ઢાકા, તા. 12 : બાંગલાદેશમાં હિન્દુઓ પર થયેલી હિંસા બાદ થઈ રહેલા પ્રદર્શન પ્રબળ બની રહ્યા છે, તેવામાં પ્રદર્શનકારીઓએ 1971મા યુદ્ધ સાથે સંકળાયેલા ભારતીય સેનાની જીતના સ્મારકને તોડી પાડયું હતું. બીજી તરફ શાંતિ માટે મોહમ્મદ યુનુસ છાત્રો સાથે ચર્ચા કરશે. આ ઘટનાને કોંગ્રેસ નેતા શશી થરુરે વખોડી હતી. એક મીડિયા હેવાલ મુજબ, સ્મારક તોડી પડાયા અંગે કોંગ્રેસ નેતા શશી થરુરે જણાવ્યું હતું કે, ભારત બાંગલાદેશની સાથે છે, પણ દેશમાં અરાજક્તા ફેલાવનારી ઘટનાને માફ કરી શકાય નહી તેમ કહી ઉમેર્યું હતું કે, મોહમ્મદ યુનુસ ભારત માટે ખતરો નથી. તેમના પાકિસ્તાનની આઈએસઆઈ કે જમાત-એ-ઈસ્લામી સાથે સંબંધ નથી. તે અમેરિકા સાથે નિકટતા ધરાવે છે.

આવી સ્થિતિમાં તેમની વચ્ચગાળાની સરકારથી ભારત-બાંગલાદેશના સંબંધો પર કોઈ ખાસ અસર પડશે નહીં તેમ થરુરે કહ્યું હતું. બીજી તરફ મોહમ્મદ યુનુસ વિદ્યાર્થીઓ સાથે શાંતિ બાબતે ચર્ચા કરશે તેવું પણ જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 16 ડિસેમ્બર 1971ના પાકિસ્તાનના લેફ્ટનન્ટ જનરલ એએકે નિયાજીએ હજારો સૈનિકો સાથે ભારતીય સેના સામે શરણાગતિ સ્વીકારી હતી. ભારતીય સેનાના અધિકારી કમાન્ડિંગ ઈન ચીફ લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોડા સામે તેમણે દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા, જેની છબી આ તોડી પડાયેલા સ્મારકમાં દર્શાવાઈ હતી.

