નવી દિલ્હી: પાસપોર્ટની કામગીરી માટેનું ઓનલાઈન પોર્ટલ (https://www.passportindia.gov.in) આગામી પાંચ દિવસ માટે ઠપ્પ રહેશે. સરકારે સર્વિસ બંધ રહેવા અંગે જાણકારી આપતા કહ્યું કે આ સમયગાળા દરમિયાન કોઈ નવી એપોઈન્ટમેન્ટ્સ શેડ્યૂલ કરી શકાશે નહીં અને અગાઉ બુક કરેલી એપોઈન્ટમેન્ટ રીશેડ્યૂલ કરવામાં આવશે. મેન્ટેનન્સની કામગીરી માટે ઓનલાઈન પોર્ટલ 2જી સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. પોર્ટલ બંધ રહેવાને કારણે લોકોને મુશ્કેલીઓને સામનો કરવો પડી શકે છે.
પાસપોર્ટ સેવા પોર્ટલ પર જાહેર કરવામાં આવેલી એક નોંધમાં કહેવામાં આવ્યું છે કે, ‘પાસપોર્ટ સેવા પોર્ટલ ગુરુવાર, 29 ઓગસ્ટ, 2024 ના રોજ રાત્રે 8 વાગ્યાથી સોમવાર, 2 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યા સુધી ટેકનીકલ મેન્ટેનન્સ માટે બંધ રહેશે. આ દરમિયાન સિસ્ટમ નાગરિકો અને તમામ MEA/RPO/BOI/ISP/DoP/પોલીસ અધિકારીઓ માટે ઉપલબ્ધ રહેશે નહીં. ઑગસ્ટ 30, 2024 માટે પહેલેથી બુક કરેલી એપોઇન્ટમેન્ટ રીડ્યૂલ કરવામાં આવશે. અરજદારોને આ વિશે અગાઉથી જાણ કરવામાં આવશે.’

વિદેશ મંત્રાલયે (MoEA) કહ્યું કે આ એક સામાન્ય અને નિયમિત પ્રક્રિયા છે. એપોઇન્ટમેન્ટ રીશિડયુલ કરવામાં માટે અમારી પાસે હંમેશા યોજનાઓ હોય છે. જાહેર કેન્દ્રીય સેવાઓ માટે, જનતાને અસુવિધા ટાળવા માટે હંમેશા જાળવણીનું અગાઉથી આયોજન કરવામાં આવે છે. તેથી એપોઇન્ટમેન્ટ રિશિડ્યુલ કરવામાં કોઈ સમસ્યા રહેશે નહીં.
પાસપોર્ટ સેવા પોર્ટલ દ્વારા નવા પાસપોર્ટ માટે અરજી અથવા પાસપોર્ટ રિન્યુ કરાવવામાં આવે છે. આ પોર્ટલ પરથી દેશભરના કેન્દ્રો પર એપોઇન્ટમેન્ટ બુક કરવામાં આવે છે. આ પર્ટલ પર અરજી કર્યા પછી, એપોઇન્ટમેન્ટ લેવામાં આવે છે. અરજદારોએ એપોઇન્ટમેન્ટના દિવસે પાસપોર્ટ કેન્દ્રો પર પહોંચવાનું રહે છે. અહીં અરજદારોને વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહે છે. આ પછી, પોલીસ વેરિફિકેશન થાય છે અને પછી પાસપોર્ટ અરજદારના એડ્રેસ પર પહોંચે છે. સામાન્ય રીતે પાસપોર્ટ 30-45 કાર્યકારી દિવસોમાં અરજદાર સુધી પહોંચે છે. આ ઉપરાંત પોર્ટલ પર, તત્કાલ મોડનો વિકલ્પ પણ છે, જેમાં અરજદારને થોડા દિવસોમાં જ પાસપોર્ટ મળી જાય છે.

