Udhampur Terrorist Encounter: જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સેનાએ જૈશ-એ-મોહમ્મદના ૨ આતંકીઓને ઠાર કર્યા છે. સેનાએ તે ગુફાને જ બ્લાસ્ટ કરીને ઉડાવી દીધી છે, જેમાં આતંકીઓ છુપાઈને ગોળીબાર કરી રહ્યા હતા. ઉધમપુર જિલ્લાના એક દૂરના જંગલ વિસ્તારમાં મંગળવારે સુરક્ષાદળો દ્વારા જૈશ-એ-મોહમ્મદ (JeM) ના બે થી ત્રણ શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓને એક કુદરતી ગુફાની અંદર ઘેરી લેવામાં આવ્યા બાદ લગભગ એક કલાક સુધી ચાલેલા ભીષણ ગોળીબારે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો હતો.
ગુફામાં છુપાઈને બેઠા હતા જૈશના આતંકીઓ
સેનાના અધિકારીઓએ જણાવ્યું કે ઉધમપુર જિલ્લામાં એક ગુફામાં છુપાયેલા જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓ પર સુરક્ષાદળોએ અંતિમ પ્રહાર કરી દીધો છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે રાત્રિ દરમિયાન કોઈ ગોળીબાર થયો નહોતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે લગભગ ચાર વાગ્યે રામનગરના જાફર જંગલ વિસ્તારમાં સેના, પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની સંયુક્ત ટુકડીએ ગુફાની અંદર આતંકવાદીઓનું લોકેશન શોધી કાઢ્યું હતું, જેના પછી એક કલાકથી વધુ સમય સુધી એન્કાઉન્ટર ચાલ્યું હતું. તેમણે જણાવ્યું કે અથડામણ દરમિયાન એક આતંકવાદી ઘાયલ થયો હતો, પરંતુ તે પોતાના સાથી સાથે ગુફાની અંદર જતો રહ્યો હતો.
આતંકીઓએ અંધારાનો ફાયદો ઉઠાવી ભાગવાનો પ્રયાસ કર્યો
અધિકારીઓના જણાવ્યા મુજબ, મંગળવારે સાંજે લગભગ સાડા સાત વાગ્યે આતંકવાદીઓએ અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ વિસ્તારમાં ફરીથી ગોળીબાર અને જોરદાર ધડાકા થયા હતા. તેમણે જણાવ્યું કે ત્યારબાદ ઘેરાબંધી વધુ મજબૂત કરવા માટે પેરાટ્રૂપર્સ અને ડોગ સ્ક્વોડ સહિત સેનાની વધારાની ટુકડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
સેનાએ ગુફામાં કર્યો બ્લાસ્ટ
અધિકારીઓએ જણાવ્યું કે રાત્રે ગોળીબાર થયો નહોતો અને સુરક્ષાદળોએ ડ્રોન દ્વારા વિસ્તાર, ખાસ કરીને ગુફાની આસપાસ ચુસ્ત દેખરેખ રાખી હતી. તેમણે જણાવ્યું કે ગુફામાં છુપાયેલા આતંકવાદીઓએ આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યા બાદ તેમની સામે અંતિમ પ્રહારની તૈયારી કરવામાં આવી હતી. આજે તે ગુફાને પણ ઉડાવી દેવામાં આવી છે, જેમાં આતંકીઓ છુપાયેલા હતા.

