Supreme Court: મહિલાઓની ગરિમા પર સર્વોચ્ચ અદાલતનો ઐતિહાસિક ચુકાદો, પાયજામાનુ નાડું ખોલવુ એ માત્ર ‘તૈયારી’ નહીં પણ ‘બળાત્કારનો પ્રયાસ’ છે

Arati Parmar
3 Min Read

Supreme Court: ‘કોઈ મહિલાને ખોટી રીતે સ્પર્શ કરવો અને તેના પાયજામાની દોરી ખોલવી એ બળાત્કારનો પ્રયાસ ગણાશે.’ સુપ્રીમ કોર્ટે મંગળવારે મોટો ચુકાદો આપતા અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ ચુકાદાને રદ કરી દીધો છે, જેમાં આ ગુનાને પ્રયાસ નહીં પરંતુ બળાત્કારની તૈયારી ગણાવવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે ન્યાયિક પ્રક્રિયાઓમાં સંવેદનશીલતા લાવવા માટે સમિતિને એક વિગતવાર અહેવાલ તૈયાર કરવાના નિર્દેશો પણ જાહેર કર્યા છે.

અલ્હાબાદ હાઈકોર્ટનો આ ચુકાદો ૧૭ માર્ચ ૨૦૨૫ ના રોજ આવ્યો હતો. અદાલતના આ ચુકાદા પર ભારે હોબાળો મચ્યો હતો, NGO ‘We the Women’ ના સ્થાપક અધ્યક્ષ અને વરિષ્ઠ વકીલ શોભા ગુપ્તાના એક પત્ર બાદ સુપ્રીમ કોર્ટે પોતે આ મામલાની નોંધ લીધી હતી. હાલમાં મંગળવારે સીજેઆઈ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ એનવી અંજારીયાની બેન્ચે હાઈકોર્ટના ચુકાદાને રદ કર્યો છે. તેમણે પોક્સો એક્ટ હેઠળ બે આરોપીઓ પર બળાત્કારના પ્રયાસનો સખત આરોપ ફરીથી લગાવી દીધો છે.

- Advertisement -

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

NGO ના અધ્યક્ષ શોભા ગુપ્તા અને વરિષ્ઠ અધિવક્તા એચએસ ફુલ્કાએ બેન્ચ સમક્ષ જાતીય અપરાધોના મામલામાં મહિલાઓ પ્રત્યે વધુ સંવેદનશીલતા બતાવવાની અપીલ કરી હતી. આ બાબતે બેન્ચે કહ્યું, ‘કોઈપણ જજ કે અદાલત પાસેથી પૂર્ણ ન્યાયની અપેક્ષા ત્યાં સુધી કરી શકાતી નથી, જ્યાં સુધી તે કોઈ વાદીની વાસ્તવિકતાઓ અને અદાલતમાં આવતી વખતે તેમને કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે, તેમના પ્રત્યે અસંવેદનશીલ હોય.’

- Advertisement -

જજોએ દયા અને સહાનુભૂતિનું વાતાવરણ બનાવવું જોઈએ: CJI

સીજેઆઈ સૂર્યકાંતે પોતાના ચુકાદામાં લખ્યું કે જજોએ માત્ર બંધારણીય અને કાનૂની સિદ્ધાંતોને યોગ્ય રીતે લાગુ કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં, પરંતુ દયા અને સહાનુભૂતિનું વાતાવરણ પણ બનાવવું જોઈએ. તેમણે કહ્યું કે આ બંને વસ્તુઓ વગર, ન્યાયિક સંસ્થાઓ પોતાના કામ બરાબર રીતે કરી શકશે નહીં. બેન્ચે એવું પણ કહ્યું કે કાનૂની પ્રક્રિયામાં આપણા ચુકાદાઓ, પછી તે સામાન્ય નાગરિકો માટે પ્રક્રિયા નક્કી કરવાની હોય કે કોઈ મામલામાં અંતિમ ચુકાદો આપવાનો હોય, તેમાં દયા, માનવતા અને સમજદારી દેખાવી જોઈએ. આ એક નિષ્પક્ષ અને અસરકારક ન્યાય વ્યવસ્થા બનાવવા માટે ખૂબ જરૂરી છે.

- Advertisement -

સુપ્રીમ કોર્ટ નવી માર્ગદર્શિકા જાહેર નહીં કરે

મામલામાં ચુકાદો સંભળાવતા સીજેઆઈ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું, સુપ્રીમ કોર્ટ દ્વારા જજોને સંવેદનશીલ બનાવવા માટે સિદ્ધાંતો નક્કી કરવામાં આવ્યા છે, તેથી તે નવેસરથી કોઈ માર્ગદર્શિકા બનાવવાને બદલે વર્તમાન સિદ્ધાંતો પર જ આગળ વધશે.

જજોમાં કેવી રીતે લાવવી સંવેદનશીલતા, SC એ રિપોર્ટ માંગ્યો

કોર્ટે નેશનલ જ્યુડિશિયલ એકેડમીના ડિરેક્ટર જસ્ટિસ અનિરુદ્ધ બોઝને એક નિષ્ણાતોની સમિતિ બનાવવાની વિનંતી કરી છે. આ સમિતિ જાતીય અપરાધો અને અન્ય સંવેદનશીલ મામલાઓમાં જજો અને ન્યાયિક પ્રક્રિયાઓમાં સંવેદનશીલતા અને દયા કેવી રીતે લાવવી, તેના પર એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરશે.

બેન્ચે કહ્યું, અમને આશા છે કે આ માર્ગદર્શિકા ભારેખમ અને વિદેશી ભાષાઓમાંથી લેવામાં આવેલા કઠિન શબ્દોથી ભરેલી નહીં હોય. આ જ પીઠે અગાઉ તત્કાલીન સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડની ‘Handbook on Combating Gender Stereotypes’ ને પણ હાર્વર્ડ-ઓરિએન્ટેડ (એટલે કે ખૂબ જ શૈક્ષણિક અને વિદેશી શૈલીનું) ગણાવ્યું હતું.

Share This Article