Measles Outbreak in Bangladesh: બાંગ્લાદેશમાં ઓરીનું સંકટ સતત ઘેરૂ બની રહ્યું છે. સ્થિતિ એટલી ગંભીર બની છે કે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫ બાળકોના મોત થયા છે. આ સાથે ઓરી અથવા તેના જેવા લક્ષણોને કારણે જીવ ગુમાવનારાઓની કુલ સંખ્યા વધીને ૬૧૩ થઈ ગઈ છે.
બાંગ્લાદેશના સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલયે જણાવ્યું છે કે તાજેતરમાં થયેલા મૃત્યુને હાલમાં શંકાસ્પદ ઓરીના કેસ તરીકે નોંધવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૫૨૨ મૃત્યુ શંકાસ્પદ ઓરીના કેસ સાથે જોડાયેલા છે, જ્યારે ૯૧ મૃત્યુની લેબ તપાસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.
૨૪ કલાકમાં ૯૧૫ નવા કેસ
વધતા સંક્રમણની ગતિ પણ ચિંતા વધારી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૧૫ નવા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આ પછી દેશમાં કુલ શંકાસ્પદ કેસની સંખ્યા ૭૭ હજાર ૭૯૧ સુધી પહોંચી ગઈ છે. જ્યારે ૧૧૭ નવા કેસમાં ઓરીની પુષ્ટિ થઈ છે, જેનાથી કુલ પુષ્ટિ થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૯ હજાર ૬૨૦ થઈ ગઈ છે.
આ વર્ષે ૧૫ માર્ચથી અત્યાર સુધી ઓરી જેવા લક્ષણો ધરાવતા ૬૩ હજારથી વધુ બાળકો અને દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી લગભગ ૫૯ હજાર લોકો સારવાર બાદ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, પરંતુ હોસ્પિટલો પર હજુ પણ ભારે દબાણ છે.
સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઘણા પરિવારો પોતાના બીમાર બાળકોને લઈને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ભટકી રહ્યા છે. તેમને આશા હોય છે કે ક્યાંક કોઈ પલંગ મળી જાય, પરંતુ રાજધાની ઢાકાની મોટી હોસ્પિટલોમાં પણ જગ્યાની ભારે અછત છે.
વોર્ડ ખોલવાની ફરજ પડી
ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, શરૂઆતમાં ઓરીના દર્દીઓ માટે માત્ર બે વોર્ડ બનાવવામાં આવ્યા હતા. દર્દીઓની સંખ્યા વધતા ત્રીજો અને પછી ચોથો વોર્ડ પણ ખોલવો પડ્યો. હવે હોસ્પિટલ આઈસીયુ સુવિધાઓ સાથે ચાર વિશેષ વોર્ડ ચલાવી રહી છે, પરંતુ તેમ છતાં પલંગ ઓછા પડી રહ્યા છે.
હોસ્પિટલની એક સિનિયર નર્સે જણાવ્યું કે ૨૬ પલંગ વાળો વોર્ડ હંમેશા ભરેલો રહે છે. જેવો એક દર્દી ડિસ્ચાર્જ થાય છે, તરત જ બીજો દર્દી દાખલ થવા માટે પહોંચી જાય છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે બાળકોમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આવા સમયે મોટા પાયે રસીકરણ, લોકોમાં જાગૃતિ અને સમયસર સારવાર જ આ સંકટને રોકવાનો સૌથી અસરકારક રસ્તો છે. સરકાર અને સ્વાસ્થ્ય એજન્સીઓ સ્થિતિ પર નજર રાખી રહી છે, પરંતુ વધતા કેસોએ આખા દેશની ચિંતા વધારી દીધી છે.

