હાલમાં ચાલી રહેલાં ટી20- વર્લ્ડકપ-2024 (T20- Worldcup-2024)માં ગઈકાલે ઈન્ડિયા વર્સીસ પાકિસ્તાન મેચ માં પાકિસ્તાને હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂયોર્કમાં રમાયેલી આ મેટમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ એ ટોસ જિતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું અને ટીમ ઈન્ડિયાએ 19 ઓવરમાં 119 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનને 120 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ટીમ ઈન્ડિયાના આ ટાર્ગેટના જવાબમાં પાકિસ્તાની ટીમે શરૂઆત તો ઠીક ઠીક કરી અને એક પોઈન્ટ પર તો એવું લાગી રહ્યું હતું કે પાકિસ્તાની ટીમ ખૂબ જ સરળતાથી આ ટાર્ગેટ ચેઝ કરી લેશે. પરંતુ બાદમાં જેવી પહેલી વિકેટ ગઈ એટલે પછી તો એક પછી એક વિકેટ પડવાની શરૂ થઈ ગઈ. જોકે, ક્રિઝ પર એક છેડે ટકી ગયેલાં પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ રિઝવાને જિતની આશા જિવંત રાખી હતી. પણ બાદમાં રિઝવાને એવું કંઈક કર્યું કે પાકિસ્તાની ટીમના ફેન્સ તેને ક્યારેય માફ નહીં કરે. આવો જોઈએ એવું તે શું કર્યું રિઝવાને-રિઝવાન જ્યાં સુધી મેદાનમાં ટકી રહ્યો હતો ત્યાં સુધી પાકિસ્તાની ક્રિકેટ ફેન્સને જિતની આશા હતી અને એવું લાગી રહ્યું હતું કે રિઝવાન ટીમને જિતાડશે.
આવું માનવાનું સૌથી મોટું કારણ હતું કે રિઝવાન લાંબા સમય સુધી પીચ પર ટકી ગયો હતો પરંતુ તેમ છતાં જે રીતે ઈન્ડિયન ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Pacer Jasprit Bumrah)એ તેને પોતાનો શિકાર બનાવ્યો એ જોતા પાકિસ્તાની ટીમ અને ક્રિકેટપ્રેમીઓનો ગુનેગાર બની ગયો હતો. બુમરાહની લેન્થ બોલ પર મોટો શોટ ફટકારવાના ચક્કરમાં રિઝવાન આઉટ થઈ ગયો હતો.
રિઝવાનના આઉટ થયો એ પહેલાં સુધી તો પાકિસ્તાની ટીમ ખૂબ જ સરળતાથી જિતતી દેખાઈ રહી હતી, પણ ખોટા સમયે ખોટી રીતે વિકેટ નાખી દેવાને કારણે પાકિસ્તાનને આ મેચમાં પણ નિરાશા જ હાથ લાગી હતી.
રિઝવાનને દોષી ઠેરવવાનું મુખ્ય કારણ વિકેટ પર લાંબો સમય પસાર કર્યા બાદ ખોટી રીતે આઉટ થવાનું કારણ છે. આ સિવાય પાકિસ્તાની ટીમની બેટિંગ જોઈએ તો તે સૌથી મોટો આધાર બાબર અને રિઝવાનની આસપાસ જ ફરે છે, અને આવા કટોકટીના સમયે રિઝવાને દાખવેલી લાપરવાહીને કારણે પાકિસ્તાની ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

