POK Election: POK માં વધતી અશાંતિ વચ્ચે ચૂંટણી સ્થગિત, UN એ જવાબદારી નક્કી કરવાની કરી માંગ
POK Election: પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (POK)માં મોટા પાયે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને રેલીઓ વચ્ચે ચૂંટણી આયોગે પુંછ ડિવિઝનની 11માંથી સાત વિધાનસભા બેઠકો પર યોજાનારી ચૂંટણી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. આ બેઠકો પર 10 ઓગસ્ટે ચૂંટણી યોજાવાની હતી.
ડેક્કન ક્રોનિકલના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારી નેતાઓમાંના એક સરદાર અમાન ખાને POK અને ભારતીય ભાગના બંને તરફના કાશ્મીરીઓને આંદોલન સાથે ઊભા રહેવા અને વર્તમાન શાસનમાંથી મુક્તિ મેળવવાની અપીલ કર્યા બાદ ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.
આ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતેરેસે POKમાં શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા લોકો સામે કરવામાં આવેલી કાર્યવાહી માટે જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.
પ્રદર્શનકારી નેતા અમાન ખાને કહ્યું, ‘જો તમે (રાજકારણીઓ) અમારા પ્રતિનિધિ છો, તો તમારે અહીં અમારી વચ્ચે આવવું જોઈએ. તમારી ત્રણ પેઢીઓ અમારા પર અને અમારા કરના નાણાં પર ફૂલીફાલી છે. જો તમે અહીં નહીં આવો તો રાવલકોટમાં હું તમારા માટે ‘ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજેઊન’ કહીશ… લોકો મૃત્યુ પામ્યા, પરંતુ તમને તેની જરાય પણ પરવા નહોતી.’
ખાન Joint Awami Action Committee (JAAC) સાથે જોડાયેલા છે, જેને પાકિસ્તાને આતંકવાદી સંગઠન જાહેર કરીને પ્રતિબંધિત કર્યું છે.
તેમણે આગળ કહ્યું, ‘લોકો અહીં મૃત્યુ પામી રહ્યા છે અને તમારું કામ લોકોની સાથે ઊભા રહેવાનું છે. તમે અમારા નામે મત માંગતા રહ્યા છો… આ તમામ રાજકારણીઓ માટે સંદેશ છે કે કોઈને પણ માફ કરવામાં આવશે નહીં.’
POKના ચૂંટણી આયોગે જણાવ્યું છે કે પુંછ અને પિલાંદરી જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર ચિંતાઓને કારણે ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે.
ડેક્કન ક્રોનિકલના જણાવ્યા અનુસાર, ખાને કહ્યું, ‘જો તમે નહીં આવો અને લોકોની સાથે ઊભા નહીં રહો, તો ભવિષ્યમાં તમારા બાળકોની તો વાત જ દૂર, તમારી કબરો પણ આ દેશ અને આ જમીનમાં નહીં હોય. અહીં લોકો માર્યા ગયા અને તમને કોઈ ચિંતા થઈ નહીં… અમે આ તરફ અને ભારતની બીજી તરફ રહેતા તમામ કાશ્મીરીઓને અપીલ કરીએ છીએ કે આવો, એક સાથે ઊભા રહીએ અને આ શાસનમાંથી મુક્તિ મેળવીએ. શ્રીનગર, પુંછ, લદ્દાખના લોકો… અમારી સાથે આવીને ઊભા રહો.’
UNએ નિષ્પક્ષ તપાસની કરી માંગ
સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર ઉચ્ચાયુક્ત વોલ્કર તુર્કે અશાંતિ દરમિયાન થયેલા તમામ મૃત્યુની તાત્કાલિક, સઘન અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. તેમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળોના સભ્યોના મૃત્યુ પણ સામેલ છે.
અલ જઝીરાના જણાવ્યા અનુસાર, ગયા મહિને સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણોમાં ઓછામાં ઓછા 20 લોકોના મૃત્યુ થયાના અહેવાલ હતા. સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો.
ધ ગાર્ડિયને અહેવાલ આપ્યો હતો કે ઓછામાં ઓછા 30 લોકોના મૃત્યુ થયા છે, અને અહેવાલમાં જણાવાયું હતું કે મૃત્યુ પામેલા લોકો નિશસ્ત્ર હતા.

