અમદાવાદ, તા. 20 : ગુજરાત હાઇકોર્ટે મહારાજ ફિલ્મને લીલીઝંડી આપી દેવાની સાથે સ્ટે હાટાવી લીધો છે. તેની સાથે કોર્ટે ફિલ્મ જોઈ તેમાં કંઈ પણ વિવાદિત જણાઈ આવતું ન હોવાનું અવલોકન કરતાં ગુજરાત હાઇકોર્ટે પુષ્ટિમાર્ગી વૈષ્ણવોની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે ચુકાદામાં કહ્યું કે, 1862માં ચુકાદો આવ્યા બાદ 2013માં પુસ્તક લખાયું હતું અને તે સમયે પણ સામાજિક સૌહાર્દ ખોરવાયું હોય તેવી કોઈ ઘટના પ્રકાશમાં આવી નથી.

હાઇકોર્ટે સ્ટે હટાવતાં હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. હાઇકોર્ટને આ ચુકાદો ડિક્ટેટ કરાવતાં આશરે સવા કલાક જેટલો સમય લાગ્યો હતો, જેમાં કોર્ટે નોંધ્યું હતું કે, હાઇકોર્ટે ફિલ્મ જોઇ છે, તેમાં કોઇ નકારાત્મક બાબત લાગી નથી. ફિલ્મ ધાર્મિક લાગણી દૂભાવનારી નથી. બીજીબાજુ મૂળ ફરિયાદી અને જીસીસીઆઇના પૂર્વ પ્રમુખ શૈલેશ પટવારીએ જણાવ્યું હતું કે હાઇકોર્ટે ફિલ્મ જોઇને સ્ટે હટાવ્યો છે. કોઇ ઓથોરિટી ફિલ્મને સર્ટિફિકેટ આપે તેના કરતાં અમને હાઇકોર્ટ પર વધુ વિશ્વાસ છે. અમારી ફરિયાદ બરોબર હતી કેમ કે, ફિલ્મ રિલીઝ થાય પછી જે નુકસાન જાય તેના કરતાં સાવચેતી રાખવી વધુ સારી છે. ફિલ્મ રિલીઝ થયા બાદ અમે જોઇશું, જો કંઇ વાંધાજનક લાગશે તો રસ્તો ખુલ્લો છે.
મહત્ત્વનું છે કે, જુનૈદ ખાન અને જયદીપ અહલાવત અભિનિત ફિલ્મ મહારાજ 1862ના મહારાજ માનહાનિ કેસની સત્ય ઘટનાથી પ્રેરિત છે, જેને ભારતની સૌથી મહત્ત્વપૂર્ણ કાયદાકીય લડાઇઓમાંથી એક ગણવામાં આવે છે. જુનૈદ ખાન પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મૂળજીની ભૂમિકા ભજવી રહ્યા છે. અહલાવત વલ્લભાચર્ય સંપ્રદાયના પ્રમુખોમાંથી એક જદુનાથજી બૃજરતનજી મહારાજની ભૂમિકા ભજવે છે. આ કેસ ધાર્મિક નેતા બૃજરતનજી મહારાજના કથિત જાતીય દુરાચારને ઉજાગર કરવા માટે વાસ્તવિક જીવનના પત્રકાર કરસનદાસ મૂળજી વચ્ચે લડાઇ લડવામાં આવી હતી જેને `મહારાજ લાયેબલ કેસ’નાં નામે ઓળખવામાં આવે છે.

