China restrictions EV production: ચીન દ્વારા દુર્લભ ખનીજો પર લાદવામાં આવેલા નવા નિકાસ પ્રતિબંધો ૪ એપ્રિલથી અમલમાં છે. આને કારણે, ભારતીય વાહન ઉત્પાદકો પહેલાથી જ પુરવઠામાં વિલંબ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ઉદ્યોગ નિષ્ણાતો કહે છે કે જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે, તો તેની ઉત્પાદન પર અસર થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે તેની સૌથી મોટી અસર ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન પર જોવા મળશે કારણ કે ભારતીય ઉત્પાદકો પાસે ફક્ત ૬થી ૮ અઠવાડિયાનો સ્ટોક ઉપલબ્ધ છે.
સૂત્રો મુજબ વાહન ઉત્પાદકોના સંગઠન સિયામ અને વાહન ઘટક ઉત્પાદકોના સંગઠન એક્માના સંયુક્ત પ્રતિનિધિમંડળે આ મુદ્દા પર ચિંતા વ્યક્ત કરવા સાથે ચીનના વરિષ્ઠ સરકારી અધિકારીઓને મળવાની રજુઆત કરી હતી. પરંતુ બંને દેશોના અધિકારીઓ દ્વારા હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી.
ચીનના નવા નિયમો માત્ર શિપમેન્ટમાં વિલંબ જ નથી કરી રહ્યા પરંતુ પ્રક્રિયા સંબંધિત ઘણી અવરોધો પણ ઉભી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ઉત્પાદન પર અસર થવાની ધારણા છે, જેના કારણે કિંમતોમાં વધારો થઈ શકે છે.
દુર્લભ ખનિજ મેગ્નેટના વૈશ્વિક ઉત્પાદનમાં ૯૨ ટકા ચીનનો હિસ્સો છે. અન્ય દેશોનો ફાળો ખૂબ જ ઓછો છે, જેમાં જાપાનનો ૭ ટકા અને વિયેતનામનો માત્ર ૧ ટકાનો સમાવેશ થાય છે.
ભારતમાં મોટાભાગના મૂળ ઉપકરણ ઉત્પાદકો પાસે ફક્ત ૬ થી ૮ અઠવાડિયાના દુર્લભ ખનિજો બાકી છે. તે પછી, ઉત્પાદન ખોરવાઈ જવાની ધારણા છે. આ ક્ષેત્રની આગેવાન કંપનીએ જુલાઈમાં મંદી અંગે ચેતવણી આપી છે જે આ નાના બફર સ્ટોકને કારણે હોઈ શકે છે.
ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. ઉદ્યોગના અંદાજ મુજબ, ભારતમાં દુર્લભ ખનિજો અને ખાસ કરીને નિયોડીમિયમ આયર્ન બોરોન મેગ્નેટનો વપરાશ ૨૦૩૨ સુધીમાં અનેક ગણો વધીને ૧૫,૪૦૦ ટન થવાની ધારણા છે, જેની કિંમત લગભગ ૧૫,૬૭૮ કરોડ રૂપિયા છે. વર્ષ ૨૦૨૨માં, લગભગ ૧,૨૫૫ કરોડ રૂપિયાના ૧,૭૦૦ ટન નિયોડીમિયમ આયર્ન બોરોન મેગ્નેટનો વપરાશ થયો હતો.
ભારત પાસે દુર્લભ ખનિજોનો વિશ્વનો પાંચમો સૌથી મોટો ભંડાર હોવા છતાં, ઉત્પાદન ક્ષમતા હાલમાં ખૂબ જ મર્યાદિત છે. ભારત IREL દ્વારા વાર્ષિક માત્ર ૧,૫૦૦ ટન નિયોડીમિયમ-પ્રાસિઓડીમિયમનું ઉત્પાદન કરે છે.
આ અસર ખાસ કરીને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે ભારતમાં સૌથી ઝડપથી વિકસતી ઇલેક્ટ્રિક વાહનોની શ્રેણી છે. દુર્લભ ખનિજો અને ખાસ કરીને નિયોડીમિયમ આયર્ન બોરોન ચુંબક ઇલેક્ટ્રિક વાહનોમાં મોટર્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેમની ઉચ્ચ શક્તિ અને વજન ગુણોત્તર અને નાના કદ છે. પ્રતિ ટુ-વ્હીલર લગભગ ૬૦૦ ગ્રામ નિયોડીમિયમ આયર્ન બોરોન મેગ્નેટનો ઉપયોગ થાય છે. ‘દુર્લભ ખનિજોનો ઉપયોગ ઇલેક્ટ્રિક મોટર્સ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, બેટરી કૂલિંગ, એસેમ્બલી મોડયુલ્સ અને સેન્સર આધારિત સિસ્ટમ્સમાં થાય છે.