Anti Naxalism Strategy: ૬૧ જિલ્લામાંથી ઘટીને માત્ર ૫ જિલ્લામાં સીમિત થયો નક્સલવાદ; બિહારમાં શાંતિનો સૂર્યોદય, જાણો ગ્રાઉન્ડ રિપોર્ટના આંકડા શું કહે છે!

Arati Parmar
3 Min Read

Anti Naxalism Strategy: ગૃહ મંત્રી અમિત શાહ અનેક પ્રસંગોએ જાહેરાત કરી ચૂક્યા છે કે સરકારનું લક્ષ્ય 31 માર્ચ 2026 સુધીમાં દેશભરમાંથી નક્સલવાદનો સફાયો કરવાનું છે. છેલ્લા એક વર્ષમાં આ દિશામાં સુરક્ષા દળોને ઘણી સફળતાઓ પણ મળી છે, જેમાં નક્સલવાદીઓના અનેક મોટા કમાન્ડરોને ઠાર કરવામાં આવ્યા છે. સરકાર આ લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહી છે, જેની સાક્ષી આંકડાઓ પણ આપી રહ્યા છે. લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં સરકારે તે જિલ્લાઓ અને પોલીસ સ્ટેશનોના આંકડા આપ્યા છે, જ્યાં નક્સલી હિંસાની ઘટનાઓ સામે આવે છે. આવા જિલ્લાઓ અને સ્ટેશનોની સંખ્યા આ વર્ષે જાન્યુઆરીમાં ઘટીને અનુક્રમે 5 અને 11 રહી ગઈ છે. આ જિલ્લાઓ અને સ્ટેશનો માત્ર બે રાજ્યોમાં જ છે. જેમાં છત્તીસગઢના 3 જિલ્લાના 9 પોલીસ સ્ટેશન અને ઝારખંડના 2 જિલ્લાના 2 પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે.

2019માં અમિત શાહે ગૃહ મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો ત્યારથી નક્સલીઓનો ભૌગોલિક વ્યાપ સતત સંકોચાઈ રહ્યો છે. 2019માં જ્યાં દેશના 61 જિલ્લાના 245 પોલીસ સ્ટેશનોમાંથી નક્સલી વારદાતોની ઘટનાઓ સામે આવી હતી, ત્યાં 2020માં 53 જિલ્લાના 229 સ્ટેશનોમાંથી આવી ઘટનાઓ નોંધાઈ હતી. 2024માં 42 જિલ્લાના 151 સ્ટેશનોમાં જ્યારે 2025માં 32 જિલ્લાના 119 સ્ટેશનોમાં નક્સલી ઘટનાઓ બની હતી.

- Advertisement -

સૌથી વધુ નક્સલ પ્રભાવિત વિસ્તારો ઝારખંડ, બિહાર અને છત્તીસગઢ રહ્યા છે. 2019માં જે 245 પોલીસ સ્ટેશનોમાંથી આવી ઘટનાઓ સામે આવી હતી તેમાંથી 195 આ ત્રણ રાજ્યોમાંથી જ હતા. પરંતુ જ્યાં બિહારમાં આ વર્ષે અત્યાર સુધી નક્સલી હિંસાની એક પણ ઘટના બની નથી, ત્યાં છત્તીસગઢ અને ઝારખંડમાં પણ આ માત્ર 11 પોલીસ સ્ટેશનો સુધી સીમિત થઈ ગયું છે.

મોદી સરકારે 2014માં સત્તા સંભાળતાની સાથે જ આ સમસ્યાના નિરાકરણ માટે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. 2015માં ગૃહ મંત્રાલયે ‘ડાબેરી ઉગ્રવાદના ખાત્મા માટે નેશનલ એક્શન પ્લાન’ તૈયાર કર્યો. આ અંતર્ગત અનેક મોરચે કામ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સુરક્ષા સંબંધિત પગલાં લેવાની સાથે સાથે વિકાસ સુનિશ્ચિત કરવો અને સ્થાનિક લોકોના અધિકારો સુરક્ષિત રાખવાનો સમાવેશ થાય છે.

- Advertisement -

આ ઉપરાંત નક્સલીઓના શરણાગતિ (સરન્ડર) માટે જે નીતિ બનાવવામાં આવી તેનો પણ ફાયદો જોવા મળ્યો છે. નીતિ મુજબ, ઉચ્ચ રેન્કના કોઈ નક્સલી શરણાગતિ સ્વીકારે તો તેને 5 લાખ રૂપિયા, જ્યારે નાના રેન્કના નક્સલીને શરણાગતિ પર 2.5 લાખ રૂપિયા આપવામાં આવે છે. હથિયારો સોંપવા પર પણ ઇનામની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય સરન્ડર કરનાર નક્સલીને કોઈ વ્યવસાય માટે તાલીમ આપવાની પણ નીતિ બનાવવામાં આવી છે. આ અંતર્ગત 3 વર્ષ સુધી દર મહિને 10,000 રૂપિયા સ્ટાઈપેન્ડ આપવાની પણ જોગવાઈ રાખવામાં આવી છે. પરિણામ એ આવ્યું છે કે 2019 થી જાન્યુઆરી 2026 સુધીમાં 5880 નક્સલીઓએ શરણાગતિ સ્વીકારી છે. આ જ સમયગાળા દરમિયાન 7409 નક્સલીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

Share This Article