મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા જ રાહુલ ગાંધી પોતાની જ પાર્ટીના નેતાઓથી નારાજ?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાનને હવે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે અને હજુ પણ રાજકીય પક્ષો વચ્ચે સીટોની વહેંચણી અંગે ખેંચતાણ ચાલુ છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાનને હવે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે અને હજુ પણ રાજકીય પક્ષો વચ્ચે સીટોની વહેંચણી અંગે ખેંચતાણ ચાલુ છે. આ બધા વચ્ચે એવા સમાચાર છે કે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પોતાની જ પાર્ટીના નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે જ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને શુક્રવારે દિલ્હી ખાતે પાર્ટી હેડક્વાર્ટરમાં આયોજિત કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC) ની બેઠકને પણ તેઓ અધવચ્ચે છોડીને બહાર નીકળી ગયા હતા. એવું કહેવાય છે કે રાહુલ ગાંધી સીટોની ફાળવણીને લઈને નારાજ છે અને બેઠક દરમિયાન તેમણે કોંગ્રેસની મજબૂત પકડવાળી સીટો શિવસેના (યુબીટી)ને આપવા બદલ નારાજગી વ્યક્ત કરી.
સીટો ફાળવણીમાં વિલંબ ઉપર પણ નારાજગી
હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણી માટે મહાવિકાસ આઘાડી (MVA)ના સહયોગીઓ વચ્ચે સીટોની ફાળવણીની સમજૂતિને અંતિમ સ્વરૂપ આપવા પર વિલંબ પર નારાજગી વ્યક્ત કરી. નવી દિલ્હીમાં કોંગ્રેસ હેડક્વાર્ટરમાં આયોજિત CEC ની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે રાજ્ય કોંગ્રેસના નેતાઓ પોતાની વાત મજબૂતીથી રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા. જેના કારણે કોંગ્રેસને આશા કરતા ઓછી સીટો મળી. વિધાયક દળના પ્રમુખ બાળાસાહેબ થોરાટને વિવાદ ઉકેલવા માટે શનિવારે ફરીથી શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળવા માટે કહેવાયું છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓથી નારાજ
સીઈસીની બેઠકમાં સામેલ એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની અધ્યક્ષતામાં થયેલી સીઈસીની બેઠકમાં રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં સીટોની ફાળવણીને લઈને વાતચીત પર નારાજગી વ્યક્ત કરી. કોંગ્રેસ નેતાએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે તેઓ રાજ્ય નેતૃત્વથી નારાજ હતા, કારણ કે કોંગ્રેસે મહાવિકાસ આઘાડી ગંઠબંધનમાં સામેલ સહયોગીઓના હાથે સીટો ગુમાવી સાથે સાથે પાર્ટીએ એવી સીટો પણ ગુમાવી જેના પર જીતનો ભરોસો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ઝારખંડ પાર્ટી નેતૃત્વથી પણ આ જ રીતે નારાજ હતા.
મુંબઈ અને વિદર્ભની સીટોને લઈને વિવાદ
કોંગ્રેસ અને શિવસેના (યુબીટી) બંને મુંબઈ અને વિદર્ભની સીટોને લઈને આમને સામને છે. જેમાં ભાયખલ્લા, વર્સોવા, નાગપુર દક્ષિણ, રામટેક અને ધામણગાંવ રેલવે સામેલ છે. બેઠક બાદ મીડિયાને સંબોધિત કરતા રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોળેએ અપ્રત્યક્ષ રીતે એ વાતનો સ્વીકાર કર્યો કે તેમને ફટકાર લગાવવામાં આવી હતી. પટોળેએ કહ્યું કે સીટોની ફાળવણીને લઈને ત્રણ પક્ષો વચ્ચેની મૂંઝવણને તેમને સમજાવવામાં આી અને તેઓ સંતુષ્ટ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસને યોગ્યતાના આધારે વધુ સીટો મળવી જોઈતી હતી. ખાસ કરીને વિદર્ભ, મરાઠાવાડા, પશ્ચિમી મહારાષ્ટ્ર, ઉત્તર મહારાષ્ટ્ર, અને મુંબઈમાં. તેમણે સંકેત આપ્યો કે તેઓ બધા રાજ્યમાં સીટોની ફાળવણીની વાતચીતથી નાખુશ હતા.
બેઠક છોડીને કેમ જતા રહ્યા રાહુલ ગાંધી
કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરાયો છે કે રાહુલ ગાંધી શુક્રવારે થયેલી સીઈસીની બેઠક અધવચ્ચે છોડીને જતા રહ્યા હતા. ત્યારબાદ સવાલ ઉઠવા લાગ્યો કે રાહુલ ગાંધી આખરે બેઠક છોડીને કેમ જતા રહ્યા. જો કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC)ના એક પદાધિકારીએ સ્પષ્ટ કર્યું કે બેઠક દરમિયાન તેમને ફોન આવ્યો ત્યારબાદ તેમણએ પાર્ટી અધ્યક્ષને આ અંગે જાણકારી આપી અને જતા રહ્યા.

