Pakistan-India Conflict: પાકિસ્તાને સ્વીકાર્યું છે કે તેને ભારત સામેના તણાવમાં ચીન પાસેથી મદદ મળી હતી. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાત સ્વીકારી છે. આ દરમિયાન તેમણે ચીનને સાચો મિત્ર પણ ગણાવ્યો છે. બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે દાવો કર્યો છે કે પાકિસ્તાનના કારણે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયર થયું છે.
‘પાકિસ્તાન હાઈ એલર્ટ પર છે’
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે સ્વીકાર્યું કે ઓપરેશન સિંદૂર બાદ વધેલા તણાવને ધ્યાનમાં રાખીને ચીન દ્વારા પાકિસ્તાનને ભારત વિશે ગુપ્ત માહિતી પૂરી પાડી રહ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, ‘મિત્ર દેશો માટે સેટેલાઇટ અથવા અન્ય માધ્યમો દ્વારા ગુપ્ત માહિતી શેર કરવી સામાન્ય છે. ભારત સાથેના વિવાદ દરમિયાન ચીને પાકિસ્તાનને આવી ઘણી માહિતી આપી હતી. ચીનનો પણ ભારત સાથે ઘણાં મુદ્દાઓ પર વિવાદ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનને સેટેલાઇટ અથવા અન્ય ગુપ્ત માહિતી આપવી સ્વાભાવિક છે.’
હાલ પાકિસ્તાનની સ્થિતિ અંગે ખ્વાજા આસિફે કહ્યું કે, ‘ભારત સાથેના તણાવ પછી પાકિસ્તાન હાઈ એલર્ટ પર છે. સુરક્ષાના દૃષ્ટિકોણથી અમે ક્યાંય પણ અમારી સતર્કતા ઓછી કરી નથી. અમે એક મહિનાથી વધુ સમયથી એલર્ટ સ્થિતિ જાળવી રાખી છે. ભારત સાથે સીઝફાયર થયું છે અને અમને આશા છે કે પરિસ્થિતિ શાંત રહેશે.’
પાકિસ્તાન દ્વારા આ કબૂલાત સીઝફાયર પર સંમત થયાના એક મહિનાથી વધુ સમય પછી આવી છે. દરમિયાન ગુરુવારે (26મી જૂન) ચીનમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની બેઠકમાં, રક્ષ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ખુલ્લું પાડ્યું.
પાકિસ્તાનના પીએમનો ચોંકાવનારો દાવો
બીજી તરફ પાકિસ્તાને નવો દાવો છે કે તેણે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સીઝફાયર કરાવ્યું છે. તે પણ તેના ફિલ્ડ માર્શલ આસીમ મુનીરના કારણે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કેબિનેટ બેઠકમાં દાવો કર્યો હતો કે જ્યારે આસીમ મુનીર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા અમેરિકા ગયા હતા, ત્યારે તે ઈસ્તંબુલમાં ઈરાનના વિદેશ મંત્રીને મળી ચૂક્યા હતા અને ત્યાં ઈરાની વિદેશ મંત્રીએ કહ્યું હતું કે જો ઈઝરાયલ હુમલા બંધ કરે તો અમે સીઝફાયર માટે તૈયાર છીએ. આ પછી આસીમ મુનીર ટ્રમ્પને મળ્યા અને આ યુદ્ધ બંધ થઈ ગયું.’