Jharkhand Student Protest: ભરતી પરીક્ષા વિવાદ વચ્ચે રાંચીમાં વિદ્યાર્થીઓના માર્ચ પર પોલીસ કાર્યવાહી, લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

Arati Parmar
6 Min Read

Jharkhand Student Protest: ઝારખંડની રાજધાની રાંચીમાં સોમવારે (10 ઑગસ્ટ) ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓના વિરોધમાં વિધાનસભા તરફ કૂચ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો અને વોટર કેનનનો ઉપયોગ કર્યો. તેમનું આંદોલન સોમવારે 17મા દિવસે પ્રવેશ્યું.

ઝારખંડ સરકાર સાથેની ચર્ચાનો છઠ્ઠો તબક્કો રવિવારે (9 ઑગસ્ટ) કોઈ પરિણામ વગર પૂર્ણ થયા બાદ રાજ્યમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સોમવારે રાંચીમાં વિધાનસભા તરફ કૂચ કરવા નીકળ્યા હતા. તેઓ ઝારખંડ લોક સેવા આયોગ (JPSC) અને ઝારખંડ કર્મચારી પસંદગી આયોગ (JSSC)ની પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓનો વિરોધ કરી રહ્યા હતા. આ કૂચ પહેલાં રાંચીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી હતી.

- Advertisement -

જણાવવામાં આવ્યું છે કે રાંચીમાં જગન્નાથ મંદિર નજીક ઝારખંડ વિધાનસભા તરફ જતાં માર્ગ પર રેઝર ફેન્સિંગ લગાવવામાં આવી હતી અને વિધાનસભાના 750 મીટરના વિસ્તારમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 163 લાગુ કરવામાં આવી હતી.

હાથમાં તિરંગો અને માંગણીઓ સંબંધિત પ્લેકાર્ડ લઈને પ્રદર્શનકારીઓ જ્યારે નવી વિધાનસભા પરિસર તરફ જતાં માર્ગ પર જગન્નાથપુર મંદિર નજીક અંતિમ બેરિકેડ સુધી પહોંચ્યા ત્યારે પોલીસે તેમના પર પાણીનો મારો કર્યો. તેમ છતાં પ્રદર્શનકારીઓ નાચતા અને સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા રહ્યા.

- Advertisement -

અહેવાલ મુજબ, પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બેરિકેડ તોડી નાખ્યા, જેના બાદ પોલીસે તેમને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો અને વોટર કેનનનો ઉપયોગ કર્યો.

પોલીસનું શું કહેવું છે?

રાંચીના SP (ગ્રામીણ) ગૌરવ ગોસ્વામીએ જણાવ્યું કે જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ અંતિમ બેરિકેડ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જ્યાં કલમ 163 લાગુ છે, ત્યારે હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો.

- Advertisement -

તેમણે કહ્યું, ‘લાઠીનો ખૂબ ઓછો ઉપયોગ કરવામાં આવ્યો. અમે વિદ્યાર્થીઓ સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ. તેઓ હાલમાં શાંતિપૂર્ણ છે, અમે તેમની સાથે સતત ચર્ચા કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓ થોડો સમય અહીં જ રોકાવા માટે અમારી સાથે સંમત થયા છે.’

રાંચીમાં વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે, ઝારખંડ લોકતાંત્રિક ક્રાંતિકારી મોર્ચા (JLKM)ના વિધાનસભ્ય જયરામ કુમાર મહતોએ જણાવ્યું, ‘ઝારખંડ પોલીસ માટે એક સંદેશ છે – ઝારખંડના વિદ્યાર્થીઓને સહયોગ આપો કારણ કે આ શાંતિપૂર્ણ વિરોધ છે.’

વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અંગે તેમણે કહ્યું, ‘આ યોગ્ય નથી. આ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ વિરોધ છે, તો પછી લાઠીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?’ પોલીસ લાઠીચાર્જમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ વિશે તેમણે કહ્યું, ‘હા, મેં સાંભળ્યું છે. તેથી હું અહીં આવ્યો છું. શું થઈ રહ્યું છે તે જાણવા હું પ્રયત્ન કરીશ.’

સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, ડુમરીના વિધાનસભ્ય જયરામ મહતોએ જણાવ્યું, ‘મેં ઝારખંડ પોલીસ અને તમામ સંબંધિત લોકોને અપીલ કરી છે કે વિરોધ શાંતિપૂર્ણ રહે અને તેમાં કોઈ અવરોધ ન આવે. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, તેથી આ મુદ્દાઓને ગૃહમાં ઉઠાવવું જરૂરી છે. હું એક વિધાનસભ્ય છું અને વિધાનસભા જ એ સ્થળ છે જ્યાં હું આ મુદ્દાઓ ઉઠાવી શકું છું. જો રસ્તા પર ઉઠેલા મુદ્દાઓ ગૃહ સુધી નહીં પહોંચે તો કાર્યવાહી કેવી રીતે થશે? રસ્તા પર ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને ગૃહ સુધી લઈ જવું જરૂરી છે. મેં વિદ્યાર્થીઓને અહીં જ રહેવા માટે કહ્યું છે. જ્યાં સુધી ચર્ચા નહીં થાય અને તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય, ત્યાં સુધી તેઓ અહીં જ બેઠા રહે.’

ભૂખ હડતાળ પર રહેલા નેતા પણ માર્ચમાં જોડાયા

અહેવાલ મુજબ, વિદ્યાર્થીઓના સમર્થનમાં છેલ્લા નવ દિવસથી ભૂખ હડતાળ પર રહેલા JLKMના નેતા દેવેન્દ્ર નાથ મહતો પણ એમ્બ્યુલન્સમાં સવાર થઈને માર્ચમાં જોડાયા હતા. આ દરમિયાન તેમનું વજન 10.5 કિલોગ્રામ જેટલું ઘટી ગયું છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેનનું ચિત્ર હાથમાં લઈને જોવા મળ્યા હતા.

મહતોએ જણાવ્યું, ‘અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છીએ અને સૌને અપીલ કરીએ છીએ કે આ શાંતિ જાળવવામાં અમારી મદદ કરો. અમે લાખો વિદ્યાર્થીઓના અવાજને આગળ મૂકી રહ્યા છીએ, જે પોતાના સપનાઓ અને કારકિર્દી માટે સંઘર્ષ કરી રહ્યા છે… મારું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે.’

એક પ્રદર્શનકારીએ કહ્યું, ‘જો અમે વિધાનસભા સુધી પહોંચી શકતા નથી તો અમારો અવાજ ત્યાં સુધી પહોંચવો જોઈએ. અમે એવી સરકારથી ડરતા નથી જે અમારો દેશદ્રોહીઓની જેમ વ્યવહાર કરી રહી છે. અમને રસ્તા પર ઉતરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે.’

આંદોલનનું નેતૃત્વ કરી રહેલા JPSC-JSSC રિફોર્મ્સ મંચે જણાવ્યું કે માર્ચમાં અસામાજિક તત્વો જોડાઈ ન શકે તે માટે તેણે લગભગ 500 વોલન્ટિયર્સને તૈનાત કર્યા હતા.

અહેવાલ મુજબ, સરકાર પ્રદર્શનકારીઓ સાથે અનેક તબક્કાની ચર્ચા કરી ચૂકી છે, પરંતુ ગતિરોધનો અંત આવ્યો નથી. ચર્ચાના તાજેતરના તબક્કા બાદ સરકારે દાવો કર્યો કે તેણે પ્રદર્શનકારીઓની 98 ટકા માંગણીઓ સ્વીકારી લીધી છે.

જોકે, પ્રદર્શનકારીઓનું કહેવું છે કે સરકારે તેઓ જે 13 પરીક્ષાઓ રદ કરવાની માંગ કરી રહ્યા છે, તેમાંમાંથી માત્ર ત્રણ પરીક્ષાઓ રદ કરવા માટે જ સંમતિ આપી છે.

JPSCના પૂર્વ અધ્યક્ષની ધરપકડ

આ દરમિયાન, રાજ્યની તપાસ એજન્સીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઝારખંડ CIDએ સોમવારે ઝારખંડ લોક સેવા આયોગ (JPSC)ના પૂર્વ અધ્યક્ષ એલ. ખિયાંગતેને ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓના મામલે ધરપકડ કરી.

ખિયાંગતે, જેમને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં JPSCના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેમણે 22 જુલાઈએ આ પદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓ ઝારખંડના મુખ્ય સચિવના પદેથી નિવૃત્ત થયા બાદ આયોગનું કાર્ય સંભાળી રહ્યા હતા.

Share This Article