શા માટે રાહુલ-રિન્કુ ટીમની બહાર?

Reena Brahmbhatt
3 Min Read

મુંબઈ, તા. 2 : આઇસીસી ટી-20 વર્લ્ડકપની ભારતીય ટીમ ગઇકાલે જાહેર થયા બાદ આજે કપ્તાન રોહિત શર્મા અને બીસીસીઆઇના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કેએલ રાહુલ અને રિંકુ સિંહની પસંદગી કેમ ન થઇ સહિતના અનેક કઠિન સવાલના વિસ્તૃત જવાબ આપ્યા હતા. આ તકે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટનશિપ છીનવી લેવા પર રોહિત શર્માની વ્યથા છલકી આવી હતી. વર્લ્ડકપમાં ઉપકપ્તાન હાર્દિક પંડયાની ભૂમિકા પર અગરકરે પ્રકાશ પાડયો હતો. રિષભ પંત પછી બીજા વિકેટકીપર તરીકે કેએલ રાહુલના બદલે સંજૂ સેમસનની પસંદગી પર મુખ્ય સિલેક્ટર અગરકરે કહ્યું કે, સંજૂ પાછલા ઘણા સમયથી મિડલ ઓર્ડરમાં સારો દેખાવ કરી રહ્યો છે. પંત પાંચમા નંબરે સારો છે. જ્યારે કેએલ રાહુલ તેની ટીમ તરફથી ટોચના ક્રમે બેટિંગ કરે છે. તે એક જબરદસ્ત બેટધર છે, પણ બેટિંગ ઓર્ડરને લીધે તે ટીમમાં જગ્યા બનાવી શકયો નથી. કપ્તાન રોહિતે પણ આ વાત પર સંમતિ વ્યકત કરી હતી. આઈપીએલમાં હાર્દિક પંડયાની કપ્તાનીમાં રમવા પરના સવાલ પર રોહિતે જણાવ્યું કે હું ઘણા કેપ્ટનની નીચે રમી ચૂકયો છું. મારા માટે આ કોઇ નવી વાત નથી. કપ્તાની આવતી-જતી રહે છે.
01 rohit sharma

આ કોઇ નવી વાત નથી. હું પહેલાં પણ કેપ્ટન હતો, પછી ન રહ્યો અને હવે ફરી કપ્તાન છું. આ જીવનનો હિસ્સો છે. બધું તમને માફક હોય એવું થતું નથી. બસ હું ખેલાડી તરીકે જે જરૂરી હોય તે કરવાની કોશિશ કરતો રહું છું, જે પાછલા એક મહિનાથી પણ કરી રહ્યો છું. જ્યારે અગરકરે કહ્યં કે, રોહિત શર્માએ પ0 ઓવરના વર્લ્ડકપમાં શાનદાર કપ્તાની કરી હતી. આ જ કારણે આ ટૂર્નામેન્ટમાં અમે તેને ફરી જવાબદારી સોંપી છે. અમે હાર્દિકને લઇને પણ વિચાર કર્યો હતો, પણ રોહિત મહાન ખેલાડી છે. રિંકુ સિંહ વિશેના સવાલ પર અગરકરે જણાવ્યું કે, તેની કોઇ ભૂલ નથી. તે જબરદસ્ત ફટકાબાજ છે. અક્ષર ઓલરાઉન્ડરનો વિકલ્પ આપે છે. કોમ્બિનેશને લઇને રિંકુની જગ્યા ન બની. અમે રોહિતને વધુ સ્પિનરના વિકલ્પ આપવા માગતા હતા. રોહિતે પણ કહ્યું અમે ટીમમાં ચાર સ્પિનર માગ્યા હતા.

- Advertisement -

રોહિતે જણાવ્યું કે, ઇલેવન વિશે અત્યારે વાત કરવી અપ્રસ્તુત છે. મેચના દિવસે પીચ અને અન્ય પરિસ્થિતિ ધ્યાને રાખીને પ્લેઇંગ ઇલેવન નિશ્ચિત થશે. શિવમ દૂબે મોટો હિટર છે. આથી તેની પસંદગી કરી છે, પણ કોઇ ખેલાડી આખરી 11માં હશે તેની ખાતરી આપી શકાય નહીં. વિરાટ કોહલીની સ્ટ્રાઇક રેટ પરના સવાલ પર કપ્તાન શર્માએ સાફ શબ્દોમાં જણાવ્યું કે, અનુભવ મહત્ત્વનો છે. આ વિશે વધુ કોઇ ચર્ચાની જરૂર નથી. જ્યારે હાર્દિકની પસંદગી પર કહ્યું, તેની ઓલરાઉન્ડર ક્ષમતા પર કોઇ શંકા નથી. તે જ્યાં સુધી ફિટ છે ત્યાં સુધી કોઇ પણ કેપ્ટન તેને ટીમમાં ઇચ્છે છે.

Share This Article