Dimona Mini India Israel: ઈઝરાયેલના ડિમોના શહેર માટે શનિવારની રાત અત્યંત ડરામણી રહી, જ્યારે ઈરાનની મિસાઈલોના હુમલાથી આ વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો. રવિવારે સવારે જ્યારે ડિમોનાના લોકો બહાર નીકળ્યા ત્યારે ચારે બાજુ ભયાનક દૃશ્ય હતું. ઈરાની મિસાઈલ હુમલાએ શહેરના એક હિસ્સાને કાટમાળના ઢગલામાં ફેરવી દીધો હતો, જે આગલી રાતની તબાહીની સાક્ષી પૂરી રહ્યો હતો. ઈરાને કહ્યું કે આ કાર્યવાહી તેના નતાંઝ પરમાણુ કેન્દ્ર પર થયેલા હુમલાના જવાબમાં કરવામાં આવી છે. ડિમોના ઈઝરાયેલના પરમાણુ મથકથી માત્ર 13 કિલોમીટરના અંતરે છે અને આ જ તેના પર હુમલાનું કારણ બન્યું.
ઈઝરાયેલનું મિની ઈન્ડિયા ડિમોના
જોકે, ડિમોના ઈઝરાયેલનું મુખ્ય પરમાણુ કેન્દ્ર છે, પરંતુ તેની એક બીજી ઓળખ છે જે ભારત સાથે જોડાયેલી છે. ડિમોનાને ઈઝરાયેલમાં ‘મિની ઈન્ડિયા’નું બિરુદ મળેલું છે. આ શહેરમાં લગભગ 7500 લોકોનો એક મજબૂત ભારતીય-યહૂદી સમુદાય રહે છે, જે શહેરની કુલ વસ્તીના લગભગ 30 ટકા છે. ડિમોનાના લોકો આજે પણ ભારતીય સંસ્કૃતિ અને ભારતમાં પોતાના મૂળ સાથે જોડાયેલા છે. અહીં રસ્તાઓ પર લોકોને ફરાટેદાર મરાઠી બોલતા સાંભળી શકાય છે, તો કેટલાક લોકો થોડી-ઘણી હિન્દી પણ બોલે છે. આમ તો ઈઝરાયેલમાં ક્રિકેટ મુખ્ય રમત નથી, પરંતુ ડિમોનામાં ક્રિકેટના દીવાનાઓની સારી સંખ્યા છે. અહીંની દુકાનોમાં સોનપાપડી, ગુલાબજાંબુ, પાપડી ચાટ અને ભેલપુરી જેવો ભારતીય નાસ્તો જોઈને તમે નવાઈ પામી શકો છો.
ભારતીયો કેવી રીતે ઈઝરાયેલ પહોંચ્યા?
1948માં ઈઝરાયેલ રાજ્યની સ્થાપના પછી દુનિયાભરમાંથી યહૂદીઓ અહીં આવવા લાગ્યા. ભારતમાંથી ઈઝરાયેલમાં સ્થળાંતરની મુખ્ય લહેર 1950 અને 1960ના દાયકામાં આવી હતી.
આમાંના મોટાભાગના લોકો મહારાષ્ટ્રથી આવ્યા છે, જેમને ‘બની ઈઝરાયેલ’ કહેવામાં આવે છે.
કેટલાક નાના જૂથો કેરળ (કોચી યહૂદી) અને કોલકાતા (બગદાદી યહૂદી) થી પણ આવ્યા.
તાજેતરના કેટલાક વર્ષોમાં મિઝોરમ અને મણિપુરથી પણ યહૂદીઓ ડિમોનામાં સ્થાયી થયા છે.
આની શરૂઆત 1950ના દાયકામાં થઈ, જ્યારે ‘યહૂદી એજન્સી’એ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં પોતાની ઓફિસ ખોલી. આ એજન્સી યહૂદીઓને ઈઝરાયેલ જઈને વસવા માટે પ્રોત્સાહિત કરતી હતી. 1956 સુધીમાં પશ્ચિમ ભારતથી લગભગ 2000 યહૂદીઓ ઈઝરાયેલ જતા રહ્યા. આ લોકોએ ઈઝરાયેલના દક્ષિણ શહેર ડિમોનાને પોતાનું ઘર બનાવી લીધું.
ભારતીય મૂળ સાથે આજે પણ જોડાયેલા
ડિમોનામાં રહેતા ભારતીય યહૂદીઓ આજે મોટે ભાગે હીરાના વેપારી, આઈટી પ્રોફેશનલ અને વૃદ્ધોની સંભાળ રાખનાર (કેરટેકર) તરીકે કામ કરે છે. આજે પણ અહીં લોકો ભાષા, તહેવારો અને બીજી પરંપરાઓ દ્વારા ભારતની સાંસ્કૃતિક જડો સાથે જોડાયેલા છે. દિવાળી અને ઓણમ જેવા તહેવારો તેમના જીવનનો એક મહત્વનો ભાગ બનેલા છે.

