આંકડાઓ જણાવે છે કે, ભારતમાં લગભગ 70 ટકા લોકો ઈએમઆઈ પર આઈફોન ખરીદે છે. 50,000થી ઓછી કમાણી કરનારા 93 ટકા લોકો પોતાની રોજિંદા જીવનની જરૂરિયાતો પૂરી કરવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. ક્રેડિટ અને ઈએમઆઈ હવે વિકલ્પ નહીં, પણ જીવન રેખા બની ગયા છે.
ઉધારના પૈસા પર જીવી રહ્યા છે જીવન
તહેવારોની ઉજવણીમાં ઈએમઆઈ પર ચીજવસ્તુ ખરીદવી સરળ બની છે. ઈએમઆઈ અને ક્રેડિટ કાર્ડમાં વ્યાજના દર ઊંચા હોય છે. તેના લીધે તણાવ અને આર્થિક ભીડ વધે છે. ભવિષ્ય ધુંધળુ બને છે. આ એક એવી સિસ્ટમ છે, જેમાં ડાઉન પેમેન્ટ ભરી વસ્તુ વસાવી શકો છો. જો કે, બાદમાં તેના ઈએમઆઈનો બોજો માથાનો દુઃખાવો બની જાય છે. વધુમાં, Buy Now Pay Later (BNPL) સ્કીમ્સ, જેને ઘણા લોકો જોખમ-મુક્ત માને છે, તે એક ચતુર્થાંશ યુઝર્સ દ્વારા ચૂકવણી કરવામાં સંઘર્ષ કરી રહી છે. પહેલાં ઘર અને કારની ખરીદી EMI પર થતી હતી. પરંતુ હવે તે ફોન, કપડાં અને વેકેશન માટે પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે.
વોરેન બફેએ આપી સલાહ
વોરેન બફે હંમેશા બચતને પ્રાથમિકતા આપતા આવ્યા છે. તેઓ કહે છે કે વ્યક્તિએ પોતાના સંસાધનોમાં રહેવું જોઈએ. તેઓ ઘણીવાર કહે છે, તમે કમાણી કરતા વધુ ખર્ચ કરીને ધનવાન બની શકતા નથી. તેમના મતે, દેવું ફક્ત નાણાકીય બોજ નથી, તે એક માનસિક બોજ છે જે સમય જતાં વધતો જાય છે. ભારતની વર્તમાન ક્રેડિટ સંસ્કૃતિમાં, આ બોજ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
બફેની આ 4 ટિપ્સ મદદરૂપ:
1. ખર્ચ કરતાં પહેલાં બચત કરો
બફેના નિયમાનુસાર, હંમેશા આવકનો અમુક ચોક્કસ હિસ્સો બચત માટે ફાળવો. બચત માટે મહિનાના અંત સુધી રાહ ન જુઓ. પહેલાં બચત નક્કી કરો, પછી બાકીની રકમ પર ખર્ચ કરો. ભલે તે નાની રકમ હોય. પણ ટીપે ટીપે સરોવર ભરાય એમ નાની બચત ભવિષ્યમાં મોટી વેલ્થ ક્રિએટ કરી શકે છે.
2. ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરો
ફક્ત સુવિધા માટે ક્રેડિટનો ઉપયોગ કરો. બફે કહે છે કે ક્રેડિટ કાર્ડ વધારાના પૈસા નથી. તે ફક્ત ચુકવણીને સરળ બનાવવાનું એક સાધન છે. જો તમે સમયસર તમારું પૂરું બિલ ચૂકવશો નહીં, તો તમે પહેલાથી જ જોખમમાં છો. ભારતમાં ક્રેડિટ કાર્ડના વ્યાજ દર વાર્ષિક લગભગ 40% સુધી પહોંચી શકે છે.
3. રોકાણની આદત વિકસાવો
એવી જગ્યાએ નાણાંનું રોકાણ કરો જ્યાં ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ઝડપથી વૃદ્ધિ થાય છે. જો તમે દર મહિને થોડા હજાર રૂપિયાનું રોકાણ કરો છો, તો રકમ તમારી અપેક્ષા કરતાં વધુ ઝડપથી વધે છે. પરંતુ દેવા સાથે પણ આ જ સિદ્ધાંત વિપરીત રીતે કામ કરે છે.
4. ઈમરજન્સી ફંડ બનાવો
બફે ભલામણ કરે છે કે દરેક વ્યક્તિએ ઇમરજન્સી ફંડ જાળવવું જોઈએ. જ્યારે પણ નાણાકીય કટોકટી આવે ત્યારે ઇમરજન્સી ફંડ કામમાં આવે છે. આ રીતે, તમને સૌથી ખરાબ સમયે તમારું કાર્ડ સ્વાઇપ કરવાની અથવા EMI લેવાની જરૂર પડશે નહીં.

