Salman Khan pan masala case: સુપરસ્ટાર સલમાન ખાન પાન મસાલાની જાહેરાતને લઈને કાયદાકીય મુશ્કેલીમાં મુકાયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ભાજપ નેતા અને રાજસ્થાન હાઈકોર્ટ વકીલ ઈંદર મોહન સિંહ હનીએ “ટાઈગર ઝિંદા હૈ” ના અભિનેતા વિરુદ્ધ એક માઉથ ફ્રેશનર બ્રાન્ડનું સમર્થન કરવા બદલ ફરિયાદ દાખલ કરી છે, કારણ કે, તેમણે ગુપ્ત જાહેરાતો દ્વારા ગ્રાહકોને ભ્રમિત કરે છે.
સલમાન ખાન અને પાન મસાલા બ્રાન્ડના ઉત્પાદકને નોટિસ જારી
કોટા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરાયા બાદ સલમાન ખાન અને પાન મસાલા બ્રાન્ડના ઉત્પાદકને નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં ઔપચારિક જવાબો માંગવામાં આવ્યો છે. આ કેસની આગામી સુનાવણી 27 નવેમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે.
રાજશ્રી પાન મસાલાની જાહેરાતો ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે
આ અંગે મળતા વધુ રિપોર્ટ પ્રમાણે ઈન્દર મોહને એ જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે, જેમાં સલમાન ખાન જોવા મળી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, રાજશ્રી પાન મસાલાની જાહેરાતો ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા મેસેજ આપી રહી છે.
સલમાન ખાન ઘણા લોકો માટે રોલ મોડેલ છે
મીડિયા સાથે વાત કરતાં ઈન્દર મોહને કહ્યું કે, ‘સલમાન ખાન ઘણા લોકો માટે રોલ મોડેલ છે. અમે કોટા કન્ઝ્યુમર કોર્ટમાં આની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને સુનાવણી માટે નોટિસ જારી કરવામાં આવી છે. અન્ય દેશોમાં ફિલ્મ સ્ટાર્સ ઠંડા પીણાંનો પણ પ્રચાર નથી કરી શકતા, પરંતુ અહીં તેઓ તમાકુ અને પાન મસાલાનો બેફામ પ્રચાર કરી રહ્યા છે. હું ઇચ્છું છું કે, તેઓ યુવાનોને ખોટો સંદેશ ન આપે કારણ કે પાન મસાલા મોંના કેન્સરનું મુખ્ય કારણ છે.’
ઈન્દર મોહનનું કહેવું છે કે, બ્રાન્ડમાં કેસર અને એલચી ધરાવતા માઉથ ફ્રેશનરનો પ્રચાર કરી રહી છે. શુદ્ધ કેસરની કિંમત એક કિલોના ₹4 લાખ હોવાનો અંદાજ હોવાથી, ₹5 ની પ્રોડક્ટમાં આટલી મોંઘી સામગ્રીનો ઉપયોગ અશક્ય છે.

