પશ્ચિમ બંગાળમાં કૉંગ્રેસને આંચકો લાગ્યો છે. કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે પાર્ટી હાઈકમાન્ડને કહ્યું હતું કે, ‘જ્યારે મમતા બેનરજી સાથે વાતચીત થઈ રહી હતી ત્યારે પણ મેં રાજીનામું આપી દીધું હતું. પરંતુ તે દરમિયાન મને રોકી દેવામાં આવ્યો હતો. હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે. હવે મારું રાજીનામું સ્વીકારવું જોઈએ.’ હાઈકમાન્ડે તેમને અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી પદ પર રહેવા જણાવ્યું છે.

અધીર રંજન ચૌધરી 2019 થી 2024 સુધી લોકસભામાં કોંગ્રેસના નેતા રહ્યા છે. આ વખતે તેઓ બંગાળના બહેરામપુરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ TMC નેતા અને ક્રિકેટર યુસુફ પઠાણે તેમને 80 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. યુસુફ પઠાણને ચૂંટણીમાં 5,24,516 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના અધીર રંજન ચૌધરીને 4,39,494 મત મળ્યા હતા.

