નવી દિલ્હીઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ એક્ટર ગુરૂચરણ સિંહ ઉર્ફે રોશન સિંહ સોઢીના ફેન્સ માટે ગુડ ન્યુઝ આવ્યા છે. 25 દિવસ બાદ આખરે અભિનેતા ઘરે પાછો ફર્યો છે. લાંબા સમયથી એક્ટરની ગુમશુદગીને કારણે પરિવાર, મિત્રો અને ફેન્સ પણ એકદમ ચિંતામાં પડી ગયા હતા. પણ આખરે હવે ગુરુચરણ સિંહ સુખરૂપ ઘરે પાછો ફરતા બધાએ રાહતનો શ્વાસ લીધો છે.
પોલીસે જ્યારે ગુરુચરણ સિંહની પૂછપરછ કરી અને તે એટલા દિવસ ક્યાં હતો એવી પૂછપરછ કરી ત્યારે એક્ટરે તે દુનિયાદારી છોડીને ધાર્મિક યાત્રા પર નીકળી પડ્યો હતો એવું જણાવ્યું હતું. એટલું જ નહીં પણ આટલા દિવસ સુધી અમૃતસર, લુધિયાણા સહિત અનેક શહેરમાં આવેલા ગુરૂદ્વારામાં તેણે આશરો લીધો હોવાનું પણ તેણે કબ્લ્યું હતું. જ્યારે એને લાગ્યું કે હવે એણે ઘરે પાછા ફરવું જોઈએ ત્યારે જ તેણે ઘરે પાછા ફરવાનો નિર્ણય લીધો હતો એવું પણ તેણે વધુમાં ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુચરણ 22મી એપ્રિલના મુંબઈ જવા માટે દિલ્હીથી રવાના થવાના હતા પણ તેણે નવી દિલ્હીથી ફલાઈટમાં બોર્ડિંગ કર્યું જ નહોતું. તેના ચાર દિવસ બાદ ગુરુચરણ સિંહ લાપતા હોવાના સમાચાર જાણવા મળ્યા હતા. ગુરુચરણ સિંહના પિતાએ દિલ્હી પોલીસમાં પોતાનો દીકરો ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને એમાં અનેક ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. જેમાં એક્ટરની આર્થિક સ્થિતિ સારી ન હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ સિવાય ગુરુચરણના 10 બેન્ક એકાઉન્ટ હોવાની માહિતી પણ જાણવા મળી હતી. આ સિવાય એક્ટર એરપોર્ટના આસપાસમાં આવેલા સીસીટીવી કેમેરામાં એક પછી એક રિક્ષા બદલતો જોવા મળ્યો હતો. દરમિયાન હાલમાં જ એકટરના વૃદ્ધ પિતાએ પોતે દીકરા ગુરુચરણની રાહ જોઈ જોઈને થાકી ગયા હોવાનું નિવેદન આપ્યું હતું.
પિતાએ આપેલા આ નિવેદન બાદ હવે ગુરુચરણ સિંહ 25 દિવસે ઘરે હેમખેમ પાછા ફરતાં પરિવારના લોકો, મિત્રો તેમ જ ફેન્સની ખુશીનો કોઈ પાર નથી રહ્યો.
