Terror Module Arrest India: તમિલનાડુ અને પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવેલા ૮ શંકાસ્પદોને લઈને દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને બાંગ્લાદેશના આતંકવાદી સંગઠનોના ઈશારે ભારતમાં એક મોટા આતંકી હુમલાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું.
દિલ્હી પોલીસ મુજબ, તમિલનાડુથી પકડાયેલા શંકાસ્પદો પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનોના સમર્થનમાં સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યા હતા. તમિલનાડુના ઉથુકુલીથી ૨, પલ્લાદમથી ૩ અને તિરુમુરુગનપૂંડી વિસ્તારમાંથી એક શંકાસ્પદને પકડવામાં આવ્યો છે. તેમની પાસેથી ડઝનબંધ મોબાઈલ ફોન અને સિમકાર્ડ મળી આવ્યા છે.
ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે કરવામાં આવી ધરપકડ
દિલ્હી પોલીસે જણાવ્યું કે આ ધરપકડ ભડકાઉ ઓનલાઈન એક્ટિવિટી અને સરહદ પારથી કામ કરી રહેલા કટ્ટરપંથી લોકો સાથે શંકાસ્પદ વાતચીત વિશે મળેલા ખાસ ઇન્ટેલિજન્સ ઇનપુટ પછી કરવામાં આવી છે.
શંકાસ્પદોના નામ
પોલીસે તમિલનાડુમાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડીને શંકાસ્પદોને પકડ્યા હતા. શંકાસ્પદોની ઓળખ મિઝાનુર રહેમાન, મોહમ્મદ શબત, ઉમર, મોહમ્મદ લિતાન, મોહમ્મદ શાહિદ અને મોહમ્મદ ઉજ્જલ તરીકે થઈ છે. આ આતંકી મોડ્યુલમાં અત્યાર સુધીમાં કુલ ૮ ધરપકડ કરવામાં આવી છે. અગાઉ બે શંકાસ્પદોની દિલ્હી પોલીસે પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરી હતી.
શંકાસ્પદોએ પોતાની ઓળખ છુપાવી હતી
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શંકાસ્પદોએ પોતાની ઓળખ છુપાવી રાખી હતી અને નકલી આધાર કાર્ડના સહારે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા લાગ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કથિત રીતે આતંકીઓના મદદગાર બનીને આ શંકાસ્પદોએ અનેક શહેરોની રેકી કરી હતી. દિલ્હીમાં ‘ફ્રી કાશ્મીર’ ના પોસ્ટરો પણ લગાવ્યા હતા. તેઓ અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં પણ સામેલ હતા.
ફોરેન્સિક તપાસ માટે મોકલાયા ફોન
શંકાસ્પદો પાસેથી મળી આવેલા મોબાઈલનો ઉપયોગ કથિત રીતે પ્રતિબંધિત આતંકી સંગઠનોને સપોર્ટ કરતું કન્ટેન્ટ શેર કરવા અને શંકાસ્પદ હેન્ડલર્સ સાથે સંપર્ક જાળવી રાખવા માટે કરવામાં આવતો હતો. કમ્યુનિકેશન રેકોર્ડનું વિશ્લેષણ કરવા અને મોટા નેટવર્ક સાથેના સંભવિત લિંક્સની ઓળખ કરવા માટે ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
તાજેતરમાં જ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ માહિતી આપી હતી કે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાએ કથિત રીતે ભારતના મુખ્ય ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાનું કાવતરું ઘડ્યું છે, જેના પછી સુરક્ષા એજન્સીઓએ શનિવારે અહીં લાલ કિલ્લા પાસે વિસ્ફોટની આશંકાને લઈને એલર્ટ જાહેર કર્યું હતું.

