STT increases: વર્તમાન નાણાં વર્ષના પ્રારંભમાં ભારતીય શેરબજારમાં જોવા મળેલી વોલેટિલિટીને પરિણામે દેશની તિજોરીમાં સિક્યુરિટીસ ટ્રાન્ઝકશન ટેકસ (એસટીટી) મારફતની આવકમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. ગયા નાણાં વર્ષના ૧૬ માર્ચ સુધીમાં ૩૪૧૩૧ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના ૧૬ માર્ચ સુધીમાં એસટીટીના રૂપમાં સરકારને રૂપિયા ૫૩૦૯૫ કરોડની આવક થયાનું સેન્ટ્રલ બ્યુરો ઓફ ડાયરેકટ ટેકસિસના (સીબીડીટી)ના ડેટા જણાવે છે.
શેરબજારની વોલેટિલિટીને પગલે એસટીટીની વસૂલીમાં ૫૫ ટકા વધારો થયાનું જોવા મળ્યું છે. સીધા વેરા મારફતની એકંદર વસૂલી વાર્ષિક ધોરણે ૧૬.૧૫ ટકા વધી રૂપિયા ૨૫.૮૬ લાખ કરોડ રહી છે જે ગયા નાણાં વર્ષના ૧૬ માર્ચ સુધીમાં રૂપિયા ૨૨.૨૭ લાખ કરોડ રહી હતી.
કોર્પોરેટ ટેકસ ઉપરાંત એસટીટીની ઊંચી વસૂલીને કારણે સીધા વેરાની વસૂલીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કોર્પોરેટ ટેકસ મારફતની આવક જે ગયા નાણાં વર્ષના ૧૬ માર્ચ સુધીમાં રૂપિયા ૧૦.૧૦ લાખ કરોડ રહી હતી તે વર્તમાન નાણાં વર્ષના આ ગાળા સુધીમાં રૂપિયા ૧૨.૪૦ લાખ કરોડ જોવા મળી છે.
નોન-કોર્પોરેટ ટેકસની વસૂલીનો આંક ૧૦.૯૧ લાખ કરોડ પરથી વધી રૂપિયા ૧૨.૯૦ લાખ કરોડ રહ્યો છે. વ્યક્તિગત તથા વેપારગૃહો દ્વારા સરકારને સીધા જ ચૂકવવામાં આવતા ટેકસ સીધા વેરા મારફતની આવક હેઠળ આવરી લેવામાં આવે છે. સીધા વેરામાં કોર્પોરેટ ટેકસ, ઈન્કમ ટેકસ તથા એસટીટીનો સમાવેશ થાય છે.
રિફન્ડસને બાદ કર્યા પછી, સીધા વેરાની નેટ વસૂલી ૧૩.૧૩ ટકા વધી રૂપિયા ૨૧.૨૬ લાખ કરોડ રહી છે.
રિફન્ડ પેટેની રકમ ૩૨.૫૦ ટકા વધી રૂપિયા ૪.૬૦ લાખ કરોડ રહ્યાનું પણ પ્રાપ્ત ડેટામાં જણાવાયું છે.
વેરા વસૂલીમાં વધારો સરકારની નાણાંકીય તંદૂરસ્તી માટે એક પોઝિટિન નિશાની છે. આવકમાં વૃદ્ધિને પરિણામે સરકારની બોરોઈંગ પર નિર્ભરતા ઘટી જાય છે અને મૂડીખર્ચમાં પણ સરકારને ટેકો મળી રહે છે.

