાતના તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ સામે સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં CBI દ્વારા ચાર્જશીટ દાખલ થયા બાદ અને ધરપકડની શક્યતા ઉભી થતા તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં તેમની તરફથી રાજીનામાની જાહેરાત કરી હતી. જોકે, વર્ષો બાદ અમિત શાહને આ કેસમાં ક્લીન ચિટ મળી હતી. કોર્ટના નિર્ણય બાદ તેઓ સૌપ્રથમ સોમનાથ દર્શન કરવા ગયા હતા.

- Advertisement -

વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં રાજીનામા

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન વિરોધ પક્ષ અથવા જનઆંદોલનના સીધા દબાણ હેઠળ કોઈ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું હોય તેવા બનાવો ખૂબ જ ઓછા રહ્યા છે. જોકે, નીતિ સંબંધિત વિવાદો, ચૂંટણી અને કામગીરીના મૂલ્યાંકનને આધારે થયેલા કેબિનેટ ફેરબદલ દરમિયાન કેટલાક મોટા રાજીનામા જોવા મળ્યા છે.

એમ. જે. અકબર (ઓક્ટોબર 2018)

દેશમાં ચાલેલા ‘મી ટૂ’ આંદોલન દરમિયાન તત્કાલીન વિદેશ રાજ્યમંત્રી એમ. જે. અકબર સામે અનેક મહિલા પત્રકારોએ યૌન ઉત્પીડનના આરોપો લગાવ્યા હતા. ભારે સામાજિક અને રાજકીય વિવાદ બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

હરસિમરત કૌર બાદલ (સપ્ટેમ્બર 2020)

શિરોમણી અકાલી દળની નેતા અને કેન્દ્રીય ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી હરસિમરત કૌર બાદલે ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. તેમનું રાજીનામું નીતિગત મતભેદ અને ખેડૂતોના આંદોલનના દબાણના કારણે થયું હતું.

ડૉ. હર્ષવર્ધન (જુલાઈ 2021)

કેબિનેટ વિસ્તરણ પહેલાં મોદી સરકારે એકસાથે 12 મંત્રીઓ પાસેથી રાજીનામા લીધા હતા. તેને વહીવટી નિષ્ફળતા અને વિવિધ વિવાદો સાથે જોડીને જોવામાં આવ્યું હતું. તેમાં તત્કાલીન આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધનના રાજીનામાને દેશવ્યાપી ટીકા એક મહત્વપૂર્ણ કારણ માનવામાં આવ્યું હતું.

રવિશંકર પ્રસાદ

તત્કાલીન IT અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને સોશિયલ મીડિયા કંપનીઓ, ખાસ કરીને ટ્વિટર, સાથે વધતા વિવાદો અને નવા IT નિયમોને લઈને સર્જાયેલા મતભેદોની વચ્ચે પદ પરથી હટાવવામાં આવ્યા હતા.

રમેશ પોખરિયાલ ‘નિશંક’

તત્કાલીન શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ને નવી શિક્ષણ નીતિના અમલીકરણ અને સ્વાસ્થ્ય સંબંધિત કારણો વચ્ચે સર્જાયેલા વિવાદોના સમયમાં પદ પરથી હટાવવામાં આવ્યા હતા.

મનમોહન સિંહના કાર્યકાળમાં કેટલાં રાજીનામા થયા?

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના 2004થી 2014ના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર, કૌભાંડો અને રાજકીય મતભેદોને કારણે અનેક મંત્રીઓએ રાજીનામા આપ્યા હતા. જેના કારણે સરકારની છબીને પણ મોટું નુકસાન થયું હતું.

પવન કુમાર બંસલ (2013)

રેલવે બોર્ડમાં અધિકારીઓની નિમણૂક માટે લાંચ લેવાના આરોપોમાં તેમના એક સગાની ધરપકડ થયા બાદ રેલવે મંત્રી પવન કુમાર બંસલે રાજીનામું આપ્યું હતું.

અશ્વિની કુમાર (2013)

કોલ બ્લોક ફાળવણી કૌભાંડ સાથે જોડાયેલી CBI તપાસ રિપોર્ટને પ્રભાવિત કરવાનો આરોપ અને સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ બાદ કાયદા મંત્રી અશ્વિની કુમારે રાજીનામું આપ્યું હતું.

એ. રાજા (2010)

2G સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડમાં નામ સામે આવ્યા બાદ સંચાર મંત્રી એ. રાજાએ પદ છોડ્યું હતું.

શશિ થરૂર (2010)

IPLની કોચી ફ્રેન્ચાઇઝીની બોલી પ્રક્રિયામાં નાણાકીય અનિયમિતતા અને વિવાદોને લઈને વિદેશ રાજ્યમંત્રી શશિ થરૂરે રાજીનામું આપ્યું હતું.

શિબુ સોરેન (2006)

હત્યાના જૂના કેસમાં અદાલત દ્વારા દોષિત ઠરાવવામાં આવ્યા બાદ કોલસા મંત્રી શિબુ સોરેને તરત જ રાજીનામું આપ્યું હતું.

TMC મંત્રીઓનું સામૂહિક રાજીનામું (2012)

તત્કાલીન UPA સરકારે રિટેલ ક્ષેત્રમાં FDIને મંજૂરી આપવાના નિર્ણયના વિરોધમાં TMCના 6 મંત્રીઓએ સામૂહિક રાજીનામું આપ્યું હતું. તેમાં મુકુલ રોય પણ સામેલ હતા.

દયાનિધી મારન (2011)

2011ના કેબિનેટ ફેરબદલ દરમિયાન DMKના તત્કાલીન કાપડ મંત્રી દયાનિધી મારને 2G સ્પેક્ટ્રમ સાથે જોડાયેલા નવા આરોપો બાદ રાજીનામું આપ્યું હતું.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની કેટલી શક્યતા?

કોકરોચ જનતા પાર્ટી અને કોંગ્રેસ ભલે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા હોય, પરંતુ આ મુદ્દે ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકનું વલણ થોડું નરમ માનવામાં આવે છે.

ધર્મેન્દ્ર પ્રધાન એવા સાત મંત્રીઓમાં સામેલ છે, જે વર્ષ 2014થી સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેબિનેટમાં છે. એટલા પરથી તેમની રાજકીય મહત્વતા સમજી શકાય છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના મજબૂત નેતા છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની મજબૂત પૃષ્ઠભૂમિ ધરાવે છે.

ધર્મેન્દ્ર પ્રધાન સાથે એક રસપ્રદ વાત પણ જોડાયેલી છે. તેઓ પ્રથમ વખત ભાજપ યુવા મોરચાના નેતા તરીકે ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે ઓડિશાના ભુવનેશ્વરમાં પેપર લીકના મુદ્દે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. ધર્મેન્દ્ર પ્રધાન જુલાઈ મહિનામાં કેન્દ્રીય મંત્રી બન્યા હતા અને હવે ફરી જુલાઈ મહિનામાં જ તેમના રાજીનામાની માંગને લઈને રાજકીય ચર્ચા તેજ બની છે.

Share This Article