India’s stance on Iran against US pressure : અત્યારે સમગ્ર દુનિયા જાણે યુદ્ધો અને એકબીજાની સાથે રહેવા મુદ્દે એકદમ લીકવીસ સ્થિતિમાં હોય તેવી જણાઈ રહી છે.કોણ ક્યારે કોની સાથે જશે અને પાલો બદલશે તે કહી જ શકાતું નથી. ભારતે ફરી એકવાર વૈશ્વિક મંચ પર એવો અવાજ ઉઠાવ્યો છે, જેણે સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે. હંમેશા તટસ્થ રહેતા ભારતે આ વખતે ઈરાન હુમલા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. અને સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો છે કે ભારત ખોટાની સાથે નથી. ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ભારતે બ્રિક્સ જૂથ સાથે મળીને 13 જૂન, 2025 થી ઈરાન પર થયેલા લશ્કરી હુમલાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ભારતે આ હુમલાઓને આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ પગલાથી મધ્ય પૂર્વની પરિસ્થિતિ પર ભારતનો સ્પષ્ટ વલણ જ નહીં, પણ વિશ્વ સમક્ષ વૈશ્વિક શાંતિ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પણ દર્શાવાઈ છે.
ઈરાન ભારતથી ખુશ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5-6 જુલાઈના રોજ રિયો ડી જાનેરોમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે, જ્યાં આ મુદ્દો વધુ ઊંડાણપૂર્વક ઉઠાવવામાં આવશે. ઈરાન ભારતના આ વલણથી ખૂબ ખુશ છે. ઈરાની દૂતાવાસે દિલ્હીમાં એક નિવેદન બહાર પાડીને ભારતના “સ્વતંત્રતા-પ્રેમી” લોકો, રાજકીય પક્ષો, સાંસદો, સામાજિક કાર્યકરો, પત્રકારો અને ધાર્મિક નેતાઓનો આભાર માન્યો છે. દૂતાવાસે જણાવ્યું હતું કે જ્યારે ઇઝરાયલ અને અમેરિકાએ ઇરાન પર હુમલો કર્યો, ત્યારે ભારતના લોકોનો ટેકો અને શાંતિ માટેના તેમના અવાજે ઇરાની લોકોને પ્રોત્સાહન આપ્યું.
BRICS ના નિવેદન પર સંમતિ વ્યક્ત કરવામાં આવી છે
BRICS ના સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ઈરાન પર લશ્કરી હુમલાઓ, ખાસ કરીને ફોર્ડો, ઇસ્ફહાન અને નતાન્ઝ જેવા પરમાણુ મથકો પર હુમલાઓ, આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. આ હુમલાઓએ મધ્ય પૂર્વમાં તણાવમાં વધુ વધારો કર્યો છે જે વૈશ્વિક શાંતિ અને અર્થતંત્ર માટે ખતરો છે. નિવેદનમાં તમામ પક્ષોને વાતચીત અને રાજદ્વારી દ્વારા તણાવ ઘટાડવા અપીલ કરવામાં આવી હતી. આ સાથે, નાગરિકોના જીવન અને સંપત્તિનું રક્ષણ કરવા અને માળખાગત સુવિધાઓને નુકસાન અટકાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. BRICS એ મધ્ય પૂર્વમાં પરમાણુ શસ્ત્રો મુક્ત ક્ષેત્ર બનાવવાની જરૂરિયાતનો પણ પુનરોચ્ચાર કર્યો.
ઈરાની દૂતાવાસે શું કહ્યું?
ઈરાની દૂતાવાસે પોતાના નિવેદનમાં કહ્યું, “ભારતનો ટેકો ફક્ત રાજકીય નથી, પરંતુ તે ન્યાય, કાયદો અને વૈશ્વિક શાંતિના મૂલ્યોની પુષ્ટિ છે.” ઈરાન માને છે કે ભારત જેવા દેશોની એકતા યુદ્ધ, હિંસા અને અન્યાય સામે મજબૂત દિવાલ બનાવે છે.
પરંતુ ભારતે એક જગ્યાએ હોશિયારી બતાવી
જોકે, ભારતે અગાઉ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના એક નિવેદનથી પોતાને દૂર રાખ્યા હતા, જેમાં ઇઝરાયલી હુમલાઓની નિંદા કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ભારતે SCO ના તે નિવેદન પર ચર્ચામાં ભાગ લીધો ન હતો અને 13 જૂને જ તેનું વલણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. ભારતે ત્યારે પણ રાજદ્વારી અને સંવાદ દ્વારા શાંતિની હિમાયત કરી હતી.
આખું વિશ્વ આશ્ચર્યચકિત થયું
ભારતનું આ પ્રકારનું નિવેદન, ખાસ કરીને BRICS જેવા પ્લેટફોર્મ પર, નવા ભારતની કહાની રજૂ કરે છે.. BRICS ના નિવેદનમાં જોડાઈને, ભારતે માત્ર ઈરાન સાથે એકતા દર્શાવી નથી, પરંતુ વિશ્વને અને ખાસ તો અમેરિકા જેવા બેવડી ચાલ ધરાવતા ખંધા રાષ્ટ્રને ઈશારામાં ઘણું સમજાવી દીધું છે.અને સાથે તે પણ જણાવ્યું છે કે તે શાંતિ અને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યે કેટલું ગંભીર છે. આ પગલાથી સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું છે. ભારતે ફરી એકવાર રાજદ્વારી માધ્યમો દ્વારા પોતાના માટે એક અલગ રસ્તો ખોદ્યો છે.