Subhash Chandra Loan Settlement: મીડિયા દિગ્ગજ અને ZEE ગ્રુપના સ્થાપક સુભાષ ચંદ્રાની પર્સનલ ઇન્સોલ્વન્સીના મામલામાં એક નવો વળાંક આવ્યો છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની પાંચ સભ્યોની બેન્ચે 25 ઓગસ્ટના તે આદેશ પર રોક લગાવી દીધી છે, જેમાં ₹22,006.57 કરોડના સ્વીકારાયેલા ક્રેડિટર ક્લેમના બદલામાં તેમના ₹6.25 કરોડના રીપેમેન્ટ પ્લાનને મંજૂરી આપવામાં આવી હતી.
NCLTના પ્રેસિડેન્ટ જસ્ટિસ (નિવૃત્ત) અનુપિન્દર સિંહ ગ્રેવાલની અધ્યક્ષતાવાળી બેન્ચે એ પણ નિર્દેશ આપ્યો કે કાર્યવાહી દરમિયાન ગેરન્ટર પોતાની પ્રોપર્ટી ન તો વેચશે, ન ટ્રાન્સફર કરશે અને ન તો કોઈ અન્ય વ્યક્તિને સોંપશે. બેન્ચે ચંદ્રા સહિત તમામ પક્ષોને નોટિસ જારી કરીને તેમની પાસેથી જવાબ માગ્યો છે. સાથે જ એ પણ સ્પષ્ટ કર્યું કે આ તબક્કે 25 ઓગસ્ટના નિર્ણયને લાગુ કરી શકાય નહીં અને મામલો આગળ વધારતા પહેલાં તમામ પક્ષોની વાત વિગતવાર સાંભળવામાં આવશે.
શું છે મામલો?
ચંદ્રા વિરુદ્ધ ઇન્સોલ્વન્સીની કાર્યવાહી એસ્સેલ ગ્રુપ સાથે જોડાયેલી કંપનીઓ માટે તેમના દ્વારા આપવામાં આવેલી પર્સનલ ગેરન્ટી સાથે સંબંધિત છે. ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સે વિવેક ઇન્ફ્રાકોનને આપવામાં આવેલી લોન બેડ લોન (NPA) બની ગયા બાદ 2022માં તેમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. ઇન્સોલ્વન્સીની અરજી 2024માં સ્વીકારવામાં આવી હતી અને બાદમાં અન્ય ઘણા લેણદારો પણ આ કાર્યવાહીમાં સામેલ થઈ ગયા.
આ મામલે NCLT બેન્ચના બે સભ્યો અશોક કુમાર ભારદ્વાજ (જ્યુડિશિયલ મેમ્બર) અને રીના સિંહા પુરી (ટેક્નિકલ મેમ્બર)ના અલગ-અલગ અભિપ્રાય હતા. ત્યારબાદ NCLT પ્રેસિડેન્ટે ત્રીજા મેમ્બર તરીકે જ્યુડિશિયલ મેમ્બર નીલેશ શર્માની નિમણૂક કરી હતી. શર્માએ 25 ઓગસ્ટના આદેશમાં રીપેમેન્ટ પ્લાનને મંજૂરી આપી હતી અને બહુમતીના અભિપ્રાય અનુસાર ઔપચારિક આદેશ માટે મૂળ ડિવિઝન બેન્ચને પરત મોકલ્યો હતો.
NCLAT સુધી પહોંચ્યો મામલો
NCLTના પ્રેસિડેન્ટ જસ્ટિસ અનુપિન્દર સિંહ ગ્રેવાલે પોતાની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની બેન્ચની રચના કરી છે. ટ્રિબ્યુનલના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે આ પ્રકારની બેન્ચની રચના કરવામાં આવી છે. આ મામલો નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) સુધી પણ પહોંચ્યો છે. ક્રેડિટર્સ તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ NCLAT પાસેથી બુધવાર સુધીનો સમય માગ્યો છે.

