Punjab SIR Raghav Chadha: ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) હેઠળ તૈયાર કરવામાં આવેલી પંજાબની ડ્રાફ્ટ મતદાર યાદીમાં રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ આવ્યું નથી.
ચઢ્ઢા 2022માં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર તરીકે રાજ્યસભા માટે ચૂંટાયા હતા અને આ વર્ષે એપ્રિલમાં BJPમાં જોડાયા હતા.
તેમનું નામ યાદીમાં ન હોવાને લઈને રાજકીય ટકરાવ શરૂ થયો છે. ચઢ્ઢાએ પંજાબની AAP સરકાર પર ‘રાજકીય બદલો’ લેવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ પંજાબ સરકારના એક વરિષ્ઠ અધિકારી અને AAPએ વળતો જવાબ આપતાં કહ્યું છે કે SIRનું સંચાલન ચૂંટણી પંચ કરે છે અને તેમાં રાજ્ય સરકારની ‘કોઈ ભૂમિકા નથી’.
અહેવાલ મુજબ, ચૂંટણી પંચના રેકોર્ડ અનુસાર, 13 ઑગસ્ટે પ્રકાશિત પંજાબની ડ્રાફ્ટ મતદાર યાદીમાં ચઢ્ઢાનું નામ દૂર કરવામાં આવેલા લોકોની યાદીમાં સામેલ છે. આ ASDD યાદી છે, એટલે કે એવા મતદારોની યાદી જેમને ‘ગેરહાજર, સ્થળાંતરિત, મૃત અને ડુપ્લિકેટ’ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. ચઢ્ઢાના નામની સામે કારણ તરીકે ‘કાયમી રીતે સ્થળાંતરિત’ (permanently shifted) લખવામાં આવ્યું છે.
SIR પહેલાં પંજાબના કુલ મતદારોમાંથી 20.66 લાખ એટલે કે 9.7 ટકા મતદારોનાં નામ દૂર કરવામાં આવ્યાં છે. ચઢ્ઢા પણ તેમાં સામેલ છે.
પંજાબની અંતિમ SIR મતદાર યાદી 12 ઑક્ટોબરે પ્રકાશિત થવાની છે. ડ્રાફ્ટ તબક્કામાં જેમનાં નામ દૂર કરવામાં આવ્યાં છે, તેમને ફરીથી યાદીમાં સામેલ થવાની તક આપવામાં આવી છે. આ માટે 13 ઑગસ્ટથી 12 સપ્ટેમ્બર સુધી ચાલનારા એક મહિનાના સમયગાળામાં દાવો અને વાંધો નોંધાવીને સંબંધિત ફોર્મ જમા કરી શકાય છે.
The AAP government in Punjab has now taken its politics of revenge to the Draft Electoral Rolls.
I am a sitting Rajya Sabha MP from Punjab, with my voter ID registered in Mohali, Punjab. Yet my name has been classified as “shifted” in the draft electoral rolls.
Thankfully,… pic.twitter.com/laAFAAWYiQ
— Raghav Chadha (@raghav_chadha) September 3, 2026
જ્યારે ચઢ્ઢાને પંજાબની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી તેમનું નામ દૂર કરવામાં આવવા અને તેને સુધારવા માટે તેમના દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, ‘પંજાબની AAP સરકાર હવે બદલો લેવાની રાજનીતિને ડ્રાફ્ટ મતદાર યાદીઓ સુધી લઈ આવી છે. સદભાગ્યે આ માત્ર ડ્રાફ્ટ મતદાર યાદીઓ છે, અંતિમ મતદાર યાદી નથી. તેમનું સ્વરૂપ અસ્થાયી છે અને તેના પર દાવા તથા વાંધાની પ્રક્રિયા લાગુ પડે છે. હું પહેલેથી જ SIRના માર્ગદર્શિકાઓ હેઠળ ઉપલબ્ધ ઉપાયોનો ઉપયોગ કરવાની પ્રક્રિયામાં છું. હું સુનિશ્ચિત કરીશ કે ઑક્ટોબર 2026માં પ્રકાશિત થનારી અંતિમ મતદાર યાદીમાં આ ખોટું વર્ગીકરણ સુધારી દેવામાં આવે.’
ચઢ્ઢાએ જણાવ્યું કે ગયા વર્ષે જૂનમાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતવાર SIR માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું હતું કે જનપ્રતિનિધિઓનાં નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ કરવાં જોઈએ.
24 જૂન 2025ના રોજ જાહેર કરવામાં આવેલી વિગતવાર માર્ગદર્શિકાના ફકરા 4(d)માં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી ડેટાબેઝમાં અગાઉથી ચિહ્નિત ન્યાયતંત્રના સભ્યો, જનપ્રતિનિધિઓ, જાહેર કરાયેલા પદો પર કાર્યરત વ્યક્તિઓ તથા કલા, સંસ્કૃતિ, પત્રકારત્વ, રમતગમત અને જાહેર સેવા વગેરે ક્ષેત્રોની હસ્તીઓનાં તમામ નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ કરવાનાં છે, જેથી દાવા અને વાંધાના સમયગાળા દરમિયાન જરૂરી દસ્તાવેજો પણ એકત્ર કરી શકાય.
ચઢ્ઢાએ કહ્યું, ‘હું પંજાબનો વર્તમાન સાંસદ છું. જો મારું નામ કોઈ કારણસર ચિહ્નિત કરવામાં આવ્યું હતું, તો ફકરા 4(d) હેઠળ મારું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ કરવું જરૂરી હતું. આ સૂચનાની અવગણના કરવામાં આવી નથી. મારા કિસ્સામાં જાણીજોઈને તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તમે પંજાબ સરકાર ચલાવી શકો છો, પરંતુ પંજાબની ડ્રાફ્ટ મતદાર યાદીઓ તમારી ખાનગી મિલકત નથી.’
પંજાબમાંથી સાંસદ હોવા છતાં તેમને ‘સ્થળાંતરિત’ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા હોવાનું જણાવતાં ચઢ્ઢાએ કહ્યું, ‘આ માત્ર કારકુની ભૂલ જણાતી નથી. આ રાજકીય બદલો લેવાનો સ્પષ્ટ કિસ્સો છે.’
પંજાબ સરકાર અને AAPએ આરોપો ફગાવ્યા
ચઢ્ઢાના આરોપોને ફગાવતાં પંજાબ સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘આ આરોપો સંપૂર્ણપણે ખોટા છે. આ પ્રક્રિયામાં પંજાબ સરકારની કોઈ ભૂમિકા નથી. મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ભારત ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવતા અધિકારીઓ હોય છે.’
AAPના એક પ્રવક્તાએ કહ્યું, ‘SIRનું સંચાલન ચૂંટણી પંચ કરે છે, રાજ્ય સરકાર નહીં. તેથી મતદાર યાદીમાં કોનું નામ સામેલ કરવું અથવા કોનું નામ દૂર કરવું તે નક્કી કરવામાં પંજાબ સરકારની કોઈ ભૂમિકા નથી. જાહેર રેકોર્ડમાં છે કે રાઘવ ચઢ્ઢા દિલ્હીમાં રહે છે, પંજાબમાં નહીં. જો તેઓ હવે પંજાબમાં રહેતા નથી તો તેમનું મતદાર નોંધણી જાળવી રાખવાની અથવા તેને સ્થળાંતરિત કરવાની જવાબદારી તેમની પોતાની હતી. હવે કોઈ મતદાર નોંધણી દૂર કરવામાં આવવા માટે તેઓ AAP અથવા પંજાબ સરકારને જવાબદાર ઠેરવી શકતા નથી.’
Raghav Chadha has been caught by a National Daily English Newspaper, trying to get his voter registration made in Delhi through a backdated process, and is now attempting to put the entire blame on the Aam Aadmi Party (AAP) and Punjab government.
SIR is conducted by the Election… https://t.co/gUpkSiDEbd
— AAP Punjab (@AAPPunjab) September 3, 2026
પાર્ટીના મીડિયા પ્રભારી અનુરાગ ઢાંડાએ એક નિવેદનમાં કહ્યું કે ચઢ્ઢાએ જાણવું જોઈએ કે BJPમાંથી કોણ તેમનું નામ દૂર કરાવવા માગે છે. તેમણે કહ્યું, ‘ચૂંટણી પંચ તો BJPના કહેવા પ્રમાણે ચાલે છે. જો તેમનું કહેવું છે કે સરકાર SIRમાંથી મત કપાવી શકે છે, તો વીસ રાજ્યોમાં BJPની સરકાર છે, તેનો અર્થ એ થયો કે દિલ્હી, UP, બિહારમાં લાખો મત કપાયા તે BJPની સરકાર કપાવી રહી છે.’
2022માં દિલ્હીમાં મતદાર તરીકે નોંધાયેલા હતા ચઢ્ઢા
વર્ષ 2022ની રાજ્યસભા ચૂંટણી માટે દાખલ કરવામાં આવેલા પોતાના સોગંદનામામાં ચઢ્ઢાએ જાહેર કર્યું હતું કે તેમનું નામ દિલ્હીના રાજિન્દર નગરના બૂથ નંબર 52માં મતદાર તરીકે નોંધાયેલું હતું.
જોકે, પંજાબમાંથી રાજ્યસભા સાંસદ બન્યા બાદ ચઢ્ઢાએ પોતાની મતદાર નોંધણી પંજાબમાં સ્થળાંતરિત કરાવી હતી. 1 જૂન 2024ના રોજ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં તેમણે પંજાબના SAS નગર એટલે કે મોહાલીના એક મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું હતું.
જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 3 અનુસાર, રાજ્યસભાના સભ્ય બનવા માટે ઉમેદવારનું દેશના કોઈપણ સંસદીય મતવિસ્તારમાં મતદાર તરીકે નોંધાયેલું હોવું જરૂરી છે.
બુધવારે ચૂંટણી પંચના વોટર સર્વિસિસ પોર્ટલ પર ચઢ્ઢાના મતદાર ઓળખપત્ર સાથે સંબંધિત વિગતો દ્વારા કરવામાં આવેલી સર્ચમાં દિલ્હી અને પંજાબ – બંને સ્થળે ‘કોઈ પરિણામ મળ્યું નથી’ એવું દર્શાવવામાં આવ્યું હતું.
દિલ્હીની ડ્રાફ્ટ SIR મતદાર યાદી 31 ઑગસ્ટે પ્રકાશિત કરવામાં આવી હતી. તેમાં SIR પહેલાં અસ્તિત્વમાં રહેલા મતદારોનાં 33 ટકા નામ દૂર કરવામાં આવ્યાં છે.
પ્રક્રિયા પર સવાલ
જાણવા મળ્યું છે કે BJP અને તેના સહયોગી પક્ષો બિન-BJP શાસિત રાજ્યોમાં SIR પ્રક્રિયામાં રાજ્યના હસ્તક્ષેપનો આરોપ લગાવી ચૂક્યા છે. અગાઉ કર્ણાટકમાં BJP અને તેના સહયોગી HD કુમારસ્વામીના જનતા દળ (સેક્યુલર) (JDS)એ SIR પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો.
આને કોંગ્રેસના કર્ણાટક પ્રભારી અને રાજ્યસભા સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ આ વિરોધને BJP અને NDAનું બેવડું વલણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો તેમનામાં હિંમત હોય તો સામે આવીને કહે કે SIRની પ્રક્રિયા ખોટી અને લોકશાહીવિરોધી છે, સાથે જ તે લોકશાહી અને બંધારણ પર હુમલો છે અને સમગ્ર ભારતમાં SIRને તાત્કાલિક બંધ કરી દેવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે દેશભરમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા દરમિયાન મોટા પ્રમાણમાં મતદારોનાં નામ દૂર કરવામાં આવ્યાં છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) હેઠળ તૈયાર કરવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીઓમાંથી દેશભરમાં અંદાજે 13.37 કરોડ નામ દૂર કરવામાં આવ્યાં છે.
પશ્ચિમ બંગાળ અને બિહાર, બંને સ્થળે SIR પ્રક્રિયા વિવાદોમાં ઘેરાયેલી રહી છે. પશ્ચિમ બંગાળમાં 27 લાખ મતદારો રાહ જોતા રહી ગયા, કારણ કે મતદાનના માત્ર બે અઠવાડિયાથી ઓછા સમય પહેલાં 19 ન્યાયિક ટ્રિબ્યુનલોએ તેમનું ભવિષ્ય નક્કી કરતાં માત્ર 139 લોકોને મતદાનનો અધિકાર પુનઃસ્થાપિત કર્યો હતો. અહીં સુધી કે સુપ્રીમ કોર્ટે પણ કોઈ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.

