Bhavya Gandhi Statement: ટીવીનો સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં શરૂઆતમાં ટપ્પુની ભૂમિકા ભજવનાર અભિનેતા ભવ્ય ગાંધીએ શોમાં પોતાની વાપસીને લઈને મોટું નિવેદન આપ્યું છે. વર્ષ 2008માં બાળ કલાકાર તરીકે શરૂઆત કરનાર અને ઘર-ઘરમાં જાણીતો બનેલો ભવ્ય ગાંધીએ વર્ષ 2017માં શો છોડીને ગુજરાતી ફિલ્મો તરફ વળ્યો હતો. જોકે, લાંબા સમય પછી તેણે શો છોડવાના કારણો પર મૌન તોડ્યું છે અને કમબેકની ઈચ્છા વ્યક્ત કરી છે, જેનાથી ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શો છોડવાના કારણ પર મૌન તોડ્યું
ભવ્ય ગાંધીએ લાંબા સમય સુધી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપ્પુની ભૂમિકા ભજવ્યા પછી શો છોડી દીધો હતો, ત્યારે એવી અફવાઓ હતી કે તેણે પૈસાના કારણે આ નિર્ણય લીધો હતો. ઘણાં અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે પ્રતિ એપિસોડ 10 હજાર રૂપિયા ચાર્જ કરતો હતો.
એક તાજેતરના ઇન્ટરવ્યુમાં, ભવ્ય ગાંધીએ આ અફવાઓ પર સ્પષ્ટતા કરી હતી. તેણે કહ્યું કે, ‘મેં ક્યારેય પૈસા માટે કામ કર્યું નથી. ન તો મેં પૈસા માટે શો છોડ્યો છે.’ જ્યારે તેને 10,000 રૂપિયા પ્રતિ એપિસોડ ચાર્જ કરવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે જવાબ આપ્યો, ‘હું નાનો હતો, તેથી મને ખબર નથી કે મને શો માટે કેટલો પગાર મળ્યો હતો. મારા માતા-પિતા બધા વ્યવહારો સંભાળતા હતા. મેં તેમને ક્યારેય પૂછ્યું નથી કે મને શો માટે કેટલો પગાર મળ્યો હતો.’
શું ભવ્ય ગાંધીની થશે વાપસી?
ભવ્ય ગાંધીએ શો છોડ્યા પછી ટપ્પુની ભૂમિકા રાજ અનડકટે ભજવી હતી, જેણે થોડા વર્ષો પછી શો છોડી દીધો. હાલમાં આ ભૂમિકા નિતેશ બ્લુણી ભજવી રહ્યા છે. ઇન્ટરવ્યુમાં જ્યારે ભવ્યને પૂછવામાં આવ્યું કે શું તે ફરીથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પાછા ફરવા માંગે છે, ત્યારે તેણે હકારાત્મક પ્રતિભાવ કહ્યું કે, ‘હા, કેમ નહીં? હું ચોક્કસપણે શોમાં પાછો ફરવા માંગુ છું.’ આ ઉપરાંત તેણે શોના નિર્માતા અસિત મોદીનો આભાર માનતા કહ્યું હતું કે, અસિત મોદી જ સૌથી પહેલા મારી પ્રતિભાને ઓળખતા હતા. ભવ્યના આ નિવેદન બાદ ચાહકો સોશિયલ મીડિયા પર તેના પાછા ફરવા અંગે અટકળો લગાવી રહ્યા છે, જે શોની લોકપ્રિયતામાં વધુ વધારો કરી શકે છે.

