Ragging Cases: યુજીસીના આંકડાઓમાં ખુલાસો, 2026માં રેગિંગની સૌથી વધુ ફરિયાદો ઉત્તર પ્રદેશમાંથી
Ragging Cases: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, વર્ષ 2022થી રેગિંગની ફરિયાદોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વર્ષ 2026માં અત્યાર સુધી સૌથી વધુ કેસ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાંથી સામે આવ્યા છે.
અહેવાલ મુજબ, શિક્ષણ રાજ્યમંત્રી સુકાંત મજુમદારે જણાવ્યું કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ વર્ષ 2025માં રેગિંગ નિરોધક વિનિયમો, 2009ના ઉલ્લંઘનના આક્ષેપ હેઠળ 107 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને, જેમાં 18 મેડિકલ કોલેજો પણ સામેલ છે, કારણ દર્શાવો નોટિસ જાહેર કરી હતી.
મંત્રી લોકસભામાં સાંસદ સાયની ઘોષ દ્વારા પૂછાયેલા લેખિત પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. સાંસદે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંથી પ્રાપ્ત થયેલી રેગિંગની ફરિયાદોની સંખ્યા, તેમનો રાજ્યવાર વિગત, આ સંબંધમાં કરવામાં આવેલી કાર્યવાહી તેમજ યુજીસીની હાલની રેગિંગ વિરોધી વ્યવસ્થાની અસરકારકતાની સમીક્ષા કરવામાં આવી છે કે નહીં તે અંગે માહિતી માંગી હતી.
મજુમદારે કહ્યું, ‘આ નોટિસોમાં એવી ખામીઓ સામે લાવવામાં આવી હતી, જેમ કે વિદ્યાર્થીઓ અને માતા-પિતા અથવા વાલીઓ પાસેથી એન્ટી-રેગિંગ અન્ડરટેકિંગ (સોગંદનામું) ન લેવું અને વારંવાર સલાહ તથા ફોલો-અપ છતાં સંસ્થા દ્વારા પાલન અહેવાલ રજૂ ન કરવો.’
તેમણે દાવો કર્યો કે વિદ્યાર્થીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં વધેલી જાગૃતિને કારણે હવે રેગિંગના કેસોની વધુ નોંધ થઈ રહી છે. તેમણે કહ્યું, ‘રેગિંગની રોકથામ માટે જાગૃતિ વધારવા, ફરિયાદ નોંધાવવા અને ફરિયાદ નિવારણ વ્યવસ્થાને મજબૂત બનાવવાના હેતુથી યુજીસી દર વર્ષે બે વખત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પરામર્શ જાહેર કરે છે. વિદ્યાર્થીઓમાં વધેલી જાગૃતિ એ વાતનો પુરાવો છે કે નિયામક વ્યવસ્થા ફરિયાદ નોંધાવવા અને તેના નિવારણને પ્રોત્સાહિત કરવામાં અસરકારક રહી છે.’
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લઈને મંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, વર્ષ 2026માં (22 જુલાઈ સુધી) કુલ 755 રેગિંગની ફરિયાદો નોંધાઈ હતી. છેલ્લા ચાર વર્ષમાં નોંધાયેલી ફરિયાદોની સંખ્યા આ મુજબ છે: 2025 – 1,369; 2024 – 1,084; 2023 – 962; અને 2022 – 655.
આંકડાઓ અનુસાર, ઉત્તર પ્રદેશમાં દર વર્ષે સૌથી વધુ રેગિંગની ફરિયાદો નોંધાઈ છે. વર્ષ 2026માં (22 જુલાઈ સુધી) અન્ય રાજ્યોમાં ફરિયાદોની સંખ્યા આ મુજબ છે: પશ્ચિમ બંગાળ 75 (2025માં 102), મધ્ય પ્રદેશ 63 (2025માં 117), મહારાષ્ટ્ર 53 (2025માં 89), બિહાર 50 (2025માં 122) ફરિયાદો નોંધાઈ હતી.
મજુમદારે કહ્યું કે સરકારનો નિયામક અભિગમ સુધારાત્મક અને નિવારક બંને રહ્યો છે, જેથી શિક્ષણ સંસ્થાઓ પોતાની ખામીઓ દૂર કરે અને રેગિંગ વિરોધી પગલાંઓનું કડક પાલન સુનિશ્ચિત કરે. તેનાથી વિદ્યાર્થીઓના કલ્યાણ અને પરિસરની સુરક્ષામાં વધુ સુધારો થઈ શકે.
તેમણે જણાવ્યું કે યુજીસીએ વર્ષ 2016માં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગની સમસ્યાને નિયંત્રણમાં લેવા સંબંધિત હાલના વિનિયમોમાં ત્રીજો સુધારો કર્યો હતો, જેના હેઠળ રેગિંગની વ્યાખ્યાનો વ્યાપ પણ વિસ્તૃત કરવામાં આવ્યો હતો.
અખબારના જણાવ્યા અનુસાર, રેગિંગ પર નિયંત્રણ લાવવા માટે યુજીસીએ અનેક પગલાં લીધાં છે. તેમાં 24×7 રાષ્ટ્રીય એન્ટી-રેગિંગ હેલ્પલાઇનની સ્થાપના, એન્ટી-રેગિંગ વર્કશોપ અને સેમિનારોનું આયોજન, સંસ્થાઓના પ્રોસ્પેક્ટસમાં રેગિંગના ગંભીર દૂષ્પરિણામોનો ફરજિયાત ઉલ્લેખ, દરેક શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પાસેથી ઑનલાઇન રેગિંગ વિરોધી ઘોષણાપત્ર ભરાવવું અને સંસ્થાઓના મુખ્ય સ્થળોએ એન્ટી-રેગિંગ પોસ્ટરો લગાવવાનો સમાવેશ થાય છે.

