Raghav Chadha Cryptic Post: ઈશારો-ઈશારોમાં ઘણું કહી ગયા: પદ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ શેર કર્યો ‘બુરી નજર’ વાળો વીડિયો, શું આમ આદમી પાર્ટીમાં ભંગાણના સંકેત છે?

Arati Parmar
3 Min Read

Raghav Chadha Cryptic Post: રાજ્યસભામાં આમ આદમી પાર્ટી (AAP) ના ઉપનેતાના પદેથી હટાવવામાં આવ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ક્રિપ્ટિક પોસ્ટ કરી. તેમણે બુરી નજરથી બચાવતા ઈમોજી સાથે ઉપલા ગૃહમાં આપેલા પોતાના ભાષણોના મુખ્ય અંશો વાળો એક વીડિયો શેર કર્યો.

જોકે ચઢ્ઢાએ આ મામલે સોશિયલ મીડિયા પર આ સિવાય કંઈપણ કહ્યું નથી અને ન તો જાહેરમાં કોઈ અન્ય ટિપ્પણી કરી છે. આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને પોતાના સાંસદ રાઘવ ચઢ્ઢાને ગૃહમાં પાર્ટીના ઉપ-નેતાના પદેથી હટાવવા આગ્રહ કર્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ચઢ્ઢાને ગૃહમાં બોલવા માટે ‘AAP’ ના નિર્ધારિત કોટામાંથી સમય ફાળવવો જોઈએ નહીં. ચઢ્ઢા, પંજાબથી રાજ્યસભા સાંસદ છે.

- Advertisement -

રાઘવ ચઢ્ઢા અને પાર્ટી હાઈકમાન્ડ વચ્ચે કલહની અટકળો

હકીકતમાં, ગુરુવારે આમ આદમી પાર્ટીએ રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાની જગ્યાએ અશોક મિત્તલને પોતાના ઉપ-નેતા બનાવી દીધા, ત્યારબાદ રાઘવ ચઢ્ઢા અને AAP હાઈકમાન્ડ વચ્ચે અંદરની કલહની અટકળો તેજ થઈ ગઈ.

- Advertisement -

કેજરીવાલના નજીકના વિશ્વાસપાત્ર અને સૌથી યુવા સાંસદોમાં ગણતરી

ક્યારેક કેજરીવાલના નજીકના વિશ્વાસપાત્ર અને દેશના સૌથી યુવા સાંસદોમાંથી એક માનવામાં આવતા ચઢ્ઢાએ પાર્ટીના કાર્યોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આમાં ખાસ કરીને પંજાબ અને દિલ્હીમાં AAP ના કાર્યકાળ દરમિયાન તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી. જોકે, તાજેતરના મહિનાઓમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આબકારી નીતિ કેસ સાથે જોડાયેલા હોવાના આરોપમાં માર્ચ ૨૦૨૪ માં દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ સમયે ચઢ્ઢા મેડિકલ કારણોસર વિદેશમાં હતા. કેજરીવાલની લગભગ છ મહિનાની કેદ દરમિયાન ચઢ્ઢા દેશની બહાર જ રહ્યા અને ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ તેમની મુક્તિના થોડા દિવસો પછી જ તેમને મળ્યા. દિલ્હીની એક અદાલત દ્વારા આબકારી કેસમાં કેજરીવાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને ‘AAP’ ના અન્ય નેતાઓને ગયા મહિને નિર્દોષ જાહેર કરવામાં આવતા ચઢ્ઢાએ મૌન જાળવી રાખ્યું. અદાલતમાંથી રાહત મળ્યા બાદ કેજરીવાલની પત્રકાર પરિષદ અને જંતર-મંતર પર થયેલી રેલીમાં પણ તેઓ સામેલ થયા નહોતા.

ધીરે-ધીરે પાર્ટીથી અલગ થતા ગયા

પાર્ટી નેતાઓએ દાવો કર્યો કે ચઢ્ઢાને અન્ય રાજ્યોમાં પાર્ટીના ચૂંટણી પ્રચાર અભિયાનો અને સંગઠનાત્મક કાર્યોથી ધીરે-ધીરે અલગ કરવામાં આવી રહ્યા છે. જોકે તેઓ સંસદની અંદર અને બહાર મુખર રહ્યા છે તથા હવાઈ ભાડામાં વધારો અને ગિગ વર્કર્સની સ્થિતિ જેવા મુદ્દા ઉઠાવતા રહ્યા છે.

- Advertisement -
Share This Article