વાય જંકશનથી લાલભાઈ સ્ટેડિયમ સુધીની ભવ્ય માર્ચ, દેશભક્તિની લહેર પ્રવર્તી
સુરત શહેરે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે ઐતિહાસિક તિરંગા યાત્રાનું આયોજન કરીને દેશભક્તિનો નવો અધ્યાય ઉમેર્યો હતો. વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી નીકળેલી આ પદયાત્રામાં હજારો લોકોએ ભાગ લીધો હતો. હાથમાં ત્રિરંગો પકડીને લોકો દેશભક્તિના ઉત્સાહથી ભરેલા દેખાયા.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જલ શક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે આ ભવ્ય યાત્રાનું ઉદ્ઘાટન કર્યું હતું. યાત્રાના રૂટ પર તિરંગાના રંગોમાં રંગાયેલા દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ યાત્રામાં શહેરના વિવિધ વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના બાળકો, કોલેજના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ, યોગ બોર્ડના કાર્યકરો, પોલીસ બેન્ડ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ પરંપરાગત પોશાકમાં ત્રિરંગા સાથે માર્ચ કરતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભારત ભારતી સંસ્થા હેઠળ, ભારતના 15 રાજ્યોના લોકોએ તેમના પરંપરાગત પોશાકમાં ભાગ લીધો હતો અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના આદર્શને મૂર્તિમંત કર્યો હતો.
તિરંગા યાત્રાનું મુખ્ય આકર્ષણ સેનાની ત્રણ ટુકડીઓએ રજૂ કરેલી પરેડ હતી. સેનાના જવાનોએ પોતાની બહાદુરી અને પરાક્રમનું પ્રદર્શન કરીને લોકોના દિલ જીતી લીધા હતા. યાત્રા રૂટ પર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ આકર્ષક લાઇટીંગે સમગ્ર વાતાવરણને વધુ સુંદર બનાવ્યું હતું.

