જમ્મુ, તા. 8 : આતંકપરસ્ત દેશ પાકિસ્તાન પર ઘાતક પ્રહારો કરતાં દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે રવિવારે પાક કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં વસતા લોકોને કહ્યું હતું કે, આવો અને ભારતમાં જોડાઇ જાવ. અમે આપ સૌને પોતાના ગણીએ છીએ, જ્યારે પાકિસ્તાન `િવદેશી’ ગણે છે. તાજેતરમાં જ પાકિસ્તાનના અધિક સોલિસીટર જનરલે `પીઓકે વિદેશી ભૂમિ છે’ તેવી નોંધ સાથેનું સોગંદનામું રજૂ કર્યું હતું. તેના પરથી સ્પષ્ટ થાય છે કે પાક પીઓકેના લોકોને `બહારના’ ગણે છે અને ભારત `પોતાના’ ગણે છે, તેવું રામબન વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીસભા સંબોધતાં રાજનાથે જણાવ્યું હતું. કેસરિયા પક્ષના `સ્ટાર પ્રચારક’ની ભૂમિકા ભજવતા કદાવર નેતા સિંહે કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ જોડાણ પર પ્રહાર કર્યા હતા.

આ જોડાણનું 370 પાછી લાવવાનું વચન ભાજપ છે ત્યાં સુધી શક્ય નથી. દરમ્યાન, જૈશ-એ-મહમ્મદના આતંકવાદી અને સંસદ હુમલાના માસ્ટરમાઈન્ડ અફઝલ ગુરુ પર ઉમર અબ્દુલ્લાએ આપેલા નિવેદન અંગે સવાલ પૂછતાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે નેશનલ કોન્ફરન્સ પર નિશાન સાધ્યું હતું. એક મીડિયા હેવાલ મુજબ, અફઝલ ગુરુને ફાંસી આપવાની જરૂર નહોતી તેવા પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાના નિવેદન પર પલટવાર કરતાં રાજનાથસિંહે નેશનલ કોન્ફરન્સને સવાલરૂપે કહ્યું હતું કે, શું અફઝલ ગુરુને માળા પહેરાવવી જોઈતી હતી.
એનસી આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખે છે, તો કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરવાની વાત કહી રહ્યા છે તેમ જણાવી રાજનાથે ભાજપને મત આપવાની અપીલ કરી હતી. છેલ્લા પાંચ વર્ષમાં 40 હજાર રોજગાર ઊભા થયા છે. અમારી સરકાર આવ્યા બાદ વિકાસકાર્યોને ગતિ મળશે, જેના કારણે પાક કબજાગ્રસ્ત કાશ્મીરના લોકો પણ ભારતનો હિસ્સો બનવા માગશે.

