Salary Hike in 2025: કર્મચારીઓને આ વર્ષે આંચકો લાગી શકે છે કારણ કે પગાર વૃદ્ધિની ગતિ વધુ ધીમી થવાની છે. અગ્રણી વૈશ્વિક પ્રોફેશનલ સર્વિસ ફર્મ એઓન જણાવે છે કે વૈશ્વિક સ્તરે વધતી અનિશ્ચિતતા અને ધીમી વૃદ્ધિ વચ્ચે, આ વર્ષે પગાર સરેરાશ 9.2 ટકાના દરે વધી શકે છે, જ્યારે ગયા વર્ષે તે 9.3 ટકાના દરે વધ્યો હતો.
વર્ષ 2022 થી જ્યારે કંપનીઓ સરેરાશ 10.6 ટકાના દરે પગાર વધારો કરતી હતી ત્યારથી પગાર વધારામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. તેના વાર્ષિક પગાર વધારો અને ટર્નઓવર સર્વે 2024-25 મુજબ, વૃદ્ધિ અને પગાર વધારામાં વધઘટ આ વર્ષે સમાપ્ત થવા જઈ રહી છે.
45 ઇન્ડસ્ટ્રીઝની 1400થી વધુ કંપનીઓના ડેટા પર નજર નાખ્યા બાદ એ વાત સામે આવી છે કે ભારતમાં કર્મચારીઓના રાજીનામા અથવા નોકરીમાંથી છૂટા થવામાં ઘટાડો થયો છે. એટ્રિશન રેટ 2024માં ઘટીને 17.7 ટકા થયો હતો, જે 2023માં 18.7 ટકા હતો અને 2022માં 21.4 થયો હતો.
સર્વે અનુસાર, સૌથી વધુ વેતન એન્જિનિયરિંગ ડિઝાઇન સેવાઓ અને ઓટો/વ્હીકલ મેન્યુફેક્ચરિંગમાં હોઈ શકે છે, જેમાં 10.2 ટકાનો વધારો અપેક્ષિત છે. આ પછી, નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFC) માં 10 ટકાનો પગાર વધારો થઈ શકે છે.
Aon અનુસાર, પગારવધારામાં ઘટાડા માટેના મુખ્ય કારણોમાં ભૌગોલિક રાજકીય અને આર્થિક વિકાસ, યુએસની વેપાર નીતિઓ, મધ્ય પૂર્વમાં તણાવ અને જનરેટિવ AIનો વધારો છે. જો કે, આ હોવા છતાં, ભારત માટે સકારાત્મક બાબત એ છે કે અહીં આર્થિક સ્થિરતા છે અને ગામડાઓમાં માંગ સુધરી રહી છે, ખાનગી વપરાશ અકબંધ છે. પગારવધારામાં મંદી આવવાનું બીજું કારણ એ છે કે કંપનીઓના માર્જિન પર દબાણ છે.

