Tarique Rahman Oath Ceremony 2026: બાંગ્લાદેશના રાજકારણમાં આજે એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. લાંબા સમય સુધી પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ખાલિદા ઝિયાના વિચારોની આસપાસ ફરતા બાંગ્લાદેશને 35 વર્ષ પછી તારિક રહેમાનના રૂપમાં નવા વડાપ્રધાન મળવા જઈ રહ્યા છે. જોકે રહેમાનની આ સફર એટલી સરળ નહોતી. ચાર વર્ષના લાંબા દેશનિકાલ અને રાજકીય પડકારો છતાં તારિક રહેમાને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ને મજબૂત રીતે એકજૂથ કરી અને યુવા મતદારોને આકર્ષીને જનસમર્થનની નવી લહેર ઉભી કરી.
એટલું જ નહીં, 2026ની આ સામાન્ય ચૂંટણીમાં પાર્ટીની ઐતિહાસિક જીતે તેમની વ્યૂહાત્મક ક્ષમતા અને નેતૃત્વને ઉજાગર કર્યું. ત્યારબાદ આજે એટલે કે મંગળવારે તારિક રહેમાન બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.
પહેલા સમજો કે કેમ મુશ્કેલ રહી રહેમાનની સફર?
આ વાતને એ રીતે સમજી શકાય છે કે બાંગ્લાદેશનું રાજકારણ દાયકાઓથી બે મુખ્ય પારિવારિક-રાજકીય ધારણાઓ વચ્ચે ફરતું રહ્યું છે – શેખ હસીના અને સ્વર્ગસ્થ ખાલિદા ઝિયાનો વારસો. આવા સમયે 2026ની ચૂંટણીમાં BNP ની જીત અને તારિક રહેમાનની ભૂમિકા સંકેત આપે છે કે હવે દેશનું નેતૃત્વ એક નવા રાજકીય યુગમાં પ્રવેશ કરી શકે છે.
રહેમાનનું શિક્ષણ ક્યાં થયું?
20 નવેમ્બર 1965ના રોજ જન્મેલા તારિક રહેમાન BNP ના વરિષ્ઠ નેતા અને પાર્ટીના ચેરમેન છે. શરૂઆતી અભ્યાસ ઢાકાની BAF શાહીન કોલેજ અને ઢાકા રેસિડેન્શિયલ મોડલ કોલેજમાંથી કર્યા બાદ, તેમણે ઢાકા યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. અહીંથી જ તેમણે રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું હતું.
તેઓ રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના પિતા ઝિયા ઉર રહેમાન બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ હતા, જેમની 1981માં હત્યા થઈ હતી. તેમની માતા બેગમ ખાલિદા ઝિયા બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન રહ્યા હતા.
જ્યારે ચાર વર્ષની ઉંમરે જેલ ગયા હતા તારિક
તારિક રહેમાન (તારિક ઝિયા) 1971ના મુક્તિ સંગ્રામ દરમિયાન માત્ર ચાર વર્ષના હતા અને થોડા સમય માટે અટકાયતમાં પણ રહ્યા હતા. આથી તેમની પાર્ટી તેમને યુદ્ધના સૌથી નાની ઉંમરના કેદીઓમાંના એક ગણાવીને સન્માન આપે છે.
ટોચના નેતા તરીકે ઉભરી આવ્યા
રહેમાન 2001માં 35 વર્ષની ઉંમરે સક્રિય રાજકારણમાં આવ્યા. વિપક્ષે તેમના ઝડપી ઉદયને ભત્રીજાવાદ ગણાવ્યો, પરંતુ તેઓ સંગઠનાત્મક વ્યૂહરચનાકાર તરીકે ઓળખાયા. 30 ડિસેમ્બરે ખાલિદા ઝિયાના નિધન બાદ તેઓ BNP ના અધ્યક્ષ તરીકે કાર્યરત થયા.
કાનૂની કેસ અને વિવાદો
અવામી લીગના શાસન દરમિયાન રહેમાન પર ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ અને શેખ હસીનાની હત્યાના કથિત કાવતરા જેવા અનેક કેસ ચાલ્યા. તેઓ 17 મહિના સુધી કસ્ટડીમાં પણ રહ્યા. રહેમાને આ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા.
લંડનમાં સ્વૈચ્છિક દેશનિકાલ
2008માં અવામી લીગની જીત બાદ તેઓ સારવાર માટે લંડન ગયા, જ્યાં તેઓ લગભગ 17 વર્ષ રહ્યા. રસપ્રદ તથ્ય એ છે કે તારિક રહેમાન ક્યારેય રાષ્ટ્રીય સંસદના સભ્ય રહ્યા નથી, તેમનો પ્રભાવ સંગઠનાત્મક નિયંત્રણ અને પારિવારિક વારસાથી છે.
ક્યારે મળ્યું ‘ડાર્ક પ્રિન્સ’નું ઉપનામ?
જ્યારે BNP ના નેતૃત્વ હેઠળનું ગઠબંધન જમાત-એ-ઈસ્લામી સાથે સત્તામાં હતું, તે જ ગાળામાં વિરોધીઓ અને વિવેચકો દ્વારા તારિક રહેમાનને ‘ડાર્ક પ્રિન્સ’ ઉપનામ આપવામાં આવ્યું હતું.

