UGC Regulations 2026: સુપ્રીમ કોર્ટે ભલે યુજીસી (UGC) ના નવા નિયમો પર સ્ટે મૂકી દીધો હોય, પરંતુ આ મામલો શાંત થયો નથી. સવર્ણ સમુદાયના લોકો આ સમગ્ર મામલે કેન્દ્રની મોદી સરકારનું વલણ જાણવા માંગે છે. આ દરમિયાન સમાચાર છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શુક્રવારે ૨૦૨૫ ના ડ્રાફ્ટમાં સામેલ ‘ખોટી ફરિયાદો’ (False Complaints) વાળા ક્લોઝને હટાવવા પર વિચાર કરવાનું શરૂ કર્યું છે. આ ક્લોઝ ફાઈનલ નિયમોમાંથી હટાવી દેવામાં આવ્યો હતો.
યુજીસી પર કઈ બાબતને લઈને છે વિરોધ?
સવર્ણ જ્ઞાતિના લોકોનું કહેવું છે કે જો ખોટી ફરિયાદો સામે કોઈ સજા નહીં હોય, તો તેમને પરેશાન કરવા માટે આનો ઉપયોગ થઈ શકે છે. નિયમોનો વિરોધ કરી રહેલા લોકોએ એમ પણ કહ્યું છે કે નવા નિયમોમાં અન્ય પછાત વર્ગ (OBC) ને સામેલ કરવામાં આવ્યા છે, જે ૨૦૧૨ ના નિયમોમાં નહોતા. આનાથી સામાન્ય વર્ગને તેમની સાથે થતા ભેદભાવ સામે કોઈ ઉકેલ મળશે નહીં. જોકે, OBC ને નિયમોના દાયરામાંથી બહાર કરવા સરળ નહીં હોય.
UGC ના નવા નિયમોમાં સરકાર શું ફેરફાર કરી શકે છે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર એ તપાસી રહી છે કે શું ખોટી ફરિયાદો સામે રક્ષણાત્મક પગલાં ફરીથી ઉમેરવા જોઈએ અને ભેદભાવ વિરોધી મિકેનિઝમનો વ્યાપ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ને પણ સામેલ કરવા માટે વધારવો જોઈએ.
યુજીસી પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે ગત ગુરુવારે યુજીસીના નવા નિયમો પર રોક લગાવી દીધી હતી. કોર્ટે અનેક જોગવાઈઓ પર ગંભીર વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ સામાજિક વિભાજનને પ્રોત્સાહન આપી શકે છે અને જ્ઞાતિ-વિહીન સમાજના લક્ષ્ય પર ખતરનાક અસર કરી શકે છે.
નિયમોની કલમ ૨ અને ૩(c) માં લાભાર્થીઓને ‘સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ‘જ્ઞાતિ-આધારિત ભેદભાવ’ નો અર્થ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને OBC ના સભ્યો સામેનો ભેદભાવ છે. ખાસ વાત એ છે કે OBC નો ઉલ્લેખ ડ્રાફ્ટના નિયમ ૩(c) માં નહોતો, પરંતુ આ વર્ષના ફાઈનલ નિયમોમાં તેને ઉમેરવામાં આવ્યો છે.
ડ્રાફ્ટ નિયમોમાં ખોટી ફરિયાદો કરનારાઓ માટે દંડની જોગવાઈ હતી. હટાવવામાં આવેલી જોગવાઈમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ ભેદભાવની ખોટી ફરિયાદ કરે છે, તો તેણે સમાનતા સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલો દંડ ભરવો પડી શકે છે. વારંવાર અથવા ગંભીર ઉલ્લંઘનના કિસ્સામાં, સંસ્થાકીય નિયમો હેઠળ શિસ્તભંગના પગલાં પણ લેવામાં આવી શકતા હતા.

