ચંદ્રયાનના થીમવાળી રાખડીઓની ભારે માંગ
ચંદ્રયાનના થીમવાળી રાખડીઓની ભારે માંગ
રક્ષાબંધનના પર્વ પૂર્વે અન્ય બજારોમાં તેજી, પણ કાપડ બજારમાં મંદી
ભુજ: ભારતનું મહત્વાકાંક્ષી ચંદ્રયાન મિશન-૩ ઈસરો દ્વારા સફળતાપૂર્વક પાર પડાયું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાનને ભારતની ધરતી દ્વારા મોકલાયેલી રાખડી સાથે સરખાવ્યું છે ત્યારે ચંદ્રયાન-૩ના થીમ પર તૈયાર કરાયેલી રાખડીઓ અને ચાંદીના સિક્કા રાખડીની બજારમાં હોટ ફેવરિટ
બન્યા છે. ભુજના વેપારીઓએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-૩નું લેન્ડિંગ ચંદ્રની ધરતી પરના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક પાર પડ્યાની સાથે જ ચંદ્રયાન પરની રાખડીઓની માગ બજારોમાં વધી જતાં વેપારીઓએ રાતોરાત અમદાવાદ, સુરત, મુંબઈ અને બેંગ્લોર સહિતના મથકોએથી આ પ્રકારની રાખડીઓના ઓર્ડર આપ્યા છે અને કેટલાક વેપારીઓ તો આવી રાખડીઓ મેળવવા રૂબરૂ પણ પહોંચી ગયા હતા. રાખડીઓ ઉપરાંત ચાંદીના સિક્કા પર ચંદ્રયાનનો ફોટો કંડારીને તેના પર સોનાનું પાણી ચડાવેલા ખાસ સિક્કાઓ બન્યા છે જેનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. રક્ષાબંધન પૂર્વેના શનિવાર તેમજ રવિવારે રાખડીની બજારમાં ’છેલ્લી ઘડીની ખરીદી’ થવા પામશે તેવી વેપારીઓને આશા છે. ઉલ્લેખનીય છે કે,આ વર્ષે રક્ષાબંધન ૩૦મી તારીખે કે ૩૧મી તારીખે ઉજવવામાં અવઢવ છે પણ છેલ્લી ઘડીએ બૅન્કોમાં પણ ૩૦મી ઑગસ્ટે રજા જાહેર કરાતાં તેમ જ કર્મકાંડી બ્રાહ્મણોના સંગઠન દ્વારા પણ ૩૦મી ઑગસ્ટે જ રક્ષાબંધનનું પર્વ ઉજવવાનું નક્કી કરાયું હોઈ કચ્છમાં આ પર્વ આગામી બુધવારે જ ઉજવાશે. ચંદ્રયાનની થીમ પર આધારિત રાખડીઓ ઉપરાંત કચ્છમાં છેલ્લાં એક દાયકાથી ગાયના ગોબર તેમજ તુલસીના માંજરમાંથી તૈયાર કરાયેલી રાખડીઓનું ચલણ પણ વધવા પામ્યું છે.
ગાયના ગોબર અને તુલસીના માંજરમાંથી બનાવાયેલી રાખડીઓ રેડિએશનની અસર ઓછી કરે છે તેથી આવી રાખડીઓ આરોગ્ય માટે પણ સારી હોવાનું જાણીતા આયુર્વેદિક ડોક્ટર પ્રિતેશ સોનીએ જણાવ્યું હતું.
આ વર્ષે છ હજારથી વધુ રાખડીઓ તૈયાર કરાઈ છે. રાખડીઓમાં બાળકોને પ્રિય એવા કાર્ટૂન ચિત્રો જેવા કે છોટા ભીમ, મોટું-પતલુ, રુદ્રા, મિકી માઉસ, ડીસી માર્વલ સિરીઝ લોકપ્રિય થવા ઉપરાંત આ વખતે ચંદ્ર પર રહેતા માણસોની કલ્પના કરીને પર ગ્રહના માનવીની આકૃતિ દર્શાવતી ‘એલિયન’ રાખડીઓ પણ બનાવાઈ છે.
