વડોદરાઃ આઠ ઇંચ વરસાદ, 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા

Reena Brahmbhatt
3 Min Read

પ્રશાસને ઈમરજન્સી નંબર જારી કર્યો, રાહત અને બચાવ કામગીરી શરૂ થઈ

વડોદરા, 24 જુલાઇ. વડોદરામાં અવિરત વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે અને ટ્રાફિક જામ સર્જાયો છે. બુધવારે સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. બપોર સુધીમાં અહી 8 ઈંચથી વધુ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થતા 100થી વધુ ઘરોમાં પાણી ઘુસી ગયા છે. વહીવટીતંત્ર દ્વારા ઈમરજન્સી નંબર જારી કરીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણા સહિતના અધિકારીઓ કંટ્રોલ રૂમમાંથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

- Advertisement -

rain baroda

હવામાન વિભાગે મધ્ય ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, પરંતુ મધ્ય ગુજરાતના વિસ્તારોને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડ્યો હતો. બુધવારે સવારથી વડોદરામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો હતો. સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 8 ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે. વરસાદના કારણે કારેલીબાગ, ફતેગંજ, સયાજીગંજ, રાવપુરા, માંડવી ન્યાય મંદિર, વાઘોડિયા રોડ, આજવા રોડ, માંજલપુર, વડસર, તરસાલી, કલાલી, ગોત્રી, ગોરવા, સુભાનપુરા સહિતના વિસ્તારોમાં ઘૂંટણિયે પાણી ભરાઈ ગયા હતા. રાવપુરા માછી પીઠમાં પાણી ભરાયા બાદ પોલીસે અહીં બેરિકેડિંગ કરીને લોકોની અવરજવર અટકાવી દીધી છે. વડોદરાના કલેક્ટર બીજલ શાહે જણાવ્યું હતું કે જિલ્લામાં ભારે વરસાદને પગલે વહીવટીતંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ તાલુકા માટે નિમાયેલા લાયઝન અધિકારીઓને તાલુકાઓમાં જઈને રિપોર્ટ કરવા જણાવાયું છે. જિલ્લાના તમામ અધિકારીઓ અને પટાવારીઓને મુખ્ય કેન્દ્ર પર હાજર રહેવા, તકેદારી રાખવા અને જરૂરી કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. વરસાદના કારણે પડેલા વૃક્ષોને તાત્કાલિક દૂર કરવા, ગટરની તાત્કાલિક વ્યવસ્થા કરવા અને અન્ય તમામ જરૂરી પગલાં લેવા આદેશો આપવામાં આવ્યા છે.

- Advertisement -

પાણી ઘરોમાં ઘૂસી ગયા

વડોદરાના નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકોની મુશ્કેલી વધી છે. નવાયાર્ડ વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસી જતાં લોકોના ઘરવખરીનો સામાન ભીંજાયો હતો. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ગરનાળા બંધ થવાના કારણે ગોત્રી જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાદરા તાલુકામાં 6.5 ઈંચ, કરજણમાં 3 ઈંચ અને શિનોરમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો છે. જેમાં વિશ્વામિત્રી નદીની જળ સપાટી 15.6 ફૂટ, આજવા ડેમની જળ સપાટી 208 ફૂટે પહોંચી છે. વિશ્વામિત્રી નદીની મહત્તમ જળ સપાટી 23 ફૂટ અને આજવા ડેમની મહત્તમ જળ સપાટી 217 ફૂટ છે.

- Advertisement -

ટ્રેનની કામગીરી પર અસર

અહીં વરસાદને કારણે ટ્રેનોને પણ અસર થઈ છે. બે ટ્રેનો રદ કરવામાં આવી છે અને 10 ટ્રેનો મોડી ચાલી રહી છે. વડોદરા ડિવિઝનના ગોથાનગામ અને સયાન વચ્ચેના બ્રિજ નંબર 471ના ગર્ડર બોટમ સુધી પાણી ભરાવાને કારણે સેક્શન પર ટ્રેનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. 09082 ભરૂચ-સુરત મેમુ રદ કરવામાં આવી છે. 09080 વડોદરા-ભરૂચ મેમુને પાલેજ સુધી મોકૂફ રાખવામાં આવી છે. આ સિવાય અન્ય 10 ટ્રેનો મોડી ચાલી રહી છે.

Share This Article