લોકસભાની ચૂંટણીના મતદાનના તબક્કાઓ પૂરા થઇ ગયા છે. લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી 4 જૂન મંગળવારના રોજ થશે. હાલમાં એક્ઝિટ પૉલ આવી રહ્યા છે. આપણે ગાંધી પરિવારનો ગઢ ગણાતા અમેઠી અને રાહુલ ગાંધીની વાયનાડ બેઠક વિશે એક્ઝિટપૉલ શું કહે છે તે જાણીએ. 2019ની લોકસભા ચૂંટણીમાં, સ્મૃતિ ઈરાનીએ લાંબા સમયથી ગાંધી પરિવારનો ગઢ ગણાતા અમેઠીમાં રાહુલ ગાંધી સામે નોંધપાત્ર જીત મેળવી હતી.

એક્ઝિટ પોલ્સ અનુસાર, સામાન્ય ચૂંટણીઓમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અનુક્રમે તેમની અમેઠી અને વાયનાડ લોકસભા બેઠકો જાળવી રાખે તેવી અપેક્ષા છે. જોકે, અમેઠીમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે, કારણ કે અહીં સ્મૃતિ ઇરાનીનો સામનો કોંગ્રેસના ઉમેદવાર કેએલ શર્મા સાથે છે, જેઓ ખાસ્સા લોકપ્રિય છે.
2014ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી ભારતીય જનતા પાર્ટીના નેતા સ્મૃતિ ઈરાની સામે વિજયી બન્યા હતા. આ સીટ લાંબા સમયથી ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવતો હતો. રાહુલ ગાંધીએ 15 વર્ષ સુધી આ બેઠક સંભાળી હતી. 2019 ની લોકસભા ચૂંટણીમાં, સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં નોંધપાત્ર વિજય મેળવ્યો હતો. સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને 55,120 મતોના માર્જિનથી હરાવ્યા હતા.
એક્ઝિટ પોલમાં આગાહી કરવામાં આવી છે કે વાયનાડમાં રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીમાં સતત ટર્મ જીતવા માટે મજબૂત સ્થિતિમાં છે. એક્ઝિટ પોલ સૂચવે છે કે રાહુલ ગાંધી ભાજપના ઉમેદવાર અને રાજ્ય પાર્ટીના વડા કે સુરેન્દ્રનને હરાવશે. અહીં તેમની સામે રેસમાં અન્ય એક દાવેદાર સીપીઆઈના પીઢ નેતા એની રાજા છે. રાહુલ ગાંધીએ તેમની માતા સોનિયા ગાંધીની જગ્યાએ રાયબરેલીથી પણ લોકસભાની ચૂંટણી લડી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે જો તેમની પાર્ટી કેન્દ્રમાં સત્તા પર આવશે તો વિકાસની વાત આવે ત્યારે તેઓ અમેઠી અને રાયબરેલી સાથે સમાન વર્તન કરશે.

