નવી દિલ્હી, તા. 9 : અનુસૂચિત જાતિ તેમજ જનજાતિ (એસસી-એસટી)માં અનામતની અંદર અનામતના દેશની સર્વોચ્ચ અદાલતના ફેંસલા બાદ શુક્રવારે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, બંધારણ હેઠળ અત્યારે અપાય છે તે મુજબ જ અનામત જારી રહેશે. બાબાસાહેબના બંધારણમાં એસસી અને એસટી માટે અનામતમાં ક્રિમીલેયર (સંપન્ન વર્ગ) માટેની કોઈ જોગવાઈ જ નથી, તેવું કેબિનેટ બેઠકમાં જણાવાયું હતું. આજે મળેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં આ મહત્ત્વના મુદ્દા પર ચર્ચા બાદ અત્યારની અનામત વ્યવસ્થા જ જાળવી રાખવાનો નિર્ણય લેવાયો હતો, તેવી જાણકારી કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવને આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, એનડીએની સરકાર બાબાસાહેબ આબંડેકરે બનાવેલા બંધારણ પ્રત્યે પ્રતિબદ્ધ છે અને તેને પાળવા સંકલ્પબદ્ધ છે. બાબાસાહેબનાં બંધારણ અનુસાર જ એસસી અને એસટી માટે અનામતની પ્રવર્તમાન વ્યવસ્થા જાળવી રખાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ કુલ રૂ. 24,657 કરોડના અંદાજિત ખર્ચ સાથે આઠ રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, એમ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે શુક્રવારે જણાવ્યું હતું. નવી લાઇનની દરખાસ્તો સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને ગતિશીલતામાં સુધારો કરશે, ભારતીય રેલવે માટે ઉન્નત કાર્યક્ષમતા અને સેવાની વિશ્વસનીયતા પ્રદાન કરશે, તેવું વૈષ્ણવે જણાવ્યું હતું. એક સરકારી અખબારી યાદીમાં આ પ્રોજેક્ટ્સની વિગતો આપતાં જણાવાયું છે કે, ઓડિશા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઝારખંડ, બિહાર, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ જેવા સાત રાજ્યના 14 જિલ્લાઓને આવરી લેતી આઠ યોજનાઓ ભારતીય રેલવેના વર્તમાન નેટવર્કમાં 900 કિલોમીટરનો વધારો કરશે.
`આ પ્રોજેક્ટ્સ સાથે 64 નવા સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે, જે છ મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ (પૂર્વ સિંઘભૂમ, ભદાદ્રી કોઠાગુડેમ, મલકાનગીરી, કાલાહાંડી, નબરંગપુર, રાયગડા), આશરે 510 ગામો અને લગભગ 40 લાખ વસ્તીને જોડશે એમ તેમણે જણાવ્યું હતું. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ અજંતા ગુફાઓને ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. સરકારના જણાવ્યા મુજબ, કૃષિ ઉત્પાદનો, ખાતર, કોલસો, આયર્ન ઓર, સ્ટીલ, સિમેન્ટ, બોક્સાઈટ, ચૂનાના પત્થર, એલ્યુમિનિયમ પાઉડર, ગ્રેનાઈટ, બેલાસ્ટ, કન્ટેનર વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે આ આવશ્યક માર્ગો છે.

