School Dropout Rate: શિક્ષણ, મહિલા, બાળ, યુવા અને રમતગમત સંબંધી સંસદીય સ્થાયી સમિતિએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે કેટલાક રાજ્યોમાં સ્કૂલ છોડવાનો દર (Dropout Rate) સતત રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે, જે ચિંતાનો વિષય છે. સમિતિએ ભલામણ કરી છે કે એવા દરેક રાજ્યમાં જ્યાં માધ્યમિક શાળા (૯ થી ૧૨ ધોરણ) છોડવાનો દર ૧૫ ટકાથી વધુ છે, ત્યાં ઓછામાં ઓછા દસ જિલ્લાઓની ઓળખ કરવામાં આવે.
શિક્ષણ મંત્રાલય સંબંધિત રાજ્ય સરકાર સાથે મળીને ‘સમગ્ર શિક્ષા યોજના’ હેઠળ એક વિશેષ યોજના તૈયાર કરે. એ જાણકારી મેળવવામાં આવે કે તે જિલ્લામાં ડ્રોપઆઉટ દર કેમ વધારે છે? સ્થાનિક કારણોની તપાસ કરવામાં આવે જેથી બાળકોને ફરીથી શાળામાં લાવી શકાય.
માધ્યમિક સ્તરે સૌથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ છોડે છે
માધ્યમિક સ્તરે અભ્યાસ વચ્ચેથી છોડનારાઓનો દર સૌથી વધુ છે. ૨૦૧૭-૧૮ માં દેશમાં આ વર્ગોમાં સ્કૂલ છોડનારાઓની ટકાવારી ૧૮.૯ હતી, જે ૨૦૨૧-૨૨ માં ૧૨.૬ ટકા રહી. જોકે, હજુ પણ ઘણા એવા રાજ્યો છે જ્યાં આ દર ૨૦, ૨૧ થી લઈને ૨૭ ટકા સુધી પણ છે. મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે કે બાળકોના સ્કૂલ છોડવાના મુખ્ય કારણોમાં આર્થિક તંગી, ઘરકામમાં મદદ કરવી, ભણવામાં મન ન લાગવું અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ છે. કેટલાક વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પર વધુ ફોકસ કરે છે.
કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયોમાં ખાલી પદો
સમિતિના રિપોર્ટથી સામે આવ્યું છે કે કેન્દ્રીય વિદ્યાલયોમાં ટીચિંગમાં આશરે ૧૭ ટકા અને નોન-ટીચિંગમાં ૨૮ ટકા પદો ખાલી છે. સમિતિએ ભલામણ કરી છે કે વિશેષ રૂપે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ (TGT) અને પોસ્ટ-ગ્રેજ્યુએટ ટીચર્સ (PGT) ના પદોને પ્રાથમિકતાના આધારે ભરવામાં આવે જેથી આ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થાય. નવોદય વિદ્યાલય સમિતિમાં ટીચિંગમાં ૨૯.૫ ટકા અને નોન-ટીચિંગમાં ૨૬ ટકા પદો ખાલી છે. આ ખાલી જગ્યાઓને પ્રાથમિકતાના આધારે ભરવાની ભલામણ કરવામાં આવી છે.
નેશનલ પોર્ટલ
સમિતિએ જણાવ્યું છે કે નેશનલ સ્કોલરશિપ પોર્ટલને સંપૂર્ણપણે બહુભાષી બનાવવામાં આવે જેથી અરજી કરવામાં આવતી અડચણોને ઓછી કરી શકાય અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓની ભાગીદારી વધે. સમિતિએ એમ પણ કહ્યું છે કે ‘PM SHRI’ શાળાઓના સિલેક્શન ક્રાઇટેરિયાની સમીક્ષા કરવી જોઈએ જેથી ભૌગોલિક દૃષ્ટિએ સંતુલિત વિતરણ સુનિશ્ચિત કરી શકાય. PM SHRI શાળાઓમાં શિક્ષકોની વિશેષ તાલીમ પર ફોકસ હોવું જોઈએ.

