નવીદિલ્હી, તા.1પ : મધ્યપ્રદેશનાં ધારમાં ભોજશાળા- કમાલ મૌલા મસ્જિદ પરિસરનાં સર્વેક્ષણનો રિપોર્ટ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ(એએસઆઇ) દ્વારા મધ્યપ્રદેશ હાઇ કોર્ટને સુપરત કરી દેવામાં આવ્યો છે. એએસઆઇના એડવોકેટ હિમાંશુ જોશીએ જણાવ્યું હતું કે, 2 હજાર પાનાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ સરવે 22 માર્ચથી શરૂ કરવામાં આવ્યો હતો અને 98 દિવસો સુધી ચાલ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીની તપાસ અને અધ્યયનમાં ખ્યાલ આવે છે કે, વર્તમાન ઢાંચાને ભૂતકાળમાં મંદિરનાં હિસ્સાઓમાંથી બનાવવામાં આવ્યો હતો. એવો પણ દાવો કરવામાં આવે છે કે, વિવાદિત સ્થળે 94 જેટલી ક્ષતિગ્રસ્ત મૂર્તિઓ પણ મળી આવી છે.

આ મામલે 22 જુલાઈએ સુનાવણી થવાની છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, આ રિપોર્ટ આવ્યા બાદ શું 23 વર્ષ પહેલા લાગુ કરવામાં આવેલી વ્યવસ્થાને હાઈકોર્ટ બદલાવી નાખશે? હિન્દુ પક્ષનાં વકીલે દાવો કર્યો છે કે, સર્વે દરમિયાન એવા પુરાવાઓ મળી આવ્યા છે જે સાબિત કરે છે કે, ત્યાં પહેલા મંદિર જ હતું. હિન્દુ પક્ષકારનો દાવો છે કે, સરવેમાં એઅસઆઇને ભોજશાળામાં દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી છે. આ સાથે જ હિન્દુ પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટમાં આ મામલાની તાત્કાલિક સુનાવણી અને મધ્યપ્રદેશ હાઇ કોર્ટની સુનાવણી ઉપર રોક વિરુદ્ધ વહેલી સુનાવણી માગવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ધરપત આપી છે કે, તે આ મામલાને તપાસશે.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ માસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા હાઇ કોર્ટની ઈન્દોર બેન્ચ દ્વારા સુનાવણી સામે સ્ટે આપી દેવામાં આવ્યો હતો. જો કે એએસઆઇના સરવેને લીલીઝંડી આપવામાં આવી હતી. અરજદાર વકીલ વિષ્ણુ જૈને અદાલતને જણાવ્યું હતું કે, હવે હાઇ કોર્ટમાં એએસઆઇનો રિપોર્ટ દાખલ કરી દેવામાં આવ્યો હોવાથી સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરે. ભોજશાળાને હિન્દુ સમુદાય વાગ્દેવી(દેવી સરસ્વતી)નું મંદિર માને છે જ્યારે મુસ્લિમ પક્ષ 11મી સદીના આ સ્મારકને કમાલ મૌલા મસ્જિદ માને છે. આ પરિસર ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત છે.

